India

યુપીમાં મસ્જિદના સરવેનો હિંસક વિરોધ : 3 મોત, અનેક પોલીસ ઘાયલ

By GS Team
25 Nov 20242 mins read
This article was originally published on 25 Nov 2024
યુપીમાં મસ્જિદના સરવેનો હિંસક વિરોધ : 3 મોત, અનેક પોલીસ ઘાયલ

- સંભલમાં સરવે ટીમ અને પોલીસ પર ભારે પથ્થરમારો, ૧૦ વાહનો સળગાવ્યા

- ડેપ્યુટી કલેક્ટરને પગમાં ફ્રેક્ચર, એસપીના પીઆરઓને પગમાં ગોળી વાગી, પીએસઓને ઇજા ઃ અસામાજિક તત્વોએ ગોળીબાર કર્યાની પોલીસને શંકા

- હિંસા રોકવા સંભલના ઘરોની છત પર પથ્થરો, સોડા બોટલો કે જ્વલંતશિલ પદાર્થના સંગ્રહ પર પ્રતિબંધ મુકાયો

- ત્રણ યુવકોના મોતની તપાસ શરૂ કરાઇ

સંભલ: ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સરવેનો વિવાદ વકર્યો હતો, સરવે કરવા આવેલી ટીમ અને પોલીસ પર સ્થાનિકો દ્વારા ભારે પથ્થરમારો કરાયો હતો. જેને પગલે અનેક પોલીસ અધિકારીઓ અને જવાનો ઘવાયા હતા. આ હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન ગોળીબાર પણ થયો હતો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા છે જ્યારે પોલીસ સહિત ૨૦થી વધુ લોકો ઘવાયા છે. ઘાયલોમાં એસપીના પીઆરઓ, પીએસઓ, ડેપ્યુટી કલેક્ટરનો પણ સમાવેશ થાય છે. મંગળવારથી જ આ વિસ્તારમાં અશાંતિની સ્થિતિ છે. 

સ્થાનિક કોર્ટમાં દાવો કરાયો છે કે સંભલની જામા મસ્જિદને બાબરે હરીહર મંદિર તોડીને બનાવી હતી, બાદમાં કોર્ટે આ મસ્જિદના સરવેનો આદેશ આપ્યો હતો. સરવે ટીમ પહોંચે તે પહેલા જ મોટી સંખ્યામાં ટોળા એકઠા થવા લાગ્યા હતા. પરિણામે સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરાઇ હતી. પોલીસે પહેલા શાંતિની અપીલ કરી હતી જોકે તેની કોઇ અસર નહોતી જોવા મળી અને વિરોધ પ્રદર્શન કરી રહેલા પોલીસ પર તુટી પડયા હતા. 

મોરાદાબાદ ડિવિઝનલ કમિશનર અનજાનેયા કુમાર સિંઘે જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓએ વાહનોને આગ લગાવી હતી અને પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસના શેલ છોડયા હતા. કેટલાક અજાણ્યા લોકો દ્વારા ગોળીબાર કરાયો હતો, એસપીના પીઆરઓને પગમાં ગોળી વાગી હતી, પીએસઓને પેલેટ્સ વાગી હતી, એક કોન્સ્ટેબલનું માથુ ફૂટી ગયું હતું, ડેપ્યુટી કલેક્ટરને પગમાં ફ્રેક્ચર થયું હતું. ગોળીબારમાં માર્યા ગયેલા ત્રણ લોકોમાં નઇમ, બિલાલ અને નૌમનનો સમાવેશ થાય છે. પોલીસે ગોળીબારની ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. સાથે જ પોલીસે બે મહિલાઓ સહિત ૧૦ની અટકાયત કરી છે. આ સમગ્ર હિંસક વિરોધ દરમિયાન ટોળાએ ૧૦થી વધુ વાહનોને આગ લગાવી હતી. 

એક તરફ હિંસક માહોલ હતો જ્યારે બીજી તરફ મસ્જિદની અંદર સરવે ટીમે શાંતિપૂર્વક સરવેની કામગીરી પૂર્ણ કરી હતી, હવે ટીમનો આ રિપોર્ટ ૨૯મી નવેમ્બરના રોજ કોર્ટમાં રજુ કરવામાં આવશે. હાલ સમગ્ર મસ્જિદની ચારેય બાજુ બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે. હાલ સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો પણ તૈનાત કરાયા છે. કેટલાક લોકોએ પોલીસ પર છતની ઉપરથી પથ્થરમારો કર્યો હતો. જેને કારણે અનેક જવાનો ઘવાયા હતા. સ્થિતિને ધ્યાનમાં રાખીને એસડીએમએ સંભલમાં છત પર પથ્થરો, સોડા બોટલો કે જ્વલંત પદાર્થનો સંગ્રહ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે.