‘ચોર... ચોર...’ મમતા બેનરજીની રેલીમાં બબાલ, TMC-BJP સમર્થકો વચ્ચે છુટ્ટા હાથની મારામારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kolkata Mamata Banerjee Rally : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલી દરમિયાન ભારે હોબાળો અને હંગામો થયો છે. બાલીગંજ ફાડીથી હાજરા મોડ સુધી કાઢવામાં આવી રહેલી રેલી દરમિયાન TMC અને BJPના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા, અને તેમની વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ભારે ધક્કામુક્કી જોવા મળી હતી. રેલી જ્યારે તેના નક્કી કરેલા રૂટ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે જ બંને પક્ષના સમર્થકો આમને-સામને આવી ગયા હતા. જોતજોતામાં પરિસ્થિતિ વણસી ગઈ, અને બંને પક્ષો વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું. ત્યાં હાજર ભારે ભીડે એકબીજા વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા, અને કાર્યકર્તાઓએ એકબીજા પર નિશાન સાધતા 'ચોર, ચોર' ના નારા પણ લગાવ્યા હતા.
પોલીસે સંભાળ્યો મોરચો
ઘટનાની માહિતી મળતાં જ સુરક્ષા દળો, અને સ્થાનિક પોલીસના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અધિકારીઓએ વચ્ચે પડીને બંને રાજકીય પક્ષોના ઉગ્ર કાર્યકર્તાઓને એકબીજાથી અલગ કર્યા હતા. આ ઝપાઝપી અને સૂત્રોચ્ચારના કારણે રેલીના રૂટ પર થોડા સમય માટે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પોલીસ અને વહીવટી તંત્ર પર ભડક્યા મમતા બેનર્જી
આ રેલીમાં થયેલા હોબાળા પર મમતા બેનર્જીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'કોલકાતા હાઈકોર્ટે અમારી રેલીને મંજૂરી આપી હતી, પરંતુ ભાજપના ગુંડાઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો.' પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, 'રામનું નામ બદનામ ન કરો. જ્યારે હાઈકોર્ટે રેલીની પરવાનગી આપી દીધી હતી, તો પોલીસે આવું કેવી રીતે થવા દીધું? હું ભાજપને દોષ નથી આપી રહી. હું પોલીસ અને વહીવટી તંત્રને દોષી માનું છું. તમારી નૈતિક જવાબદારી બનતી હતી કે, અમે શાંતિપૂર્ણ રીતે આ રેલી યોજી શકીએ. પરંતુ તેના બદલે તમે શું કર્યું? તમે ભાજપના લોકોને 10 સ્ટેજ, ડાયસ (મંચ) અને માઈક્રોફોન લગાવવાની મંજૂરી આપી દીધી.હાઈકોર્ટે અમને હેન્ડ માઈક વાપરવાની મંજૂરી આપી હોવા છતાં, તમે અમારા હેન્ડ માઈક તોડી નાંખ્યા, અને અમારા કાર્યકર્તાઓને બેરહેમીથી માર માર્યો. તેઓ હોસ્પિટલ જવા માટે પણ સક્ષમ નથી. તેમણે મહિલાઓ, યુવકો, યુવતીઓ અને વરિષ્ઠ નાગરિકોને પણ ન છોડ્યા, અને તેમને માર માર્યો. મને એવા સમાચાર મળ્યા કે, અમારા આઈટી સેલ (IT Cell)ના મહિલા ચેરમેનને ઘેરી લીધા હતા, અને તેમની સાથે મારપીટ કરવામાં આવી રહી હતી, એટલા માટે જ હું પોતે તેમને બચાવવા માટે ઘટનાસ્થળે ગઈ હતી.'
પોલીસની કામગીરી પર સવાલ
પોલીસ વ્યવસ્થા પર સવાલો ઉઠાવતા મમતા બેનર્જીએ કહ્યું કે, 'જો આવું જ ચાલતું રહેશે, તો કાયદો ક્યાં છે? અહીં સંપૂર્ણપણે અરાજકતાનો માહોલ છે. આ તો ઉત્તર પ્રદેશ (UP) કરતાં પણ વધુ ખરાબ સ્થિતિ છે. જ્યારે પોલીસ જાણતી હતી કે, હાઈકોર્ટનો આદેશ છે, છતાં તેમણે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કેવી રીતે કર્યું? આ અદાલતની અવમાનના (Contempt of Court) છે. પોલીસ શાંતિપ્રિય લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે, અને માત્ર અમારા કાર્યકર્તાઓ પર અત્યાચાર ગુજાર્યો છે. અમે આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ.'









