India

ગુજરાતનાં પડોશી રાજ્યમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, કેબિનેટની મહોર; વિધાનસભામાં રજૂ કરાશે બિલ

By GS Team
19 Jul 20262 mins read
TukuTouch Logo
મધ્ય પ્રદેશમાં રવિવારે મુખ્યમંત્રી ડો. મોહન યાદવની અધ્યક્ષતામાં ભોપાલમાં મળેલી કેબિનેટ બેઠકમાં સમાન નાગરિક સંહિતા (UCC) અધિનિયમ 2026ના મુસદ્દાને સર્વસંમતિથી મંજૂરી અપાઈ છે. હવે 20 જુલાઈથી શરૂ થતા વિધાનસભાના ચોમાસુ સત્રમાં આ વિધેયક રજૂ કરાશે. આ કાયદો લગ્ન, છૂટાછેડા, વારસો જેવી બાબતોમાં ધર્મથી પર તમામ નાગરિકો માટે સમાન કાયદો લાગુ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતનાં પડોશી રાજ્યમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, કેબિનેટની મહોર; વિધાનસભામાં રજૂ કરાશે બિલ

Madhya Pradesh UCC Law : મધ્ય પ્રદેશમાં 'એક દેશ, એક કાયદો' ની દિશામાં રવિવારે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની અધ્યક્ષતામાં ભોપાલના બહારના વિસ્તાર જગદીશપુરમાં મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાન નાગરિક સંહિતા (UCC) અધિનિયમ 2026ના મુસદ્દાને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટમાંથી લીલી ઝંડી મળ્યા બાદ હવે આ વિધેયકને આવતીકાલે એટલે કે, 20 જુલાઈથી શરૂ થઈ રહેલા મધ્ય પ્રદેશ વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે.

કેબિનેટ બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરતા મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું કે, તમામ મંત્રીઓએ પ્રસ્તાવિત કાયદાનું જોરદાર સમર્થન કર્યું છે. તેમણે કહ્યું, 'આજે મધ્ય પ્રદેશ કેબિનેટે પૂરા દિલથી અને સર્વસંમતિથી સમાન નાગરિક સંહિતા વિધેયક, 2026ને મંજૂરી આપી દીધી છે. હું મારા તમામ કેબિનેટ સહયોગીઓ અને રાજ્યની જનતાને અભિનંદન આપું છું. આ વિધેયક હવે 20 જુલાઈથી શરૂ થનારા વિધાનસભા સત્ર દરમિયાન પટલ પર રાખવા માટે તૈયાર છે.' તેમણે આગળ કહ્યું કે, સરકાર સમાનતાને ભારતીય સભ્યતાનો મૂળ સિદ્ધાંત માને છે, અને આ જ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આ કાયદાનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.

ચોમાસુ સત્રમાં રજૂ થશે વિધેયક

કેબિનેટની મંજૂરી મળ્યા બાદ, રાજ્ય સરકાર સોમવારથી શરૂ થઈ રહેલા મધ્ય પ્રદેશ વિધાનસભાના ચોમાસુ સત્રમાં UCC વિધેયક રજૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગૃહમાં રજૂ થયા બાદ, કાયદો બનતા પહેલા આ વિધેયક પર વિગતવાર ચર્ચા અને આગળની કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે. પ્રસ્તાવિત કાયદાનો હેતુ નાગરિક બાબતો માટે એક સમાન કાનૂની માળખું બનાવવાનો છે, જે આ કોડના દાયરામાં આવતી બાબતોમાં અલગ-અલગ સમુદાયો માટેના અલગ-અલગ પર્સનલ કાયદાઓનું સ્થાન લેશે.

શું છે UCC વિધેયક?

સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયકનો હેતુ લગ્ન, છૂટાછેડા, વારસો, દત્તક લેવા અને ઉત્તરાધિકાર જેવી બાબતોમાં ધર્મથી પર જઈને તમામ નાગરિકો માટે એક સમાન નાગરિક કાયદો લાગુ કરવાનો છે. વર્તમાન સમયમાં અલગ-અલગ ધાર્મિક સમુદાયો માટે આ બાબતોમાં અલગ-અલગ પર્સનલ લો લાગુ પડે છે. પ્રસ્તાવિત કાયદાનું લક્ષ્ય આ તમામને હટાવીને એક સમાન કાનૂની માળખું તૈયાર કરવાનું છે.