'ગાંધી નહીં, ભગત સિંહના માર્ગે ચાલીશું...', ઝારખંડના આંદોલનકારી વિદ્યાર્થીઓ આર-પારના મૂડમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jharkhand Protest : ઝારખંડમાં JPSC (ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન) અને JSSC (ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન) ની પરીક્ષાઓમાં કથિત ગડબડી અને અનિયમિતતાઓ સામે છેલ્લા 21 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહેલા કાયદાકીય અને સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓએ હવે સરકાર સામે મોરચો મંડ્યો છે.
‘JPSC-JSSC રિફોર્મ મંચ’ના બેનર હેઠળ એકઠા થયેલા વિદ્યાર્થીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હવે આ આંદોલન શાંતિપૂર્ણ ગાંધીવાદી માર્ગે નહીં પરંતુ ભગતસિંહના ક્રાંતિકારી માર્ગે આગળ વધશે. આંદોલનકારીઓએ પહેલીવાર મુખ્યમંત્રી હેમંત સોરેનના રાજીનામાની માંગ કરી છે અને સરકાર પર વિદ્યાર્થીઓની વાજબી માંગણીઓને તદ્દન નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે.
શું છે વિદ્યાર્થીઓનો આગામી પ્લાન?
વિદ્યાર્થી નેતાઓના જણાવ્યા મુજબ, સરકારની બેરુખી અને વિદ્યાર્થીઓ પ્રત્યેના ઉદાસીન વલણના વિરોધમાં આંદોલનના આગામી તબક્કાની જાહેરાત કરવામાં આવી છે:
16 ઓગસ્ટ: સમગ્ર ઝારખંડ રાજ્યમાં જગ્યાએ જગ્યાએ મુખ્યમંત્રી હેમંત સોરેનના પૂતળાનું દહન કરવામાં આવશે.
20 ઓગસ્ટ: રાજ્યભરમાંથી હજારો વિદ્યાર્થીઓ એકઠા થઈને રાંચી સ્થિત મુખ્યમંત્રી આવાસનો ઘેરાવ કરશે.
આંદોલનકારી વિદ્યાર્થી પીયુષ કુમારે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, "સરકાર વિદ્યાર્થીઓને માત્ર 'કીડા-મકોડા' સમજી રહી છે, પરંતુ હવે વિદ્યાર્થીઓ 'દિશામ ગુરુ'ના માર્ગે ચાલીને પોતાનો અવાજ બુલંદ કરશે."
રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પર પ્રહાર
વિદ્યાર્થી નેતા રવીન્દ્ર પાસવાને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "જો રાજ્ય સરકારમાં કૉંગ્રેસનું કોઈ સાંભળતું ન હોય તો રાહુલ ગાંધીએ તુરંત જ હેમંત સોરેન સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લેવું જોઈએ. વિદ્યાર્થીઓની સાથે હોવાનો માત્ર દેખાવો કરીને તેમને ભ્રમમાં રાખવાનું બંધ કરવું જોઈએ."
10 ઓગસ્ટે થયો હતો ભારે લાઠીચાર્જ
ઉલ્લેખનીય છે કે, 10 ઓગસ્ટના રોજ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રાંચી પહોંચ્યા હતા અને વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પરિસ્થિતિ વણસતાં પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો તથા ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પોલીસ કાર્યવાહીમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં સરકાર પ્રત્યેનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો છે.









