Get The App

ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર 1 - image

UP Weather Update: ઉત્તર પ્રદેશમાં આજે બુધવારે આવેલા ભીષણ વાવાઝોડા, વરસાદ અને કરા પડવાને કારણે ભારે તબાહી મચી છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ઝાડ પડવા, દીવાલ ધરાશાયી થવી, વીજળી પડવી અને ટીન શેડ ઉડવા જેવી ઘટનાઓમાં અત્યાર સુધીમાં અંદાજે 54 લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. હવામાન વિભાગે રાજ્યના 38 જિલ્લાઓમાં વાવાઝોડું, વરસાદ અને વીજળી પડવા અંગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો

હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર બનેલી ચક્રવાત સિસ્ટમ અને દક્ષિણ રાજસ્થાનથી આવતા પૂર્વીય પવનોની અસરને કારણે રાજ્યમાં અનેક સ્થળોએ 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. બુધવારે બપોર પછી શરૂ થયેલો હવામાનનો આ ફેરફાર સાંજ સુધીમાં મોટા વાવાઝોડામાં ફેરવાઈ ગયો હતો.

કયા જિલ્લામાં કેટલા લોકોના મોત?

UPના અનેક જિલ્લાઓમાં મોટી જાનહાનિ થઈ છે. ભદોહીમાં 10, પ્રયાગરાજ મંડળમાં 10, ફતેહપુરમાં 8, ઉન્નાવમાં 7, બદાયુમાં 6, બરેલીમાં 4, સીતાપુરમાં 2 અને રાયબરેલીમાં 1 મૃત્યુ નોંધાયું છે. આ સિવાય હરદોઈ, ઝાંસી, કાનપુર દેહાત, સંભલ, પ્રતાપગઢ અને અન્ય જિલ્લાઓમાં પણ લોકોએ જીવ ગુમાવ્યા છે.

ઉન્નાવમાં માસૂમ સહિત 3ના મોત

ઉન્નાવ જિલ્લામાં ભારે વાવાઝોડા અને વરસાદ દરમિયાન અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા છે. દહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંબાનું ઝાડ પડવાથી 70 વર્ષીય ખેડૂત રામ આશ્રયનું મોત થયું હતું. જ્યારે આસીવન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીલગિરીનું ઝાડ પડવાથી 9 વર્ષના અંશનું મોત નીપજ્યું હતું. અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ છે અને તેમની સારવાર લખનઉ ટ્રોમા સેન્ટરમાં ચાલી રહી છે.

આ પણ વાંચો: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગુ

મોટા પાયે ખાના ખરાબી, 38 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર

અચાનક આવેલા ભયંકર વાવાઝોડાને કારણે સેંકડો ઝાડ અને વીજળીના થાંભલા પડી ગયા છે. અનેક જિલ્લાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને રસ્તાઓ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. કેટલીક જગ્યાએ કાર અને મકાનોને પણ નુકસાન થયું છે. હવામાન વિભાગે લખનઉ, ઉન્નાવ, સીતાપુર, પ્રયાગરાજ, જોનપુર, પ્રતાપગઢ, બાંદા સહિત 38 જિલ્લાઓમાં આગામી કેટલાક કલાકો માટે ભારે વરસાદ, વીજળી પડવા અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી જાહેર કરી છે.

બે દિવસ બાદ તાપમાન થશે સામાન્ય

લખનઉ હવામાન કેન્દ્ર મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી એક-બે દિવસ હવામાન આવું જ રહેશે. ત્યારબાદ 15 મેથી તાપમાનમાં 6 થી 8 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે અને ઘણા જિલ્લાઓમાં પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે.

CMએ રાહત-બચાવ કાર્ય ઝડપી કરવા સૂચના આપી 

મુખ્યમંત્રી કાર્યાલયે તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના કલેકટરને રાહત અને બચાવ કાર્ય તેજ કરવા, ઘાયલોને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવા અને મૃતકોના પરિવારજનોને તાત્કાલિક સહાય આપવા સૂચના આપી છે.