India

ઉન્નાવ બળાત્કાર પીડિતા અને પરિવારજનોનાં જંતર મંતર પર દેખાવો

By GS TEAM
29 Dec 20252 mins read
ઉન્નાવ બળાત્કાર પીડિતા અને પરિવારજનોનાં જંતર મંતર પર દેખાવો

સેંગરની સજા સસ્પેન્ડ કરવાનાં ચુકાદા સામે વિરોધ

સુપ્રીમ કોર્ટ આજે દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને પડકારતી સીબીઆઇની અરજી પર સુનાવણી કરશે

નવી દિલ્હી: ઉન્નાવના ૨૦૧૭ના બળાત્કાર કેસની પીડિતા, તેના પરિવાર અને કાર્યકરોએ ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની આજીવન કેદની સજા દિલ્હી હાઇકોર્ટ દ્વારા સસ્પેન્ડ કરવાના વિરોધમાં રવિવારે દિલ્હીનાં જંતર મંતર ખાતે દેખાવો કર્યા હતાં. 

કડક કાર્યવાહીની માંગ કરતા દેખાવો કરી રહેલ પીડિતાએ જણાવ્યું હતું કે તેમના પરિવારને વધુ સુરક્ષા આપવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે હું મુખ્યપ્રધાનને અમને  સુરક્ષા આપવાની અપીલ કરું છું. આ લોકો શક્તિશાળી છે. મહેરબાની કરીને તમારી દીકરીને બચાવો. મારા પતિને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતાં. અમે બેકાર છીએ. અમે ક્યાં જઇશું?

દેખાવકારોએ દોષિતો પ્રત્યે અપનાવવામાં આવેલ નરમ વલણ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં અને જણાવ્યું હતું કે અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી અપેક્ષાથી ઓછી રહી છે. 

પીડિતાની માતાએ જણાવ્યું છે કે અમને સુપ્રીમ કોર્ટ પર વિશ્વાસ છે અને અમને આશા છે કે આ કેસમાં ન્યાય મળશે. ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઇકોર્ટે ૨૩ ડિસેમ્બરે  સેંગરની અપીલ વિલંબિત રહેવા સુધી તેની સજા સસ્પેન્ડ કરી દીધી હતી અને તેને શરતી જામીન આપ્યા હતાં. 

દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું હતું કે તે સાત વર્ષ અને પાંચ મહિનાની જેલની સજા કાપી ચૂક્યો છે. જો કે તે જેલમાં જ રહેશે કારણકે તે પીડિતાના પિતાનું કસ્ટડીમાં થયેલા મોતના કેસમાં ૧૦ વર્ષની સજા કાપી રહ્યો છે અને તે કેસમાં તેને જામીન મળ્યા નથી. સુપ્રીમ કોર્ટ સોમવારે દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને પડકારતી સીબીઆઇની અરજી પર સુનાવણી કરશે.