(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૭
ભારતનાં ટોચનાં ૧૦ ટકા ગ્રામીણ પરિવારો પાસે ૪૪ ટકા જમીન છે
જ્યારે ૪૬ ટકા ગ્રામીણ પરિવારો જમીન વગરનાં છે તેમ વર્લ્ડ ઇનઇકવાલિટી લેબ દ્વારા
જારી એક વર્કિંગ પેપરમાં જણાવવામાં આવ્યું છે.
'લેન્ડ
ઇનઇકવાલિટી ઇન ઇન્ડિયા ઃ નેચર,
હિસ્ટરી એન્ડ માર્કેટ્સ'
નામનાં પેપરમાં જણાવવામાં આવ્યું છે કે ટોચનાં પાંચ ટકા પરિવારો પાસે ૩૨ ટકા
જમીન છે. જ્યારે ટોચનાં એક ટકા લોકો પાસે ૧૮ ટકા ગ્રામીણ જમીન છે.
આ પેપર નિતીનકુમાર ભારતી, ડેવિડ બ્લેક્સલી અને સમીરન મલિકે સંયુક્તપણે લખ્યું છે. આ
પેપરમાં ભારતમાં જમીનનાં માલિકી હક અંગે અત્યાર સુધી એકત્ર કરવામાં આવેલા સૌથી
મોટા ડેટાબેઝ પૈકીનાં એકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ડેટાબેઝમાં ૨,૭૦,૦૦૦ ગામોનાં ૬૫
કરોડ લોકોને સામેલ કરવામાં આવ્યા છે. પેપરમાં જણાવવામાં આવ્યું છે કે ગામનાં સૌથી
મોટા જમીન માલિક પાસે ગામની સરેરાશ ૧૨ ટકા જમીન હોય છે.
કેટલાક ગામો એવા છે કે જ્યાં એક જ વ્યકિત પાસે ગામની અડધાથી
વધુ જમીન હોય છે. વર્લ્ડ ઇનઇકવાલિટી લેબ (ડબ્લ્યુઆઇએલ) એક રિસર્ચ લેબ છે જે
મુખ્યત્વે પેરિસ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં સ્થિત છે.
પેપર અનુસાર ભારતનાં અલગ અલગ રાજ્યોમાં જમીનની અસમાનતાનાં
સ્તરોમાં એટલી વધારે વિવિધતા છે જેટલી કે વિશ્વનાં અલગ અલગ દેશો વચ્ચે હોય છે.


