મણિપુરમાં ફરી હિંસા : 24 કલાકમાં 35 મકાનો સળગાવાયા, ગોળીબાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- હવે નાગા-કુકી સમુદાયના લોકો વચ્ચે સામસામે હુમલા
- ગ્રામીણ વિસ્તારોમાં મંગળવારે 10 જ્યારે બુધવારે 25 મકાનો આગને હવાલે, હુમલામાં કેટલાક ઘાયલ
Manipur News : મણિપુરમાં ફરી હિંસાની ઘટનાઓ સામે આવવા લાગી છે. મહિનાઓ સુધી અશાંત રહેલા મણિપુરના કાંગપોકપી જિલ્લામાં બુધવારે આશરે 25 જેટલા ઘરોને આગ લગાવી દેવાઇ હતી. જ્યારે મંગળવારે પણ આશરે 10 જેટલા મકાનોને આગને હવાલે કરી દેવાયા હતા. એટલે કે મણિપુરમાં 24 કલાકમાં 35 જેટલા મકાનો સળગાવાયા છે. જેને પગલે તંત્ર ફરી એલર્ટ થઇ ગયું છે.
મંગળવારે ઇમ્ફાલ-તામેંગલોન્ગ રોડની આસપાસ 10 જેટલા મકાનો સળગાવાયા હતા જેના બીજા દિવસે આ જ વિસ્તારમાં વધુ 25 મકાનોને આગને હવાલે કર દેવાયા હતા. જેમાં પાંચ મકાન નેપાળી સમુદાયના હોવાના અહેવાલો છે. આગજનીની આ ઘટના દરમિયાન એક ગ્રામીણ નાગરિકને ગોળી વાગતા ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. એટલુ જ નહીં ટ્રક સહિત ચાર જેટલા વાહનોને પણ નુકસાન પહોંચાડાયું છે.
એવા અહેવાલો છે કે ગ્રામીણ વિસ્તારમાં હથિયારો સાથે હુમલાખોરો ઘૂસી આવ્યા હતા અને ગ્રામીણો પર બેફામ ગોળીબાર કરી દીધો હતો. બાદમાં મકાનોને આગ લગાવી દીધી હતી. મકાનોની સાથે અનાજ સહિતની ગ્રામીણોની ખાદ્ય સામગ્રી પણ ખાખ થઇ ગઇ હતી. સૌથી પહેલા પીપુરામ નાગા ગામ પર હુમલો કરવામાં આવ્યો હતો, બાદમાં આ જ હુમલાખોરો મકુઇ નાગા ગામ પર તુટી પડયા હતા. આ દરમિયાન એક નાગરિક ઘાયલ થઇ ગયો હતો. અત્યાર સુધી મૈતેઇ અને કુકી સમુદાય વચ્ચે હિંસાની ઘટનાઓ સામે આવી રહી હતી હવે કુકી અને નાગા સમુદાયના લોકો વચ્ચે હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. જે વિસ્તારમાં ફરી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યાં મોટી સંખ્યામાં નેપાળી સમુદાયના લોકો પણ રહે છે.




