'પેપર લીક કરનારાઓને છોડવામાં નહીં આવે' : PM મોદીનો સોશિયલ મીડિયા પર કડક મેસેજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi On Anti Paper Leak Bill Passed In Parliament : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો સંદેશ જાહેર કરીને દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સંસદે દેશની પરીક્ષા પદ્ધતિને વધુ મજબૂત અને પારદર્શી બનાવતું મહત્વનું બિલ પસાર કરી દીધું છે.
સંસદના બંને સદનોમાં 'એન્ટી પેપર લીક બિલ' પસાર
દેશભરમાં NEET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે સંસદમાં નવો કાયદો બનાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ 'એન્ટી પેપર લીક બિલ' ધ્વનિમતથી પસાર કરી દેવામાં આવ્યું છે. રાજ્યસભાની મંજૂરી મળતાં જ આ બિલ હવે રાષ્ટ્રપતિની સહી બાદ કાયદો બનવાથી માત્ર એક ડગલું દૂર છે.
દાયકાઓ જૂની સમસ્યાનો કાયમી ઉકેલ
વડાપ્રધાને કહ્યું કે, છેલ્લા કેટલાક દાયકાઓથી દેશનું દરેક રાજ્ય અને કેન્દ્ર સરકાર પેપર લીકની ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે. આ ગેરરીતિઓને કારણે લાખો નિર્દોષ બાળકોના ભવિષ્ય સામે મોટું સંકટ ઊભું થઈ રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સમગ્ર દેશની શિક્ષણ વ્યવસ્થામાં મોટા પાયે સુધારા કરવા અનિવાર્ય બની ગયા છે.
પેપર લીક ગેંગ સામે કડક કાયદાકીય કાર્યવાહી
શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા PM મોદીએ કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે દેશના બાળકોના ભવિષ્ય સાથે રમત રમતી પેપર લીક ગેંગ અને પેપર માફિયાઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. આવા ગુનાઓને રોકવા માટે જ દેશમાં કડક કાયદા લાવવામાં આવ્યા છે.
ટાસ્ક ફોર્સ અને ફાસ્ટ ટ્રેક સિસ્ટમ પર ભાર
પરીક્ષાઓમાં ગડબડ રોકવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવા, ફાસ્ટ ટ્રેક અદાલતો ઊભી કરવા અને તમામ રાજ્યોના સૂચનોને ધ્યાનમાં લેવા માટે સરકાર સતત પગલાં ભરી રહી છે. આવી અન્યાયી પરિસ્થિતિઓને લાંબા સમય સુધી ચાલવા દેવામાં નહીં આવે અને પરીક્ષા સુધારાનું આ કામ આગળ પણ સતત ચાલુ રહેશે.
રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો અને વોકઆઉટ
રાજ્યસભામાં બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષી સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અંગે નિવેદનની માંગ કરીને ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષના આ વલણ પર ગૃહના નેતા જે. પી. નડ્ડાએ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે વિપક્ષ પાસે હવે કોઈ મુદ્દો બચ્યો નથી અને તેઓ જવાબ સાંભળવાને બદલે ભાગી રહ્યા છે.
સરકારનો દાવો: વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય
સંસદીય કાર્યમંત્રી ડો. જિટેન્દ્ર સિંહે બિલ રજૂ કરતા જણાવ્યું હતું કે આ મુદ્દો દેશના દરેક પરિવાર સાથે જોડાયેલો છે. સરકારે મેનેજમેન્ટ કોટા નાબૂદ કરીને તબીબી શિક્ષણ સૌ માટે સરળ બનાવ્યું છે. આ સિવાય સાંસદ રાઘવ ચઢ્ઢાએ ઉમેર્યું હતું કે સરકારે માત્ર 75 દિવસમાં ચાર્જશીટ દાખલ કરીને ઝડપી કાર્યવાહી કરી છે અને ભવિષ્યમાં NEET પરીક્ષા કોમ્પ્યુટર આધારિત સિસ્ટમથી લેવામાં આવશે.
લોકસભામાં 'વંદે માતરમ્ બિલ' પણ પસાર
બીજી તરફ, લોકસભામાં પણ હંગામા વચ્ચે 'વંદે માતરમ્ બિલ' પસાર કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ બંને ગૃહોની કાર્યવાહી 31 જુલાઈ, શુક્રવાર સુધી સ્થગિત કરવામાં આવી છે.









