- બહુમતી ન હોવાથી વિરોધ પક્ષની હાર થવાની પૂરી શક્યતા
- બીજો તબક્કો પણ લોકસભા અધ્યક્ષ સામેનાં અવિશ્વાસ પ્રસ્તાવ, ઇરાન યુદ્ધ અને એસઆઇઆર મુદ્દે તોફાની બની રહેશે
- ભૂતકાળમાં ત્રણ લોકસભા અધ્યક્ષો જી વી માવલંકર (૧૯૫૪), હુકમ સિંહ (૧૯૬૬),બલરામ ઝાખર (૧૯૮૭)એ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કર્યો હતો
નવી દિલ્હી: સોમવારે એટલે કે આવતીકાલે બજેટ સત્રનાં બીજા તબક્કાનીં પ્રથમ દિવસે લોકસભા સ્પીકર ઓમ બિરલાની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન થવાનું છે. સત્રનાં પ્રથમ તબક્કામાં વિપક્ષે લોકસભા અધ્યક્ષ પર પક્ષપાત કરવાનો આરોપ મૂક્યો હતો.
વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીને બોલવા ન દેવા અને સાંસદોને સસ્પેન્ડ કરવા જેવા મુદ્દાઓ પર વિપક્ષે હોબાળો કર્યો હતો. આવતીકાલે રજૂ થનારા અવિશ્વાસ પ્રસ્તાવ પર વિરોધ પક્ષોની હાર થવાની પૂરેપૂરી શક્યતા છે.
આ પ્રસ્તાવ સિંબોલિક અને રાજકીય હોય તેવુ લાગી રહ્યું છે. લોકસભા સ્પીકરને હટાવવા માટે બહુમતી હોવી જરૂરી છે. ૫૪૩ સભ્યોવાળી લોકસભામાં વિપક્ષ માટે જરૂરી બહુમત મેળવવું મુશ્કેલ કાર્ય રહેશે. જો કે વિરોધ પક્ષનાં સાંસદોની સંખ્યાને ધ્યાનમાં રાખતા પ્રસ્તાવ સફળ થવાની શક્યતા ખૂબ જ ઓછી છે.
જો કે આ ચર્ચા આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ પક્ષો માટે પોતાને તૈયાર કરવાનો એક પ્લેટફોર્મ બની શકે છે. આ ઉપરાંત વિપક્ષ અમેરિકન ટેરિફ અને એપસ્ટીન ફાઇલ જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે.
જો કે ઇન્ડિયા ગઠબંધન આ ચર્ચાનો ઉપયોગ તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેરળ જેવા રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીથી પહેલા એકતા દર્શાવવા કરી શકે છે. આ પ્રસ્તાવ પર ચર્ચા એવા સમયે થઇ રહી છે કે જ્યારે ઇન્ડિયા ગઠબંધનમાં તંગદિલીનાં સંકેતો જોવા મળી રહ્યાં છે અને અનેક નેતાઓ નેતૃત્ત્વમાં પરિવર્તનની માંગ કરી રહ્યાં છે.
આવતીકાલથી શરૂ થનારું સંસદનું બીજુ સત્ર પણ તોફાની બની રહેવાની શક્યતા છે. લોકસભા સ્પીકર વિરુદ્ધનાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપરાંત ઇરાન તથા ઇઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ, પશ્ચિમ બંગાળમાં એસઆઇઆર જેવા મુદ્દાઓ પર સંસદમાં હોબાળો થવાની શક્યતા છે.
ભૂતકાળમાં ત્રણ લોકસભા અધ્યક્ષો જી વી માવલંકર (૧૯૫૪), હુકમ સિંહ (૧૯૬૬) અને બલરામ ઝાખર (૧૯૮૭)એ અવિશ્વાસ પ્રસ્તાવનોે સામનો કર્યો હતો.


