Get The App

હિમાલય અને આબુમાં યોગીથી ન્યુક્લિયર સાયન્ટિસ્ટ સુધી... જાણો સ્વામી જ્ઞાનાનંદનું રોમાંચક જીવન

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
હિમાલય અને આબુમાં યોગીથી ન્યુક્લિયર સાયન્ટિસ્ટ સુધી... જાણો સ્વામી જ્ઞાનાનંદનું રોમાંચક જીવન 1 - image
Image Source - @Fintech03 (Twitter) And AI Generated

Swami Gnanananda Biography : હિમાલયમાં તપસ્યા કરનારા સંત વિજ્ઞાની બને, અણુઓના રહસ્યો ઉકેલવા યુરોપ જાય, અને પછી ભારત પરત આવીને પરમાણુ ભૌતિકશાસ્ત્રનો પાયો નાંખે, એ વાત કોઈ ફિલ્મની કહાની જેવી લાગે છે. જો કે, આ કોઈ કહાની નહીં, હકીકત છે. વાત છે સ્વામી જ્ઞાનાનંદની. 20મી સદીના પ્રારંભમાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને ઘણીવાર પરસ્પર વિરોધાભાસી ગણાતા હતા, ત્યારે આંધ્ર પ્રદેશના આ સાધુએ સાબિત કર્યું કે, તે બંને એક જ સિક્કાની બે બાજુ છે. ચાલો જાણીએ સ્વામી જ્ઞાનાનંદની રસપ્રદ, રોમાંચક જીવનકથા.

આંધ્ર પ્રદેશમાં જન્મ અને યુવાની

આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ગોરગનામુડી ગામમાં 5 ડિસેમ્બર, 1896ના રોજ એક બાળકનો જન્મ થયો. નામ અપાયું ભુપતિરાજુ લક્ષ્મીનરસિંહ રાજુ. તેમના પિતા રામ રાજુ વૈદિક અને વિદ્વત્તાપૂર્ણ પ્રવૃત્તિમાં રસ ધરાવતા હતા, જેનો પ્રભાવ નાનપણથી જ ભુપતિરાજુ પર પડ્યો. માત્ર 20 વર્ષની ઉંમરે 1916માં તેમના લગ્ન થયા, પણ ગૌતમ બુદ્ધના જીવનથી પ્રેરિત થઈને તેમણે સાંસારિક જીવનનો ત્યાગ કર્યો.

પહાડોમાં ભ્રમણ અને તપસ્યા 

સંસાર ત્યાગીને તેઓ લુમ્બિની (નેપાળ), આબુ પર્વત, ઋષિકેશ અને હિમાલયના દુર્ગમ પ્રદેશોમાં ભટક્યા. લગભગ એક દાયકો તેમણે તપસ્યા, ધ્યાન અને યોગ-સાધનામાં વિતાવ્યો. આ સમયગાળાએ જ તેમનામાં અદ્ભુત શિસ્ત, ધીરજ અને જટિલ સમસ્યાઓ સાથે ઊંડાણપૂર્વક જોડાવાની ક્ષમતા કેળવી, જે પાછળથી વૈજ્ઞાનિક સંશોધન માટે જરૂરી સાબિત થઈ.

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળમાં 15 બૂથો પર કાલે ફરી મતદાન, ધાંધલની ફરિયાદો બાદ ECનો મોટો નિર્ણય

હિમાલયની ગુફાઓથી યુરોપની પ્રયોગશાળા 

ધ્યાનના માર્ગે સત્યની શોધ કર્યા બાદ જ્ઞાનાનંદને લાગ્યું કે ભૌતિક વિજ્ઞાન પણ સત્ય સુધી પહોંચવાનો એટલો જ મહત્ત્વનો માર્ગ છે. 1927માં તેઓ જર્મની ગયા. ડ્રેસ્ડન યુનિવર્સિટીમાં પ્રોફેસર ડેમ્બરના સંપર્કમાં આવ્યા, જેમણે આ સાધુની તીવ્ર બુદ્ધિમતા અને ગણિતમાં ઊંડો રસ જોઈને ઔપચારિક અભ્યાસ કરવા પ્રોત્સાહિત કર્યા. માત્ર બે વર્ષમાં 1929માં તેમણે ગણિત અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો.

ડૉક્ટર ઑફ સાયન્સની પદવી મેળવી

ત્યારબાદ સ્વામી જ્ઞાનાનંદ પ્રાગની ચાર્લ્સ યુનિવર્સિટી ગયા, જ્યાં તેમણે પ્રોફેસર ડોલ્શેકના માર્ગદર્શન હેઠળ હાઇ ટેન્શન અને એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી પર સંશોધન કર્યું. તેમનું આ કામ એટલું ઉત્કૃષ્ટ હતું કે 1936માં તેમને ડી.એસસી(D.Sc. - ડૉક્ટર ઑફ સાયન્સ)ની પદવી એનાયત કરાઈ. આ સમયગાળામાં જ તેમણે પોતાના ગુરુ સ્વામી પૂર્ણાનંદ જોડે ‘સ્વામી જ્ઞાનાનંદ’ તરીકે દીક્ષા લીધી. 

યુદ્ધકાળમાં પણ સંશોધન જારી રાખ્યું 

બીજા વિશ્વયુદ્ધમાં સ્વામી જ્ઞાનાનંદ ઇંગ્લેન્ડના લિવરપૂલ યુનિવર્સિટી પહોંચ્યા. આ એ સમય હતો જ્યારે ભૌતિકશાસ્ત્રી સર જેમ્સ ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી હતી. અહીં તેમણે ‘બીટા રેડિયેશન સ્પેક્ટ્રોસ્કોપી’ના ક્ષેત્રમાં પ્રાયોગિક સંશોધન કર્યું, જેમાં કિરણોત્સર્ગી ક્ષય દરમિયાન ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનના ઊર્જા વિતરણનો અભ્યાસ કરાય છે. આ અભ્યાસ અણુ પ્રક્રિયાઓને સમજવા માટે ખૂબ જ મહત્ત્વનો હતો.

આ પણ વાંચો : પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર

અમેરિકાનો સફર ખેડી

આ દરમિયાન તેઓ અમેરિકા ગયા, જ્યાં મિશિગન યુનિવર્સિટીમાં તેમણે રેડિયોએક્ટિવ આઇસોટોપ્સ અને હાઇ વેક્યૂમ ટૅક્નોલૉજી પર સંશોધન ચાલુ રાખ્યું. આ સમયે જ તેમણે ‘High Vacua: Principles, Production and Measurement’ (1947) નામનું પુસ્તક લખ્યું, જેને આજે પણ મહત્ત્વનો સંદર્ભ ગ્રંથ ગણાય છે.

ભારતમાં પરમાણુ ભૌતિક શાસ્ત્રનું સર્જન

1947માં ભારત સ્વતંત્ર થયું અને જ્ઞાનાનંદ દિલ્હીની નેશનલ ફિઝિકલ લેબોરેટરીમાં વરિષ્ઠ વિજ્ઞાની તરીકે જોડાયા. 1954માં તેઓ આંધ્ર યુનિવર્સિટી (વિશાખાપટ્ટનમ)માં આવ્યા અને 1956માં દેશની પ્રથમ અને અગ્રણી સંસ્થાઓમાંની એક ‘ન્યુક્લિયર ફિઝિક્સ વિભાગ’ની સ્થાપના કરી. તેમણે અદ્યતન રેડિયેશન લેબ બનાવીને વિદ્યાર્થીઓને તાલીમ આપી અને 20થી વધુ પીએચ.ડી. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. તેમના નેતૃત્વમાં આ વિભાગે 100થી વધુ સંશોધન પત્રો પ્રકાશિત કર્યા. તેમના સન્માનમાં યુનિવર્સિટીએ આ સંશોધન કેન્દ્રનું નામ ‘સ્વામી જ્ઞાનાનંદ લેબોરેટરીઝ ઓફ ન્યુક્લિયર રિસર્ચ’ રાખ્યું.

વિજ્ઞાન અને અધ્યાત્મના સંગમનો વારસો 

જ્ઞાનાનંદ માત્ર વિજ્ઞાની જ નહોતા, ઊંડા વિચારક પણ હતા. તેમણે વેદાંત અને યોગ પર પણ પુસ્તકો લખ્યા. તેમણે હંમેશાં કહ્યું કે વિજ્ઞાન અને આધ્યાત્મિકતા એ વાસ્તવિકતાને સમજવાના પૂરક માર્ગો છે. તેમણે ‘The Elements of Nuclear Physics’ (1962) સહિત અનેક ગ્રંથો આપ્યા. 21 સપ્ટેમ્બર, 1969ના રોજ તેમનું અવસાન થયું. તેમણે પાછળ છોડેલો વારસો દર્શાવે છે કે જિજ્ઞાસા અને શિસ્તને કોઈ એક ચોક્કસ માર્ગે બાંધી શકાતી નથી, પછી તે બાહ્ય હોય કે આંતરિક.

આ પણ વાંચો : ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 993નો વધારો