India-New Zealand Free Trade Agreement Deal : એકતરફ અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અને હોર્મુઝને લઈ વિવાદ ચાલી રહ્યો છે, તો બીજીતરફ ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ લાંબા સમયના પ્રયાસ બાદ ભારત-ન્યૂઝીલેન્ડ આવતીકાલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર સહી કરવાના છે. આ ડીલ બાદ બંને દેશો વચ્ચે વેપાર બમણો કરવાનું લક્ષ્યાંક રખાયું છે.
ભારતથી ટેક્સ વગર ન્યૂઝીલેન્ડમાં સામાન મોકલાવી શકાશે
પીટીઆઈના રિપોર્ટ મુજબ, આવતીકાલે 27 એપ્રિલે દિલ્હીના ભારત મંડમમમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાંક્ષર થશે. આ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટૉડ મૈક્લે ઉપસ્થિત રહેશે. 22 ડિસેમ્બર-2025માં બંને દેશો વચ્ચે એફટીએ પર ચર્ચા-વિચારણા થઈ હતી, ત્યારબાદ આ ડીલ ફાઈનલ કરવામાં આવી છે. રાહતની વાત એ છે કે, હવે ભારતીય કંપનીઓ ટેક્સ વગર ન્યૂઝીલેન્ડમાં સામાન મોકલી શકશે. આ ઉપરાંત આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ આવશે.
FTAથી શું ફાયદા થશે?
બંને દેશો વચ્ચે FTA પર કરાર થયા બાદ એકબીજાને ટેક્સ વગર સામાન મોકલાવી શકશે. આનાથી ભારતીય પ્રોફેશનલ્સ માટે અસ્થાયી રોજગાર વીઝાની સુવિધામાં વધારો થશે. જ્યારે ભારતીય કંપનીઓ સરળતાથી દવાઓ અને મેડિકલ સાધનોની નિકાસ કરી શકશે. આ ઉપરાંત સૌથી મહત્ત્વની વાત એ છે કે, ભારત ન્યૂઝીલેન્ડથી આયાત થતી 95% પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડશે અથવા ખતમ કરશે. આ પ્રોડક્ટમાં ઉન, કોલસો, વાઈન, એવોકાડો અને બ્લૂબેરી જેવી પ્રોડક્ટ સામેલ છે.
ખેડૂતો અને એગ્રીકલ્ચર ઉદ્યોગને રાહત
ભારતે મુક્ત વેપાર કરાર કરતી વખતે ખેડૂતો અને એગ્રીકલ્ચર ઉદ્યોગના હિતને પણ ધ્યાને રાખ્યું છે. FTAમાંથી ડેરી અને ખાદ્ય તેલ, શાકભાજી જેવી ચીજવસ્તુઓને બહાર રાખવામાં આવી છે. રિપોર્ટ મુજબ, ભારત-ન્યૂઝીલેન્ડે આગામી પાંચ વર્ષમાં વેપાર પાંચ અબજ ડૉલર સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખ્યું છે.
ભારત-ન્યૂઝીલેન્ડ અનેક સેક્ટરોમાં ભાગીદારી વધારે તેવી આશા
ઉલ્લેખનીય છે કે, અમેરિકા-ઈરાન વચ્ચે વિવાદના કારણે ભારતીય નિકાસકારો પર ગંભીર અસર થઈ છે. આવી સ્થિતિમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે FTA ડીલથી નિકાસકારોને મોટો લાભ થશે. આ કરારના કારણે ભારતીય નિકાસકારો ન્યૂઝીલેન્ડમાં નિકાસ વધારી શકશે. આ સમજૂતીથી સર્વિસ સેક્ટરથી લઈને એગ્રીકલ્ચર સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધવાની પણ આશા વ્યક્ત કરાઈ છે.


