India

VIDEO : આસામમાં પૂર તો કાશ્મીરમાં ભૂસ્ખલન, દેશના અનેક રાજ્યોમાં ચોમાસું બન્યું ભયાનક!

By GS Team
25 Jul 20262 mins read
TukuTouch Logo
આસામ, જમ્મુ-કાશ્મીર અને નાગાલેન્ડમાં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલનની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં 77 લોકોએ જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે. રસ્તાઓ અને પુલોને નુકસાન થતા અનેક ગામોનો સંપર્ક તૂટ્યો છે. આસામમાં 41, જમ્મુ-કાશ્મીરમાં 27 અને નાગાલેન્ડમાં 9 મોત નોંધાયા છે. રાહત કાર્યમાં અડચણો વચ્ચે હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : આસામમાં પૂર તો કાશ્મીરમાં ભૂસ્ખલન, દેશના અનેક રાજ્યોમાં ચોમાસું બન્યું ભયાનક!

Heavy Rain, Flood And Landslides In Assam, Jammu and Kashmir, Nagaland : દેશના અનેક રાજ્યોમાં આ ચોમાસું લોકો માટે ભારે મુશ્કેલીઓ લઈને આવ્યું છે. આસામ, જમ્મુ-કાશ્મીર અને નાગાલેન્ડમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 77 લોકોએ જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે. રસ્તાઓ તૂટી જવાથી, પુલોને નુકસાન પહોંચવાથી અને વીજળી તેમજ મોબાઈલ નેટવર્ક ખોરવાઈ જવાથી અનેક ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો છે. પાણી અને કાટમાળના કારણે રાહત અને બચાવ કામગીરીમાં પણ ભારે અડચણો આવી રહી છે.

આસામમાં પૂરનો હાહાકાર

Assam Flood : આસામમાં બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓ ઉફાન પર હોવાથી સ્થિતિ સૌથી વધુ વણસી છે. રાજ્યમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયા છે અને લગભગ 6.53 લાખ લોકો પ્રભાવિત થયા છે. શિવસાગર, ચરાઈદેવ, ગોલાઘાટ અને જોરહાટ જિલ્લાના 939 ગામો હજુ પણ પાણીમાં ડૂબેલા છે. ખેડૂતોની 24 હજાર હેક્ટરથી વધુ જમીન પરનો પાક ધોવાઈ જવાની ભીતિ છે અને હજારો પરિવારોને રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન અને માર્ગો બંધ

Poonch Landslide : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન અને અચાનક આવેલ પૂરને કારણે 27 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં પૂંચ અને રાજૌરી જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થયા છે. ગત 20 જુલાઈના રોજ પૂંચમાં ભૂસ્ખલનને કારણે એક કાચું મકાન કાટમાળમાં દટાઈ જતાં એક જ પરિવારના 7 લોકોના મોત નીપજ્યા હતા. આ ઉપરાંત, કાશ્મીરને દેશના અન્ય ભાગો સાથે જોડતો મુખ્ય જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે સતત બીજા દિવસે પણ બંધ રહ્યો હતો, જેનાથી વાહનવ્યવહાર અને જરૂરી વસ્તુઓની સપ્લાય ખોરવાઈ છે.

નાગાલેન્ડની સ્થિતિ અને હવામાન વિભાગની ચેતવણી

Nagaland Landslide : નાગાલેન્ડમાં પણ સતત વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં 9 લોકોના મોત થયા છે અને ત્યાં હજુ પણ નવા ભૂસ્ખલનનો ભય બનેલો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સક્રિય ચોમાસું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં પણ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આથી વહીવટીતંત્રે લોકોને નદી-નાળા અને પહાડી વિસ્તારોથી દૂર રહેવા અને સતર્ક રહેવા અપીલ કરી છે.