Get The App

‘પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
‘પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન 1 - image

Shashi Tharoor : પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ભારતની વિદેશ નીતિ અને પાકિસ્તાન-અમેરિકા વચ્ચેના સંબંધો અંગે નિખાલસ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, જો પાકિસ્તાન અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થતા કરાવવામાં સફળ થાય તો પણ ભારતનું કદ નાનું નહીં થાય. વાસ્તવમાં કોંગ્રેસ પાકિસ્તાનની મધ્યસ્થતા મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરતી રહે છે અને મોદી સરકારની વિદેશ નીતિ પર પણ સવાલો ઉઠાવતી રહે છે.

શશિ થરૂરે પાકિસ્તાનની ઝાટકણી કાઢી

શશિ થરૂરે એક ઈન્ટરવ્યૂ દરમિયાન પાકિસ્તાનની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનની નાક હેઠળ આતંકવાદી ઓસામાન બિન લાદેન વર્ષોથી છુપાયેલો હતો, જોકે હવે પશ્ચિમી દેશોએ લાદેન મામલે પાકિસ્તાનને માફ કરી દીધું છે. થરૂરે એમ પણ કહ્યું છે કે, જ્યાં સુધી સરહદ પારથી થતી આતંકવાદી ગતિવિધિઓ પર કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી ભારતની વિદેશનીતિમાં કોઈપણ ફેરફાર નહીં થાય.

‘પાકે હજુ પણ 26/11ના દોષિતોને સજા આપી નથી’

કોંગ્રેસ નેતાએ ભારપૂર્વક કહ્યું કે, પાકિસ્તાન પોતાની ધરતી પરના આતંકવાદી જૂથોને ખતમ કરવા માટે નિર્ણાયક પગલા ભરશે, પછી જ ભારત પાકિસ્તાન સાથે રાજદ્વારી કે વાતચીત કરવા માટેનું વલણ નરમ કરશે. ભારત પાસે પૂરતા પુરાવા હોવા છતાં પાકિસ્તાને હજુ સુધી ‘26/11 મુંબઈ હુમલા’ના દોષિતોને સજા આપી નથી.

આ પણ વાંચો : મધ્ય-પૂર્વમાં સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર, કાલે ન્યૂઝીલેન્ડ સાથે કરશે મોટી ડીલ પર હસ્તાક્ષર

પાકિસ્તાન કરતા ભારતના મુખ્ય દેશો સાથે સારા સંબંધ : થરૂર

કોંગ્રેસ નેતા શશિ થરૂરને ભારતની વિદેશ નીતિ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ભારતે અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થતાની ભૂમિકા કેમ ન નિભાવી? તો તેમણે કહ્યું કે, ‘ભારત તમામ મુખ્ય દેશો સાથે સારા સંબંધો ધરાવે છે, જ્યારે પાકિસ્તાનની આવી સ્થિતિ નથી. જો પાકિસ્તાન મધ્યસ્થતાના પ્રયાસો કર્યા છે તો તેનાથી ભારતનું કદ નાનું નહીં થાય.’

ટ્રમ્પની નરકવાળી ટિપ્પણી પર થરૂરે કહ્યું, ‘ભારત સંયમ રાખે’

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને નરકો દ્વારા કહી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, ત્યારે થરૂરે આ મુદ્દે ભારત સરકારને સંયમ રાખવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, ‘સોશિયલ મીડિયા પોસ્ટ જેવી નાની બાબતો પર ભારતે આક્રમક થવાની જરૂર નથી, કારણ કે, આપણા રાજદ્વારી સ્તરે આવી બાબતો અનુકુળ નથી. જો હું સરકારમાં હોત તો આવી બાબતોને સંપૂર્ણ નજરઅંદાજ કરી દેત.’

આ પણ વાંચો : 4 વર્ષ પહેલા ઘરેથી ભાગીને કર્યા હતા લવ મેરેજ, જમાઈએ પત્ની અને સાસુની છરીના ઘા ઝીંકીને કરી હત્યા