- આરોપીને સાંભળ્યા વગર આદેશ ઇશ્યૂ ના કરી શકાય : અલ્લાહાબાદ હાઇકોર્ટ
- બ્રિટિશ નાગરિકતાના જુઠા આરોપો મુદ્દે સુપ્રીમ અરજી ફગાવી ચુકી હોવા છતા હાઇકોર્ટનો આદેશ આશ્ચર્યજનક : ગેહલોત
- એક દિવસ અગાઉ જ રાહુલ સામે ફરિયાદ કરવા, કેન્દ્રને કેસ સોંપવાની છૂટ આપતો આદેશ કર્યો હતો
અલ્લાહાબાદ : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાસે ભારત ઉપરાંત બ્રિટનની પણ નાગરિકતા હોવાનો આરોપ લગાવતી એક અરજી અલ્લાહાબાદ હાઇકોર્ટમાં થઇ હતી, પરિણામે હાઇકોર્ટે રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. હવે હાઇકોર્ટે પોતાના જ આ આદેશ પર હાલ સ્ટે મુકી દીધો છે અને સ્પષ્ટતા કરી છે કે આરોપીને સાંભળ્યા વગર કોઇ નિર્ણય ના લઇ શકાય.
કર્ણાટકના ભાજપના એક કાર્યકર્તા વિગ્નેશ શિશિરની અપીલ પર એક દિવસ પહેલા જ હાઇકોર્ટના ન્યાયાધીશ સુભાષ વિદ્યાર્થીએ ઉત્તર પ્રદેશ પોલીસને રાહુલ ગાંધીની સામે ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો હતો. એટલુ જ નહીં ઉત્તર પ્રદેશ સરકારને આ મામલે સીબીઆઇ તપાસ કરી શકે માટે કેન્દ્રને તપાસ સોંપવાની છૂટ પણ આપી હતી. ફરિયાદીનો દાવો છે કે રાહુલ ગાંધી બ્રિટનમાં એક કંપની સાથે જોડાયા ત્યારે પોતાને બ્રિટિશ નાગરિક જાહેર કર્યા હતા. તેથી તેની ભારતીય નાગરિકતા રદ કરવામાં આવે અને તેની સામે વિદેશી, પાસપોર્ટ વગેરેના કાયદાઓ હેઠળ ફરિયાદ કરવામાં આવે.
અગાઉ લખનઉની એમપી, એમએલએ કોર્ટે રાહુલ સામે કાર્યવાહીનો આદેશ આપવાની ના પાડી દેતા મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો.
જોકે હવે હાઇકોર્ટે ફરિયાદનો આદેશ તો આપ્યો પણ અંતે તેને અપલોડ નથી કરાયો અને તેને હાલ સ્ટે પર રાખવામાં આવ્યો છે. સાથે એવી સ્પષ્ટતા કરી છે કે રાહુલ ગાંધીની સામે હાલ કોઇ ફરિયાદ દાખલ નહીં થાય, ફરિયાદનો જે આદેશ જારી થયો તે રાહુલ ગાંધીને નોટિસ મોકલતા પહેલા ઇશ્યૂ ના કરી શકાય. હવે રાહુલ ગાંધીને હાઇકોર્ટ સાંભળશે પછી આગળનો નિર્ણય લેશે. આ મામલે હવે ૨૦મી એપ્રીલે વધુ સુનાવણી કરવામાં આવશે. બીજી તરફ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરીષ્ઠ નેતા અશોક ગેહલોતે ફરિયાદ દાખલ કરવાના અગાઉના હાઇકોર્ટના આદેશ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ જ પ્રકારની માગ કરતી અરજીને અલ્લાહાબાદ હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ ફગાવી ચુકી છે. પાયા વિહોણા આરોપોની તપાસ માટે ફરિયાદનો આદેશ આપવો આશ્ચર્યજનક છે.


