India

નેપાળમાં જળપ્રલયથી મૃતકાંક 600ને વટાવી ગયો, 2500થી વધુ હજુ ગુમ, ફરી એક મોટી આફતના સંકેત

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
નેપાળમાં ગ્લેશિયર ફાટતાં ભયાનક પૂર આવ્યું છે, જેમાં 626 લોકોના મોત થયા છે અને 2,500થી વધુ ગુમ છે. કૌશિકી અને ભોટેકોશી નદી કિનારાની વસાહતો, રસ્તાઓ, પુલ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ જમીનદોસ્ત થયા છે. 320થી વધુ ભારતીય નાગરિકો સંપર્કવિહોણા છે, જેમાં 100 ભારતીયો ત્રિશૂલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાઇટ પર ફસાયા હોવાની આશંકા છે. નેપાળી સેના રાહતકાર્યમાં જોતરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળમાં જળપ્રલયથી મૃતકાંક 600ને વટાવી ગયો, 2500થી વધુ હજુ ગુમ, ફરી એક મોટી આફતના સંકેત

Nepal Flash Flood : કહેવાય છે કે જ્યારે કુદરત રુઠે તો મોટી આફત લાવે છે તેનું ઉદાહરણ નેપાળમાં દેખાયું. નેપાળમાં અચાનક આવેલી ભયાનક પૂરની હોનારતે હાહાકાર મચાવી દીધો. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 626 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે આશરે 2,500થી વધુ લોકો હજુ ગુમ હોવાના અહેવાલ છે. પૂરના તીવ્ર પ્રવાહ અને કાદવ-કીચડ અને કાટમાળના કારણે કૌશિકી અને ભોટેકોશી નદી કિનારાની અસંખ્ય વસાહતો, રસ્તાઓ, પુલ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ જમીનદોસ્ત થઈ ગયા છે.

320થી વધુ ભારતીય નાગરિકો સંપર્કવિહોણા

આ દુર્ઘટનામાં મોટા પ્રમાણમાં ભારતીય નાગરિકો પણ ફસાયેલા છે. ભારતના વિદેશ મંત્રાલયની અપડેટ મુજબ, 320 ભારતીયો અને ભારતીય મૂળના 100 લોકો સાથે હજુ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી. જેમાં 100 જેટલા ભારતીયો ત્રિશૂલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાઇટ પર અટવાયેલા હોવાની આશંકા છે. જોકે, રાહતની વાત એ છે કે તિબેટમાં આશરે 400 ભારતીયો સુરક્ષિત છે અને તેમની સાથે સંપર્ક થઈ ચૂક્યો છે.

ગ્લેશિયર ફાટતાં સર્જાઈ કુદરતી હોનારત

પ્રાથમિક તપાસ મુજબ, આ ભયાનક આફતની શરૂઆત ઊંચા પર્વતીય વિસ્તારમાં ગ્લેશિયર તૂટવાથી થઈ હતી. ગ્લેશિયરનો મોટો હિસ્સો બરફ અને પથ્થરો સાથે લેંડે નદીમાં ખાબક્યો હતો. આ કુદરતી અવરોધ અચાનક તૂટતાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં વિનાશક પૂરની લહેર આવી હતી.

નદીમાં બનેલી કૃત્રિમ તળાવથી ફરી પૂરનો ભય

પહેલી તબાહી બાદ હવે નદીના ઉપરી હિસ્સામાં કાટમાળ જમા થવાને કારણે સર્જાયેલું કૃત્રિમ સરોવરે નવી ચિંતા ઉપજાવી છે. સેટેલાઇટ તસવીરો મુજબ, આ ડેમ જેવા બનેલા સરોવરમાં આશરે 20 લાખ ક્યુબિક મીટર પાણી એકઠું થઈ ગયું છે અને આગામી દિવસોમાં વધુ પાણી ઉમેરાવાની ભીતિ છે. જો આ કુદરતી દીવાલ તૂટશે તો નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર અચાનક જળપ્રલય આવી શકે છે.

36થી વધુ બ્રિજ ધ્વસ્ત, સેનાની રાહત કામગીરી

પૂરના કારણે 36થી વધુ પુલો વહી જતાં 90 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે અને અનેક ગામડાઓનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. રસ્તાઓ ફરી ચાલુ કરવા નેપાળે ભારત અને ચીન પાસે 42 બેલી બ્રિજ બનાવવા માટે મદદ માંગી છે. હાલ નેપાળી સેનાના 2,300થી વધુ જવાનો સહિત 7,451 સુરક્ષાકર્મીઓ રાહત અને બચાવ કાર્યમાં ખડેપગે તૈનાત છે.