Get The App

ઉત્તર પ્રદેશમાં આંધી-તોફાનનો કહેર, 120 લોકો અને 170 પશુના મોત, અહીં સૌથી વધુ તબાહી

Updated: May 15th, 2026

GS TEAM

Google News
Google News
UP Thunderstorm Deaths 2026
(IMAGE - IANS)

UP Thunderstorm Deaths 2026: ઉત્તર પ્રદેશમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આવેલા ભીષણ તોફાન, ભારે વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓએ ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 120 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત, 170 પશુઓના મોત થયા છે અને 227 જેટલા મકાનોને નુકસાન પહોંચ્યું છે.

મુખ્યમંત્રીએ આપ્યા તાત્કાલિક રાહતના આદેશ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ગંભીર પરિસ્થિતિની નોંધ લેતા અધિકારીઓને કડક સૂચના આપી છે. તેમણે અસરગ્રસ્ત પરિવારોને 24 કલાકની અંદર આર્થિક સહાય અને રાહત સામગ્રી પહોંચાડવા જણાવ્યું છે. રાજ્યના 26 જિલ્લાઓ આ તોફાનથી પ્રભાવિત થયા છે, જ્યાં વૃક્ષો ધરાશાયી થવા અને વીજળીના થાંભલા પડી જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વહીવટીતંત્રને પીડિત પરિવારો સાથે સીધો સંપર્ક કરી દરેક શક્ય મદદ પૂરી પાડવા આદેશ અપાયો છે.

પ્રયાગરાજ અને ભદોહીમાં સૌથી વધુ જાનહાનિ

આ તોફાને પ્રયાગરાજમાં સૌથી વધુ વિનાશ વેર્યો છે, જ્યાં અલગ-અલગ ઘટનાઓમાં કુલ 21લોકોના મોત થયા છે. ગ્રામીણ વિસ્તારોમાં કાચા મકાનો પડી જવાથી અને વીજળી પડવાથી મોટી જાનહાનિ થઈ છે. એવી જ રીતે ભદોહી જિલ્લામાં પણ તોફાનને કારણે 16 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં પણ તેજ પવનને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ઉખડી ગયા હતા અને મકાનોને ભારે નુકસાન થયું હતું.

આ પણ વાંચો: યુએઈથી ઈટાલી સુધી.... આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, મહત્ત્વના કરાર થવાની શક્યતા

દીવાલ ધરાશાયી થવાથી અને વીજળી પડવાથી અકસ્માતો

ફતેહપુર અને પ્રતાપગઢ જિલ્લામાં પણ પરિસ્થિતિ ગંભીર છે. ફતેહપુરમાં દીવાલ પડવાની ઘટનાઓમાં 11 લોકોના મોત થયા છે. પ્રતાપગઢમાં વીજળી પડવાથી અને સિમેન્ટના શેડ નીચે દબાઈ જવાથી 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. કાનપુર દેહાત, દેવરિયા અને સોનભદ્ર જિલ્લામાં પણ વીજળી પડવાને કારણે અનેક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

સર્વેક્ષણ અને નુકસાનીની વળતર પ્રક્રિયા શરૂ

રાજ્ય સરકાર દ્વારા મહેસૂલ અને કૃષિ વિભાગને નુકસાનીનો સરવે કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તોફાનને કારણે પાકને થયેલા નુકસાન અને મકાનોના નુકસાન અંગેનો રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપવામાં આવશે. અસરગ્રસ્તોને વીમા કંપનીઓ અને સરકારી નિયમો અનુસાર વળતર આપવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે જેથી પીડિતોને વહેલી તકે મદદ મળી શકે.