‘એટલે કે સિસ્ટમ ફેઇલ થઈ ગઈ છે...’ CJPના આંદોલન વચ્ચે કિરણ બેદીનું નિવેદન ચર્ચામાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kiran Bedi On CJP Jantar Mantar Protest : નીટ(NEET) પેપર લીકની ઘટના બાદ જંતર-મંતરથી શરૂ થયેલું 'કોકરોચ જનતા પાર્ટી'(CJP)નું આંદોલન હવે દેશવ્યાપી વિવાદનું કેન્દ્ર બન્યું છે. શૈક્ષણિક અન્યાય સામે રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓ, પોલીસ સાથેની હિંસક અથડામણો અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ વચ્ચે દેશના વહીવટી માળખાની નિષ્ફળતા ખુલ્લી પડી ગઈ છે. આ સમગ્ર ઘટનાક્રમ પર દેશના પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી અને પુડુચેરીના પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદીએ શાસન-પ્રશાસન અને શૈક્ષણિક સંસ્થાઓની આકરી ઝાટકણી કાઢી છે.
ટીવી કે સોશિયલ મીડિયાનો 'નેરેટિવ' નકલી, અસલી ગુનેગાર તંત્રની બહેરાશ
મીડિયા અને સોશિયલ મીડિયામાં એકબીજા સામે ચાલતા ચિત્રણ પર પ્રહાર કરતાં કિરણ બેદીએ સ્પષ્ટ કર્યું કે, ટીવી ચેનલો પર ઘાયલ પોલીસકર્મીઓ અને સોશિયલ મીડિયા પર ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની તસવીરો દર્શાવીને માત્ર સંઘર્ષનો એક પક્ષ રજૂ કરાઈ રહ્યો છે. મૂળ મુદ્દો એ નથી કે કોણ ઘાયલ થયું, પરંતુ અસલી નુકસાન 'જવાબદેહી'(Accountability)નું થયું છે. જ્યારે પોલીસ અને વિદ્યાર્થીઓ સામસામે આવી જાય છે, તેનો સીધો અર્થ એ છે કે શાસકીય સિસ્ટમ પહેલાથી જ સંપૂર્ણપણે ફેઇલ થઈ ચૂકી છે.
સંસ્થાઓના દરવાજા બંધ થતાં જ આક્રોશ રસ્તા પર ઉતરે છે
કિરણ બેદીએ આકરા શબ્દોમાં જણાવ્યું કે, કોઈ પણ વિદ્યાર્થી રસ્તા પર ઉતરીને વિરોધ કરવા કે હિંસા કરવા માટે ઉત્સુક નથી હોતો. શૈક્ષણિક સંસ્થાઓનું કામ માર્ગદર્શન આપવાનું અને સુનાવણી કરવાનું છે. પરંતુ જ્યારે સંસ્થાઓના દરવાજા બંધ થઈ જાય છે, વિદ્યાર્થીઓની ફરિયાદોને સતત અનસુની કરવામાં આવે છે અને સંવાદ સંપૂર્ણપણે તૂટી જાય છે, ત્યારે જ વિદ્યાર્થીઓનો આક્રોશ રસ્તાઓ પર ઉતરી આવે છે. સિસ્ટમની આ બહેરાશ જ આંદોલનને ઉગ્ર બનાવે છે.
પોલીસને આગળ ધરીને જવાબદારીમાંથી છટકવાનો વિરોધ
તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતાં તેમણે સુઝાવ આપ્યો કે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વખતે તુરંત પોલીસને લાઠી કે હથિયારો સાથે સામે લાવવી એ વહીવટી તંત્રની કાયરતા છે. સૌથી પહેલા 'સિવિલ ડિફેન્સ' અને બિન-હથિયારધારી મધ્યસ્થોને આગળ કરવા જોઈએ. પોલીસને પાછળ રાખવી જોઈએ અને જ્યારે જાન-માલનું ભારે જોખમ ઊભું થાય ત્યારે જ બળપ્રયોગની નોબત આવવી જોઈએ.
પારદર્શકતા અને સુનાવણી વગર ઉકેલ અશક્ય
સુધારા માટે કડક શબ્દોમાં ચિંતન રજૂ કરતા તેમણે માંગ કરી છે કે દરેક વાઇસ ચાન્સેલર, પ્રિન્સિપાલ, ડીન અને સરકારી અધિકારીઓએ કોઈ પણ પ્રોટોકોલ વગર રોજ વિદ્યાર્થીઓની ફરિયાદો સાંભળવી જ પડશે. આ સાથે જ દરેક ફરિયાદનું ડિજિટલ ટ્રેકિંગ થવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓને ખબર પડે કે તેમની સમસ્યા પર શું પગલાં લેવાયા. જ્યાં સુધી પ્રશાસન પારદર્શકતા અને સંવાદની નીતિ નહીં અપનાવે, ત્યાં સુધી આંદોલનોને ડામવાના તમામ સરકારી પ્રયાસો નિષ્ફળ જ રહેશે.









