Get The App

‘કોઈ મિત્ર આવું કેવી રીતે બોલે...’ ભારતીયોના મોત પર USના નિવેદન પર ભડક્યા શશિ થરૂર

Updated: Jun 13th, 2026

GS TEAM

Google News
Google News
‘કોઈ મિત્ર આવું કેવી રીતે બોલે...’ ભારતીયોના મોત પર USના નિવેદન પર ભડક્યા શશિ થરૂર 1 - image

Shashi Tharoor On US: ઓમાન નજીક સમુદ્રમાં એક સામાન્ય વેપારી જહાજ હતું. તેમાં ચોવીસ ભારતીય ખલાસીઓ કામ કરી રહ્યા હતા. US નેવીએ તેના પર હુમલો કર્યો, જેમાં ત્રણ ભારતીયોના મોત થયા. જેને લઈને ભારતે સખત વિરોધ કર્યો. જેમાં માફી માંગવાને બદલે USએ ઘમંડ બતાવ્યું. આમ, ભારતીયોના મોત પર USના નિવેદન પર કોંગ્રેસ નેતા શશિ થરૂર ભડક્યા હતા અને સવાલ કર્યો કે, 'શું ભારતીયોના જીવનની કોઈ કિંમત નથી? કોઈ મિત્ર આવું કેવી રીતે બોલે...' કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ પવન ખેડાએ પણ USના નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના? 

ઓમાનના દરિયાકાંઠે 'એમટી સેટેબેલો' નામનું એક જહાજ હતું. આ યુદ્ધ જહાજ નહોતું, પરંતુ દરિયામાં માલસામાન વહન કરતું એક નિયમિત વેપારી જહાજ હતું. તેના પર પલાઉનો ધ્વજ લહેરાતો હતો. તેમાં સવાર 24 ખલાસીઓ ભારતીય હતા. US નેવીએ દાવો કર્યો હતો કે, જહાજ તેમના આદેશોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું અને તેથી જ તેઓએ તેના પર હુમલો કર્યો હતો. હુમલા પછી 21 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ ત્રણ ગુમ હતા. પાછળથી જાણવા મળ્યું કે તેઓ માર્યા ગયા હતા.

શશિ થરૂરે શું કહ્યું?

કોંગ્રેસ નેતા શશિ થરૂરે આ સમગ્ર મુદ્દા પર અમેરિકાના વલણ સામે સખત વાંધો ઉઠાવતા કહ્યું કે, 'અમેરિકાના સત્તાવાર નિવેદનમાં ત્રણ ભારતીય નાગરિકોના મૃત્યુ માટે કોઈ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું નથી કે તેમાં કોઈ માફી માંગવામાં આવી નથી.' થરૂરે સવાલો કર્યા કે, 'ભારતને પોતાનો મિત્ર અને વ્યૂહાત્મક ભાગીદાર માનતો દેશ આટલો બેદરકાર કેવી રીતે હોઈ શકે? જો જહાજ તેમના આદેશોનું પાલન ન કરતું હોય તો શું મિસાઇલ હુમલો જરૂરી હતો? શું જહાજના એન્જિન અથવા દિશાને જાનહાનિ વિના રોકી શકાય નહીં? ભારતીય ખલાસીઓ આ દરિયાઈ માર્ગો પરથી પસાર થતા લગભગ દરેક વેપારી જહાજમાં સેવા આપે છે. તો શું તે બધા હવે અમેરિકન મિસાઇલોના નિશાના પર છે?' 


આ ઘટના બાદ ભારતે સખત વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત કરીને ભારતની નારાજગી વ્યક્ત કરી હતી. જયશંકરે જણાવ્યું હતું કે, 'સામાન્ય વેપારી જહાજો સામે આવી ઘાતક કાર્યવાહી અસ્વીકાર્ય છે અને તેના વિશે X પર પોસ્ટ કરી હતી.'

ત્યારબાદ રુબિયોએ શનિવારે(13 જૂન) જયશંકરનો સંપર્ક કર્યો. જેમાં વાતચીત દરમિયાન અમેરિકાએ સ્પષ્ટતા કરી કે તે હોર્મુઝ ક્ષેત્રમાં તેના નાકાબંધીના ઉલ્લંઘનને સહન કરશે નહીં. આ નિવેદનને અમેરિકા દ્વારા કડક વલણ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ ભારતે સૌપ્રથમ નવી દિલ્હીમાં કાર્યકારી અમેરિકન રાજદૂતને બોલાવીને વિરોધ નોંધાવ્યો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 'ભારતીય ખલાસીઓને લઈ જતા જહાજો પર હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ અને આ ક્ષેત્રમાં શાંતિનો માર્ગ ફક્ત વાતચીત અને રાજદ્વારી દ્વારા જ શોધી શકાય છે.'

પવન ખેડાએ શું કહ્યું?

કોંગ્રેસ નેતા પવન ખેડાએ US લશ્કરી કાર્યવાહીમાં ત્રણ ભારતીય ખલાસીઓના મૃત્યુ અંગે કેન્દ્ર સરકાર અને યુનાઇટેડ સ્ટેટ્સ બંનેની ટીકા કરી હતી. ખેડાએ આરોપ લગાવ્યો કે, અમેરિકાએ ન તો જવાબદારી સ્વીકારી કે ન તો માફી માંગી. તેમણે વિદેશ પ્રધાન એસ. જયશંકરના પ્રતિભાવને અપૂરતો ગણાવીને ટીકા પણ કરી હતી.