રામ મંદિર ટ્રસ્ટે ચંપત રાયનું રાજીનામું સ્વીકાર્યું, મહંત નૃત્ય ગોપાલ દાસે કહ્યું- 'દાનની ચોરીથી દુઃખી છું'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ram Mandir Trust Accepts Champat Rai Resignation : રામ મંદિર ચઢાવા (દાન) ચોરી મામલે મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાનું રાજીનામું ટ્રસ્ટે મંજૂર કરી દીધુ છે. ચઢાવા ચોરીના કેસમાં રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય સામે સતત સવાલો ઉભા થઈ રહ્યા હતા, અને આ દરમિયાન તેમણે રાજીનામું આપી દીધું હતું. તેમના સિવાય અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપ્યું હતું તે પણ ટ્રસ્ટે મંજૂર કરી દીધુ છે. આ રાજીનામા પર નિર્ણય લેવા માટે જ આ બેઠક બોલાવવામાં આવી હતી. હવે ચંપત રાય ટ્રસ્ટના મહાસચિવ પદ પર નહીં રહે. જોકે, ટ્રસ્ટના નિયમો અનુસાર તેઓ સભ્ય તરીકે યથાવત્ રહેશે, પરંતુ તેમની પાસે કોઈ મહત્ત્વપૂર્ણ માહિતી કે જવાબદારી રહેશે નહીં.
ટ્રસ્ટની બેઠકમાં શું-શું થયું?
આજે બપોરે 3 વાગ્યે મહંત નૃત્ય ગોપાલ દાસની અધ્યક્ષતામાં બેઠક શરૂ થઈ હતી. તેમણે સૌથી પહેલા આ મામલે દિલગીરી વ્યક્ત કરી. મહંત નૃત્ય ગોપાલ દાસે કહ્યું, 'આ સમગ્ર ઘટનાક્રમથી હું ખૂબ જ દુઃખી છું. આ હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલો મામલો છે. દોષિતો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ.'
ત્યારબાદ કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરીએ મીટિંગનો એજન્ડા રજૂ કર્યો હતો. સ્વામી ગોવિંદ દેવ ગિરીએ ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા પર વિચાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ટ્રસ્ટની બેઠકમાં સામેલ સાધુ-સંતો તરફથી કહેવામાં આવ્યું કે, આ કાંડના કારણે આસ્થા પર ઘણા મોટા સવાલો ઊભા થયા છે. ગોવિંદ ગિરીએ બેઠકમાં સ્વીકાર્યું કે, આ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, જેનાથી રામ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. કેટલીક જગ્યાએ ખામીઓ હતી, જેના પર તે સમયે ધ્યાન આપવામાં ન આવ્યું.
સૂત્રોનું કહેવું છે કે ચંપત રાય અને અનિલ મિશ્રા એકસાથે જ છે, અને બંનેમાંથી કોઈ પણ આ બેઠકમાં પહોંચ્યા નહોતા. બેઠકમાં ચંપત રાય અને અનિલ મિશ્રાની ભૂમિકાને લઈને ટ્રસ્ટના સભ્યોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
કૃષ્ણ મોહને બેઠક દરમિયાન FIR નોંધાવવા પાછળનું કારણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે, 'પ્રાથમિક તપાસમાં નાણાકીય ગેરરીતિઓ સામે આવ્યા બાદ જ કાયદાકીય પગલાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મામલાની નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક FIR દાખલ કરાઈ હતી.' કૃષ્ણ મોહને ઉમેર્યું કે, જનતાનો ભરોસો જીતવો ખૂબ જ જરૂરી છે, અને ટ્રસ્ટમાં ફેરફાર કરીને જ આ વિશ્વાસ ફરી જીતી શકાશે.
ચંપત રાયની જગ્યાએ કોણ બનશે મહાસચિવ?
ટ્રસ્ટ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, ચંપત રાયની જગ્યાએ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના બજરંગ બાગડાને નવા મહાસચિવ બનાવવામાં આવી શકે છે. જ્યારે અનિલ મિશ્રાની જગ્યાએ નીરજ દૌનેરિયાને ટ્રસ્ટી બનાવવામાં આવે તેવી શક્યતા છે. ટ્રસ્ટની બેઠકમાં અન્ય એક ટ્રસ્ટી સ્વામી પરમાનંદ ગિરીએ જણાવ્યું કે, 'ધર્મની રક્ષા કરવી એ આપણા સૌની પ્રથમ ફરજ છે. જ્યારે લોકો આસ્થા સાથે કોઈ ધાર્મિક સ્થળ સાથે જોડાય છે, ત્યારે નાની-નાની બાબતોનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. શ્રદ્ધાળુઓના વિશ્વાસ અને લાગણીઓની રક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ.'
મહંત દિનેન્દ્ર દાસે ભાવુક થઈને કહ્યું કે, અમે રામ મંદિર માટે અમારું આખું જીવન સમર્પિત કરી દીધું. જ્યારે સ્વામી વિશ્વપ્રસન્નતીર્થજીએ કહ્યું કે આ એક મોટો કલંક લાગ્યો છે.
આ બેઠકમાં વિશેષ આમંત્રિત સભ્ય ગોપાલ રાવને ટ્રસ્ટની બેઠકમાંથી બહાર કરી દેવાયા હતા. ટ્રસ્ટના સભ્યોએ તેઓ નિયમિત ટ્રસ્ટી ન હોવાનું કારણ આપીને તેમને બહાર કર્યા હતા. ગોપાલ રાવ મીટિંગમાં સામેલ થવા પહોંચ્યા હતા.
ટ્રસ્ટમાં અત્યારે 11 નિયમિત સભ્યો
રામ મંદિર ટ્રસ્ટમાં અત્યારે 11 નિયમિત સભ્યો છે. જેમાં અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ, વાસુદેવાનંદ સરસ્વતી, વિશ્વપ્રસન્ન તીર્થ, પરમાનંદ ગિરી, કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી, કૃષ્ણ મોહન, દિનેન્દ્ર દાસ અને કે. પરાસરન સામેલ છે. ચંપત રાય અને અનિલ મિશ્રાએ રાજીનામું આપી દીધું છે, જ્યારે ટ્રસ્ટી બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રાનું અવસાન થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં ટ્રસ્ટમાં કોઈ ઉપાધ્યક્ષ નથી, જે અધ્યક્ષની ગેરહાજરીમાં બેઠકોની અધ્યક્ષતા કરી શકે. હોદ્દાની રૂએ સભ્યોમાં કેન્દ્ર સરકારના સચિવ પ્રશાંત લેખંડે, ઉત્તર પ્રદેશ સરકારના અપર મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદ, અયોધ્યાના જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક ત્રિપાઠી અને વડાપ્રધાનના ભૂતપૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા સામેલ છે. ગોપાલ રાવ વિશેષ આમંત્રિત સભ્ય છે.









