India

મહાબળેશ્વર નજીક 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી કાર, 8 લોકોના દર્દનાક મોત, દૂરબીનથી મૃતદેહોની શોધખોળ

By GS Team
25 May 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના પ્રખ્યાત હિલ સ્ટેશન મહાબળેશ્વર નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો છે. કોંકણથી પરત ફરી રહેલા પ્રવાસીઓની એક સ્કોર્પિયો કાર અનિયંત્રિત થઈને આશરે 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દર્દનાક દુર્ઘટનામાં સતારાના 8 યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. ખીણ અતિશય ઊંડી હોવાના કારણે દૂરબીનની મદદથી મૃતદેહોની શોધખોળ કરવામાં આવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહાબળેશ્વર નજીક 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી કાર, 8 લોકોના દર્દનાક મોત, દૂરબીનથી મૃતદેહોની શોધખોળ

Mahabaleshwar car accident: મહારાષ્ટ્રના પ્રખ્યાત હિલ સ્ટેશન મહાબળેશ્વર નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો છે. કોંકણથી પરત ફરી રહેલા પ્રવાસીઓની એક સ્કોર્પિયો કાર અનિયંત્રિત થઈને આશરે 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દર્દનાક દુર્ઘટનામાં સતારાના 8 યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. ખીણ અતિશય ઊંડી હોવાના કારણે દૂરબીનની મદદથી મૃતદેહોની શોધખોળ કરવામાં આવી રહી છે.

કોંકણથી પરત ફરતા વહેલી સવારે અકસ્માત

મળતી માહિતી અનુસાર, આ ભયાનક અકસ્માત રાયગઢના આંબેનલી ઘાટ પર રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ વહેલી સવારે આશરે 2:45 વાગ્યે સર્જાયો હતો. અકસ્માતનો ભોગ બનેલી સ્કોર્પિયો કાર સતારા જિલ્લાના કોરેગાંવ તાલુકાના આસગાંવની છે. આ તમામ યુવકો કોંકણના હરણાઈ બીચથી ફરીને વહેલી સવારે પોલાદપુર માર્ગ થઈને સતારા તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઇવરે કાર પરથી નિયંત્રણ ગુમાવતાં કાર સીધી ઊંડી ખીણમાં પડી ભાંગી હતી.

2018ની એ ગોઝારી બસ દુર્ઘટનાની યાદ તાજી થઈ

આ અકસ્માત એ જ જગ્યાની આસપાસ થયો છે, જ્યાં વર્ષ 2018માં દાપોલી કૃષિ યુનિવર્સિટીની બસ ખીણમાં ખાબકી હતી અને મોટો હોબાળો મચ્યો હતો. પોલાદપુર પોલીસ સ્ટેશનના અધિકારી આનંદ રાવડેએ જણાવ્યું કે, વહેલી સવારે અંધારામાં કાર પરથી કાબૂ ગુમાવવાને કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો: આગઝરતી ગરમી: મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2 ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ, યુપીના બાંદામાં 46.8 ડિગ્રી

1500 ફૂટ ઊંડી ખીણમાં દૂરબીન વડે હાથ ધરાયું રેસ્ક્યુ ઓપરેશન

અકસ્માતની જાણ થતાં જ પોલાદપુર પોલીસની ટીમ સહિત મહાબળેશ્વર ટ્રેકર્સ, પ્રતાપગઢ રેસ્ક્યુ ટીમ, સિસ્કેપ મહાડ પોલાદપુર, આપદા મિત્ર અને સ્થાનિક લોકોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ખીણ ખૂબ જ ઊંડી હોવાના કારણે શરૂઆતમાં બચાવ દળે દૂરબીનની મદદથી તપાસ શરૂ કરી હતી, જેમાં પહેલો મૃતદેહ દેખાયો હતો. અતિશય મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે રેસ્ક્યુ ટીમને આશરે 500થી 700 ફૂટની ઊંડાઈએથી 2 મૃતદેહો બહાર કાઢવામાં સફળતા મળી છે.

તમામ મૃતકો સતારાના રહેવાસી

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સ્કોર્પિયો ગાડીમાં સવાર તમામ પ્રવાસીઓ સતારા, આસગાંવ અને કોરેગાંવ વિસ્તારના રહેવાસી હતા. હાલમાં પોલીસ અને સ્થાનિક બચાવ દળ દ્વારા અકસ્માતગ્રસ્ત ગાડી અને બાકીના અન્ય યુવકોના મૃતદેહોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.