Get The App

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
Uri LoC blast

Uri LoC blast: જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) નજીક એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. મંગળવારે મોડી સાંજે ઉરીના કમલકોટ વિસ્તારમાં લાઇન ઑફ કન્ટ્રોલ પાસે અચાનક થયેલા એક જોરદાર બ્લાસ્ટમાં ભારતીય સેનાના બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્યારબાદ સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. આ અકસ્માત તે સમયે થયો જ્યારે બંને બહાદુર જવાનો સરહદ પર પોતાની ફરજ બજાવી રહ્યા હતા. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે જવાનોને બચાવવાની તમામ કોશિશો નિષ્ફળ નીવડી હતી. આ આકસ્મિક ઘટનાને પગલે સમગ્ર દેશ સહિત શહીદ જવાનોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

શહીદ થયેલા બંને વીર જવાનો મહારાષ્ટ્રના વતની

દેશની રક્ષા કાજે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા આ બંને વીર જવાનો મહારાષ્ટ્રના વતની હતા. શહીદ જવાનોની ઓળખ ચવ્હાણ વિક્રમ બાલકૃષ્ણ અને અર્જુન જાધવ રાજેન્દ્ર તરીકે થઈ છે. જેમાં વિક્રમ બાલકૃષ્ણ મહારાષ્ટ્રના ઐરોલીના રહેવાસી હતા, જ્યારે અર્જુન જાધવ રાજેન્દ્ર મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કરાડ તાલુકાના શાહપુર ગામના વતની હતા. માતૃભૂમિની સેવા કાજે આપેલા આ સર્વોચ્ચ બલિદાનને રાષ્ટ્ર હંમેશા આદરપૂર્વક યાદ રાખશે.

શ્રીનગરની આર્મી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તોડ્યો દમ

સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કમલકોટ સેક્ટરમાં વિસ્ફોટ થયા બાદ તરત જ બંને જવાનોને અત્યંત ગંભીર હાલતમાં એરલિફ્ટ કરીને શ્રીનગરના બાદામીબાગ સ્થિત સેનાની '92 બેઝ હૉસ્પિટલ' ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર મિલિટરી ડૉક્ટરોની ટીમે તેમને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા હતા. જોકે, બંને જવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના કારણે તમામ તબીબી પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નહોતા અને સારવાર દરમિયાન જ તેઓ વીરગતિ પામ્યા હતા.

આ પણ વાંચો: 'જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી....' 12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ

સંવેદનશીલ વિસ્તારમાં બ્લાસ્ટનું કારણ શોધવા સેના દ્વારા તપાસ શરૂ

આ આકસ્મિક વિસ્ફોટ LoCના અત્યંત સંવેદનશીલ એવા કમલકોટ વિસ્તારમાં થયો હતો. લાઇન ઑફ કન્ટ્રોલ પર આવેલા આવા ફોરવર્ડ લોકેશન્સ પર અવારનવાર જૂની લેન્ડમાઇન્સ (બારૂદી સુરૂંગો) અથવા વણવપરાયેલા લશ્કરી દારૂગોળાના કારણે મોટો ખતરો બનેલો રહે છે. આ બ્લાસ્ટ કયા પ્રકારનો હતો અને તેની પાછળનું સચોટ કારણ શું હતું, તે જાણવા માટે સેનાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિસ્તૃત તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સરહદ પર દેશની રક્ષા કરતા સૈનિકો માટે આવા જોખમો હંમેશા એક મોટો પડકાર રહ્યા છે.