India

'જેને E20 પેટ્રોલ નથી જોઈતું તે વધુ પૈસા આપી 100% પેટ્રોલ ખરીદે..', નીતિન ગડકરીનું નિવેદન

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ E20 ઇંધણ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, ગ્રાહકો ઇચ્છે તો 100% શુદ્ધ પેટ્રોલ વધુ કિંમતે ખરીદી શકે છે. IIT કાનપુરના અભ્યાસ મુજબ, E20 થી એન્જિનને નુકસાન થતું નથી. સરકારી તેલ કંપનીઓએ ગુણવત્તા તપાસ સઘન બનાવી છે. માઇલેજ ઘટવા પાછળ ઇંધણ નહીં, પણ ડ્રાઇવિંગ પદ્ધતિ જવાબદાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'જેને E20 પેટ્રોલ નથી જોઈતું તે વધુ પૈસા આપી 100% પેટ્રોલ ખરીદે..', નીતિન ગડકરીનું નિવેદન

E20 Petrol Ethanol Blending Nitin Gadkari Statement 2026 : દેશમાં પેટ્રોલમાં 20% ઇથેનોલના મિશ્રણ એટલે કે E20 ફ્યુઅલને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વિવિધ ચર્ચાઓ અને આશંકાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જે ગ્રાહકોને ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ન જોઈતું હોય, તેઓ પેટ્રોલ પંપ પર જઈને 100% શુદ્ધ પેટ્રોલ ખરીદી શકે છે, પરંતુ તેના માટે તેમણે સામાન્ય કરતાં વધુ કિંમત ચૂકવવી પડશે. આ સાથે જ ઇંધણની ગુણવત્તા અંગે ગ્રાહકોનો ભરોસો જાળવી રાખવા માટે સરકારી તેલ કંપનીઓએ પણ દેશભરમાં તપાસ અભિયાન તેજ કર્યું છે.

દેશના દરેક ફ્યુઅલ સ્ટેશન પર E20 ઉપલબ્ધ

જ્યારે કેન્દ્રીય મંત્રીને પૂછવામાં આવ્યું કે, શું પેટ્રોલ પંપો પર E10 (10% ઇથેનોલ) ઇંધણનો વિકલ્પ આપવાની કોઈ શક્યતા છે? ત્યારે તેમણે જવાબ આપ્યો કે, જ્યારે દેશે 20% ઇથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો છે અને E20 ઇંધણ દેશના દરેક ફ્યુઅલ સ્ટેશન પર ઉપલબ્ધ છે, તો તે કેવી રીતે શક્ય બને? ગડકરીએ અગાઉ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇથેનોલ મિશ્રિત ઇંધણના કારણે વાહનો ખરાબ થવાની કોઈ સમસ્યા સામે આવી નથી.

IIT કાનપુરનો મોટો દાવો: એન્જિન સુરક્ષિત છે

બીજી તરફ, પ્રતિષ્ઠિત સંસ્થા IIT કાનપુરના સંશોધકોએ પણ E20 ઇંધણ અંગે ચાલી રહેલી અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. IIT કાનપુરના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગની ‘એન્જિન રિસર્ચ લેબોરેટરી’ ના પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ ધ્રુવ રાજ કરણાએ જણાવ્યું હતું કે, એક મોટા પાયે કરવામાં આવેલા વૈજ્ઞાનિક અભ્યાસમાં સામે આવ્યું છે કે E20 ફ્યુઅલથી વાહનના એન્જિનને કોઈ નુકસાન થતું નથી, તેમાં કાટ લાગતો નથી કે અન્ય કોઈ ટેકનિકલ સમસ્યા ઊભી થતી નથી.

માઇલેજ ઘટવા પાછળ ઇંધણ નહીં, ડ્રાઇવિંગની આદતો જવાબદાર

IIT કાનપુરના રિપોર્ટ અનુસાર, સંશોધનમાં E20 ના કારણે વાહનોના માઇલેજમાં કોઈ ખાસ ઘટાડો નોંધાયો નથી. માઇલેજમાં આવતો સામાન્ય બદલાવ ઇંધણના કારણે નહીં, પરંતુ વાહન ચલાવવાની પદ્ધતિ, રસ્તાની સ્થિતિ અને ગાડીના સમયસર મેન્ટેનન્સ પર વધુ આધાર રાખે છે. અત્યાર સુધીના તમામ પરીક્ષણોમાં એન્જિનની ટકાઉક્ષમતા કે ગાડીની સ્પીડ પર E20 ની કોઈ નકારાત્મક અસર જોવા મળી નથી.

તેલ કંપનીઓએ શરૂ કરી કડક તપાસ

સોશિયલ મીડિયા પર ફેલાયેલી ચિંતાઓને પગલે દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) એ પોતાના રીટેલ આઉટલેટ્સ પર ઇંધણની ગુણવત્તાની ચકાસણી ખૂબ જ કડક બનાવી દીધી છે. આ કંપનીઓએ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયાની અપ્રમાણિત પોસ્ટ્સ પર વિશ્વાસ ન કરે અને ગુણવત્તા સંબંધિત કોઈ પણ ફરિયાદ હોય તો સીધા પેટ્રોલ પંપ પર અથવા કંપનીના સત્તાવાર ગ્રાહક સેવા કેન્દ્ર (કસ્ટમર કેર) નો સંપર્ક કરી નોંધાવે.