કોણ છે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના CEO નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા? 5,585 ઉમેદવારમાંથી કરાઈ તેમની પસંદગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ayodhya Ram Mandir New CEO Jitendra Mishra Career : અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રથમ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર(CEO) તરીકે નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. મંદિરના વહીવટની મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળવા જઈ રહેલા પૂર્વ વાયુસેના અધિકારીના નેતૃત્વ અને કાર્યકાળને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
વાયુસેનામાં મહત્ત્વના પદો પર સેવા આપી
નિવૃત્ત એર માર્શલ ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારી રહી ચૂક્યા છે. તેમણે વેસ્ટર્ન એર કમાન્ડના એર ઑફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે પોતાની સેવાઓ આપી હતી. આ ઉપરાંત, તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન પણ વેસ્ટર્ન કમાન્ડનું નેતૃત્વ સંભાળ્યું હતું. આ પદ સંભાળતા પહેલાં તેઓ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ(ઓપરેશન્સ)ના ડેપ્યુટી ચીફ તેમજ ડોક્ટ્રિન, ઑર્ગેનાઇઝેશન અને ટ્રેનિંગ વિભાગના ડેપ્યુટી ચીફ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
શિક્ષણ અને સૈન્ય તાલીમનો મજબૂત પાયો
તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમી(ખડકવાસલા) અને એર ફોર્સ એકેડેમી(ડુંડીગલ)ના પૂર્વ વિદ્યાર્થી રહ્યા છે. સૈન્ય શિક્ષણ ઉપરાંત તેઓ એર ફોર્સ ટેસ્ટ પાઇલટ્સ સ્કૂલ, અમેરિકાના અલાબામા સ્થિત મોન્ટગોમરી એર કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ તેમજ રોયલ કોલેજ ઓફ ડિફેન્સ સ્ટડીઝના પણ પૂર્વ વિદ્યાર્થી રહ્યા છે.
38 વર્ષથી વધુનો બહોળો અનુભવ
તેમને 6 ડિસેમ્બર 1986ના રોજ એર ફોર્સ એકેડેમીમાંથી ભારતીય વાયુસેનાની ફાઇટર સ્ટ્રીમમાં કમિશન મળ્યું હતું. 38 વર્ષથી વધુ લાંબી સૈન્ય કારકિર્દીમાં તેમને 3000 કલાકથી વધુનો ફ્લાઇટ અનુભવ છે. આ સેવા દરમિયાન તેમણે 18થી વધુ પ્રકારના વિવિધ ફાઇટર જેટ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર ઉડાવ્યા છે.
કારગિલ યુદ્ધમાં ઐતિહાસિક યોગદાન
સ્ક્વોડ્રન લીડર તરીકે સેવા આપતી વખતે તેઓ એ વિશેષ ટીમનો ભાગ હતા, જેણે કારગિલ યુદ્ધની શરૂઆતમાં મિરાજ 2000 એરક્રાફ્ટ પર લેસર-ગાઇડેડ બોમ્બને ઓપરેશનલ બનાવ્યા હતા. આ બોમ્બનો ઉપયોગ પાછળથી 'ઓપરેશન સફેદ સાગર' દરમિયાન ટાઇગર હિલ અને મુન્થો ઢાલો પર થયેલા ચર્ચિત હુમલાઓમાં કરવામાં આવ્યો હતો.
પદ માટે દેશભરમાંથી 5500થી વધુ અરજીઓ આવી
રામ મંદિરના પ્રથમ CEO પદ માટે દેશભરમાંથી કુલ 5585 જેટલી અરજીઓ આવી હતી. આ અરજીઓમાંથી ટ્રસ્ટે ત્રણ ઉમેદવારો પસંદ કર્યા હતા, જેમાંથી જિતેન્દ્ર મિશ્રાની પસંદગી કરવામાં આવી. બુધવારે યોજાયેલી આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ, સ્વામી કમલનયન દાસ, વચગાળાના મહાસચિવ ડૉ. કૃષ્ણ મોહન, ટ્રસ્ટી મહંત દીનેન્દ્ર દાસ અને ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરિ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરવ્યુ દ્વારા કડક પસંદગી
નવા CEOની પસંદગી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સ્ક્રીનિંગની સાથે મેન્યુઅલ મૂલ્યાંકન પદ્ધતિ અપનાવવામાં આવી હતી. તમામ અરજીઓની ચકાસણી માટે 600 ગુણનું ચોક્કસ માળખું ઘડાયું હતું. પ્રાથમિક મૂલ્યાંકનમાં 3,577 ઉમેદવારો સામેલ થયા હતા, તેમાંથી 470 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને આગળ પસંદ કરાયા. ત્યારબાદ 11 અને 12 ઑગસ્ટના રોજ અયોધ્યા ખાતે 108 અરજદારો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ યોજાયો અને અંતિમ 16 ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.
વિવાદો અને રાજીનામા વચ્ચે નવી નિમણૂક
રામ મંદિર ટ્રસ્ટના CEOની જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે મંદિરને મળેલા ચંદામાં કથિત ચોરીને લઈને વિવાદ સામે આવ્યો હતો. આ વિવાદ સંદર્ભે 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય, ટ્રસ્ટી અનિલ મિશ્રા તેમજ અન્ય એક પદાધિકારીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.




