India

'કોઇએ ખિસ્સામાં તો કોઈએ મોજામાં નોટોની ગડ્ડી સંતાડી...', રામ મંદિર દાન ચોરીના CCTV રિકવર

By GS Team
5 Jul 20264 mins read
TukuTouch Logo
અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરી કેસમાં SITએ ડીલીટ થયેલા CCTV ફૂટેજ રિકવર કર્યા છે. જેમાં કેટલાક લોકો ખિસ્સા અને મોજામાં નોટો છુપાવતા દેખાયા છે. આ ફૂટેજમાં આરોપીઓના ચહેરા સ્પષ્ટ ન હોવાથી હાઈ-ઝૂમ રિઝોલ્યુશનથી ઓળખ પ્રયાસો ચાલુ છે. નિર્માણ એજન્સી L&T અને સુપરવિઝન એજન્સીના એન્જિનિયરોની પણ પૂછપરછ કરાઈ છે. SIT બાંધકામમાં ગેરરીતિ અને જમીન સોદાની પણ તપાસ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'કોઇએ ખિસ્સામાં તો કોઈએ મોજામાં નોટોની ગડ્ડી સંતાડી...', રામ મંદિર દાન ચોરીના CCTV રિકવર

Ram Mandir Donation Row: અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસની તપાસ પૂરજોશમાં ચાલી રહી છે. અયોધ્યામાં બે દિવસ સુધી ધામા નાખીને બેસેલી SITના હાથે ચઢાવાની ચોરીના ગાયબ થયેલા રેકોર્ડ પણ લાગ્યા છે. એવી માહિતી મળી રહી છે કે, વિશેષ સોફ્ટવેરની મદદથી ડિલીટ કરવામાં આવેલા CCTV ફૂટેજ રિકવર કરી લેવાયા છે, જેમાં દાનની ચોરી કરનારાઓની કરતૂત કેદ થયેલી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રિકવર કરાયેલા ફૂટેજમાં કોઈ ખિસ્સામાં તો કોઈ મોજામાં નોટોના બંડલ છુપાવતું જોવા મળ્યું છે. શ્રદ્ધા અને આસ્થાને શર્મસાર કરી દેનારી આવી કેટલીય ઘટનાઓ કેદ થઈ છે, જેને જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા છે. ફૂટેજમાં ચહેરા સ્પષ્ટ ન દેખાતા હોવાથી તેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાઈ-ઝૂમ રિઝોલ્યુશન પર આરોપીઓના ચહેરા ઓળખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલાં જ ખુલાસો થઈ ચૂક્યો છે કે, ચઢાવાની રકમ સગેવગે કરવા માટે આરોપીઓ CCTV કેમેરા સામે એવી રીતે ઊભા રહેતા હતા જેથી કોઈનો ચહેરો સ્પષ્ટ ન આવી શકે. અગાઉ મળેલા CCTV ફૂટેજમાં બ્લાઈન્ડ સ્પોટ જોવા મળ્યા છે.

આ જ આધાર પર ડિલીટ કરાયેલા ફૂટેજને રિકવર કરવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. આ યોજના હેઠળ જ ખાસ સોફ્ટવેરની મદદથી કેટલાક ફૂટેજ રિકવર કરી લેવાયા છે. આ ફૂટેજના આધારે હવે એ સ્પષ્ટ થઈ જશે કે દાનની ચોરીનો અસલી માસ્ટરમાઇન્ડ કોણ હતો અને સુરક્ષામાં ક્યાં-ક્યાં ખામીઓ રહી ગઈ હતી તથા આ કોઈ સુનિયોજિત કાવતરાનો ભાગ હતો કે પછી માત્ર સામાન્ય ચોરી જ હતી. SIT હાલ આ તમામ સવાલોના જવાબો શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે જ એવી પણ માહિતી મળી છે કે, CCTV ફૂટેજની દેખરેખ રાખવાની જવાબદારી જેમના શિરે હતી તેવા એક મુખ્ય સભ્યને તેડું મોકલીને પૂછપરછ કરવામાં આવી છે અને આ મામલે જવાબદાર અધિકારીને બરાબરની ફિટકાર લગાવવામાં આવી.

નિર્માણ એજન્સીઓ SITના લપેટામાં, એન્જિનિયરોની પૂછપરછ શરૂ

રામ મંદિરમાં દાનની ચોરીના કેસની તપાસ માટે રચાયેલી SITના લપેટામાં હવે નિર્માણ એજન્સીઓ પણ આવી ગઈ છે. તપાસના બીજા દિવસે SITના અધિકારીઓએ રામ મંદિરની બાંધકામ એજન્સી એલએન્ડટી (L&T) અને સુપરવિઝન એજન્સીઓના એન્જિનિયરોને તેડું મોકલીને પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન TEC તરફથી એન્જિનિયર જગદીશ આફલે અને ગિરીશ સહસ્ત્ર ભોજની ઉપરાંત એલએન્ડટીના પણ એન્જિનિયરો હાજર રહ્યા હતા અને તેમણે અધિકારીઓના સવાલોના જવાબો આપ્યા હતા. તપાસ અધિકારીઓએ આ તમામ પૂછપરછની સાથે-સાથે બાંધકામને લગતા દસ્તાવેજો અને રેકોર્ડ પણ મંગાવ્યા છે. હાલ આ બાંધકામ રેકોર્ડની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે, જે શનિવારે પણ યથાવત રહી હતી. જો કે, SITના મુખ્ય ત્રણેય ઉચ્ચ અધિકારીઓ લખનઉ પરત ફર્યા છે અને તેઓ સોમવારે ફરી અયોધ્યા આવશે. આમ છતાં, અધિકારીઓનો સ્ટાફ ત્રીજા દિવસે પણ અહીં તૈનાત રહ્યો હતો અને તેમણે રેકોર્ડની તપાસ કરીને રિપોર્ટ તૈયાર કર્યો છે.

બાંધકામમાં ગેરરીતિની તપાસ

એક તરફ દાનની ચોરી મામલે મુખ્ય આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત, આ ચોરી ક્યારથી શરૂ થઈ, સુરક્ષા અને દેખરેખની શું વ્યવસ્થાઓ હતી, ક્યાં ખામી રહી ગઈ અને આવી ચોરીઓ અટકાવવા માટેના ઉપાયો અંગેના સૂચનો પણ આપવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ રામ મંદિરમાં વિવિધ મામલે થયેલી ગેરરીતિઓ તેમજ જમીનની ખરીદ-વેચાણ સાથે સામગ્રીની સપ્લાય (પૂર્તિ) અને બાંધકામની કામગીરીમાં થયેલી અનિયમિતતાઓની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, SITના ચેરમેન પોતે આઈઆઈટીયન છે અને તેઓ આવી તકનીકી બાબતોમાં વિશેષ કુશળતા ધરાવે છે. તેનો ફાયદો પણ તપાસ ટીમને મળી રહ્યો છે. હાલમાં SIT આ મામલે સંપૂર્ણ ગોપનીયતા જાળવી રહી છે. એસઆઈટી ઈચ્છે છે કે કોઈ પણ સંજોગોમાં આ તપાસ પર આંચ ન આવે અને તપાસને લગતો એક પણ તથ્ય (પૂરાવો) બહાર ન નીજાય. આ અંગે યોગ્ય ફોરમ પર જ રિપોર્ટની ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ જ આગળની યોગ્ય કાર્યવાહી અંગેનો નિર્ણય લેવાશે.

મહેસૂલ રેકોર્ડની તપાસ

જન્મભૂમિ પરિસરમાં બે દિવસ સુધી ઝીણવટભરી તપાસ કર્યા બાદ SITના ઉચ્ચ અધિકારીઓ શુક્રવારે મોડી સાંજે લખનઉ હેડક્વાર્ટર પરત ફર્યા છે, પરંતુ ટેકનિકલ સ્ટાફ શનિવારે પણ ત્યાં હાજર રહ્યો હતો અને દિવસભર મહેસૂલ રેકોર્ડની ચકાસણી કરવાની કામગીરી ચાલી હતી. આ દરમિયાન કોઈ પ્રમુખ વ્યક્તિઓની પૂછપરછ થઈ હોવાની માહિતી મળી નથી. બેન્ક અધિકારી પાસેથી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રાન્ઝેક્શનને લગતા કેટલાક મહત્વના દસ્તાવેજો માંગવામાં આવ્યા છે. તપાસમાં હાલ સૌથી વધુ અગ્રતા વર્ષ 2021માં ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવેલી જમીનોને આપવામાં આવી રહી છે. આ જ રિપોર્ટ તૈયાર કરવા માટે ઉચ્ચ અધિકારીઓ મુખ્ય મથકે ગયા છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સંજય સિંહ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપવા માટે તપાસની આ કાર્યવાહી વધુ ઝડપી બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બેન્ક અધિકારીએ જણાવ્યું કેવી રીતે થતી હતી ગણતરી

એક બેન્ક અધિકારીએ જણાવ્યું છે કે નોટો ગણવાની કામગીરીમાં રોકાયેલા તમામ કર્મચારીઓ દેખાવમાં ખૂબ જ સીધા અને સાધારણ લાગતા હતા, જેના કારણે ક્યારેય કોઈને તેમના પર શંકા નહોતી ગઈ. તેઓ રૂમની અંદર નિયમો અને મર્યાદાઓનું ચુસ્તપણે પાલન કરતા હોવાનો ડોળ કરતા હતા. આ કર્મચારીઓમાંથી મોટાભાગના લોકો ટિન્નુ યાદવના પગે પણ લાગતા હતા. આ જ કારણ હતું કે તપાસ અધિકારીઓ પણ તેમને ખાસ મહત્વ આપતા હતા. અધિકારીને ક્યારેય એવો અંદાજ પણ ન આવ્યો કે CCTV કેમેરા બંધ છે.