India

દુકાનદારોની ચાલાકી નહીં ચાલે: 0.4% MDR ચાર્જ પર સરકાર રાખશે કડક નજર, જાણો નિયમો

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
ડિજિટલ પેમેન્ટ કરતા કરોડો લોકો માટે રાહતના સમાચાર છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે 15 ઑક્ટોબરથી ₹2000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગુ થનાર 0.4% MDRનો બોજ ગ્રાહકો પર નહીં પડે. આ ચાર્જ દુકાનદાર કે વેપારીએ ચૂકવવાનો રહેશે. નાણા મંત્રાલય આ માટે મોનિટરિંગ સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુકાનદારોની ચાલાકી નહીં ચાલે: 0.4% MDR ચાર્જ પર સરકાર રાખશે કડક નજર, જાણો નિયમો

What is UPI MDR : ડિજિટલ પેમેન્ટ કરતા કરોડો લોકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે 15 ઑક્ટોબરથી રૂ. 2000થી વધુના યુપીઆઇ(UPI) ટ્રાન્ઝેક્શન પર લાગુ થનાર 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ(MDR)નો બોજ સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર નહીં પડે. નાણા મંત્રાલયે આ અંગે પેમેન્ટ એગ્રીગેટર્સ અને યુપીઆઇ સ્ટેકહોલ્ડર્સ સાથે બેઠકો શરૂ કરી દીધી છે, જેથી કોઈ પણ વેપારી આ ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલી ન શકે.

શું છે નવો નિયમ અને કોણે ચૂકવવો પડશે ચાર્જ?

નવા નિયમ મુજબ 15 ઑક્ટોબરથી રૂ. 2000થી વધુના પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા MDR લાગુ કરવામાં આવશે. આ ચાર્જ સામાન્ય ગ્રાહકે નહીં પરંતુ દુકાનદાર કે વેપારીએ ચૂકવવાનો રહેશે. રૂ. 75,000 કે તેથી વધુના મોટા ટ્રાન્ઝેક્શન પર આ ચાર્જની મહત્તમ મર્યાદા રૂ. 300 નક્કી કરવામાં આવી છે. સામાન્ય નાગરિકો દ્વારા કરવામાં આવતા રોજિંદા નાના વ્યવહારો અને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ વચ્ચે થતાં (P2P) પેમેન્ટ હંમેશની જેમ સંપૂર્ણપણે મફત જ રહેશે.

ગ્રાહકો પર બોજ ન પડે તે માટે મોનિટરિંગ મિકેનિઝમ

સરકાર સામે એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કેટલાક દુકાનદારો સામાનના ભાવ વધારીને અથવા બિલમાં અલગથી ચાર્જ ઉમેરીને આ ફી ગ્રાહકો પાસેથી વસૂલી શકે છે. આ બાબતને રોકવા માટે નાણા મંત્રાલય એક ખાસ મોનિટરિંગ સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ માટે એક સ્થિર આવક માળખું ઊભું કરવાનો છે, જેમાં સામાન્ય નાગરિકોને કોઈ વધારાનો આર્થિક બોજ સહન કરવો ન પડે.

માત્ર 4 ટકા ટ્રાન્ઝેક્શન પર જ પડશે અસર

સરકારના આંકડા મુજબ આ નવા નિયમથી યુપીઆઇના ઉપયોગ પર કોઈ મોટો પ્રભાવ નહીં પડે, કારણ કે કુલ વ્યવહારોમાંથી માત્ર 4 ટકા ટ્રાન્ઝેક્શન જ આ દાયરામાં આવે છે. આ ઉપરાંત RuPay ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા પેમેન્ટ પણ પહેલાની જેમ સંપૂર્ણ ફ્રી રહેશે.

અમેરિકાના દબાણના આરોપો સરકારે ફગાવ્યા

આ ચાર્જ અમેરિકાના દબાણ હેઠળ લાવવામાં આવ્યો હોવાના આક્ષેપોને સરકારે નકારી કાઢ્યા છે. નાણાકીય સેવા વિભાગે(DFS) સ્પષ્ટ કર્યું છે કે એનપીસીઆઇ(NPCI)ના સર્ક્યુલરથી આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડને RuPay કાર્ડ પર કોઈ વિશેષ પ્રાથમિકતા મળતી નથી. સરકારે દાવો કર્યો છે કે પ્રભાવિત થનારા વ્યવહારો ખૂબ જ ઓછી માત્રામાં હોવાથી દેશમાં તેનાથી કોઈ મોંઘવારી વધશે નહીં.