શિંદે અને રાજની મીટિંગના અહેવાલો વચ્ચે ઉદ્ધવે લીધો મોટો નિર્ણય, મનસેને જોરદાર ઝટકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Uddhav vs Raj Thackeray: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ઠાકરે વિરુદ્ધ ઠાકરેનો જંગ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને મનસે(MNS) પ્રમુખ રાજ ઠાકરેની મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ તાત્કાલિક મોટો નિર્ણય લીધો છે. શિવસેના(UBT)એ મુંબઈ મહાનગરપાલિકા(BMC) માટે પોતાના ક્વોટાના ત્રણ સ્વીકૃત(Nominated) નગરસેવકોના નામ પર મહોર મારી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાઈનાથ દુર્ગે, માધુરી માંજરેકર અને કૈલાશ પાઠકના નામોને મંજૂરી આપવામાં આવી છે, જેની સત્તાવાર જાહેરાત 28 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.
કેમ ઉદ્ધવ ઠાકરેએ ઉતાવળમાં લીધો નિર્ણય?
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ રાજ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેની વધતી નિકટતા માનવામાં આવે છે. બુધવારે રાજ ઠાકરેએ શિંદેના નિવાસસ્થાન 'નંદનવન' ખાતે તેમની મુલાકાત લીધી હતી. બીજી તરફ, રાજ ઠાકરેએ ઉદ્ધવ સેના પાસે તેમના ક્વોટામાંથી એક નગરસેવક મનસેને આપવાની માંગ કરી હતી. જોકે, ઉદ્ધવ ઠાકરેએ ત્રણેય નામ પોતાના પક્ષમાંથી જ નક્કી કરીને રાજ ઠાકરેની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. ઉદ્ધવ જૂથ ઈચ્છતું હતું કે રાજ ઠાકરે શિંદે કે ભાજપ સાથે કોઈ સંપર્ક ન રાખે, પરંતુ આ મુલાકાતે સમીકરણો બદલી નાખ્યા છે.
BMC ચૂંટણીના પરિણામો અને બદલાયેલું વર્ચસ્વ
તાજેતરની BMC ચૂંટણીના પરિણામોએ મુંબઈના રાજકારણમાં 44 વર્ષ બાદ એક ઐતિહાસિક પલટો લાવી દીધો છે. ભાજપના રિતુ તાવડે મુંબઈના નવા મેયર તરીકે ચૂંટાઈ આવતાની સાથે જ મુંબઈ મહાનગરપાલિકા પર શિવસેનાનું ત્રણ દાયકા જૂનું વર્ચસ્વ સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે. બેઠકોના ગણિતની વાત કરીએ તો, 227 બેઠકો ધરાવતી BMCમાં ભાજપે 89 બેઠકો અને એકનાથ શિંદે જૂથે 29 બેઠકો મેળવી છે, જેનાથી આ ગઠબંધને 114ના બહુમતીના આંકડાને સરળતાથી વટાવી દીધો છે. બીજી તરફ, વિપક્ષમાં રહેલી ઉદ્ધવ ઠાકરેની સેનાને 65 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે, જ્યારે તેમની સહયોગી મનસેને માત્ર 6 બેઠકો મળતા આ ગઠબંધન બહુમતીના આંકડાથી ઘણું દૂર રહી ગયું છે.
આ પણ વાંચો: મેઘાલયમાં ફૂટબોલ રમતાં શિલોંગના સાંસદને હાર્ટ એટેક આવતા કરુણ મોત, રાજકારણમાં શોકનો માહોલ
શું થશે આગામી વ્યૂહરચના?
શિવસેના(UBT) એકનાથ શિંદે જૂથને પોતાના કટ્ટર વિરોધી માને છે. હવે જ્યારે રાજ ઠાકરે અને શિંદે વચ્ચે વાતચીત શરૂ થઈ છે, ત્યારે ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંગઠનને મજબૂત કરવા અને સ્વીકૃત નગરસેવકો દ્વારા પોતાની પકડ જાળવી રાખવા આ કડક વલણ અપનાવ્યું છે.








