Get The App

યોગી થઈને મુખ્યમંત્રી કેવી રીતે રહી શકો? શંકરાચાર્ય વિવાદ પર અવિમુક્તેશ્વરાનંદનો પલટવાર

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
Yogi Adityanath vs Shankaracharya

Yogi Adityanath vs Shankaracharya: ઉત્તર પ્રદેશના રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે અત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વચ્ચે ભારે નિવેદનબાજી જોવા મળી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપેલા નિવેદન કે, 'દરેક વ્યક્તિ પોતાની જાતને શંકરાચાર્ય કહી શકતી નથી અને કોઈ પણ કાયદાથી ઉપર નથી', તેની સામે શંકરાચાર્યએ આકરો પલટવાર કર્યો છે. 

આ અંગે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, 'સનાતન પરંપરામાં શંકરાચાર્યની ઓળખ કોઈ રાજકીય પ્રમાણપત્ર કે સરકારી માન્યતાથી નક્કી થતી નથી.' તેમણે યોગી આદિત્યનાથ પર સીધું નિશાન સાધતાં કહ્યું કે, 'જો તમે ખરેખર યોગી છો, તો સત્તા અને મુખ્યમંત્રી પદ કેવી રીતે સ્વીકારી શકો? રાજા યોગી બની શકે, પણ સાચો યોગી ફરીથી રાજા નથી બનતો.'

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આકરા પ્રહાર કરતાં એક ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, આદિત્યનાથ નામની વ્યક્તિ પોતે એક એવું ઉદાહરણ છે જેમના પર ભૂતકાળમાં 40થી પણ વધુ ગુનાહિત કેસો નોંધાયેલા હતા. જોકે, સત્તામાં આવતાની સાથે જ તેમણે પદનો ઉપયોગ કરીને પોતાના પરના તમામ કેસો પાછા ખેંચી લીધા હતા.'

અહંકાર અને સનાતન પરંપરાનો વિવાદ

મુખ્યમંત્રી યોગીએ માઘ મેળા દરમિયાન થયેલા વિવાદનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું, 'પ્રયાગરાજના માઘ મેળામાં સાડા ચાર કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા, ત્યારે ત્યાં વ્યવસ્થા અને સુરક્ષા સર્વોપરી છે. સ્નાન કર્યા બાદ શ્રદ્ધાળુઓ એક્ઝિટ ગેટથી બહાર નીકળી રહ્યા હોય, ત્યારે તે ગેટથી કોઈએ અંદર આવવાનો પ્રયાસ ન કરવો જોઈએ.’

તેમણે ચેતવણી આપી છે કે, ‘આવી રીતે આવવાથી નાસભાગ થવાની આશંકા વધી જાય છે અને શ્રદ્ધાળુઓના જીવનને મોટું નુકસાન થઈ શકે છે. એક જવાબદાર અને મર્યાદિત વ્યક્તિ ક્યારેય આવા પ્રકારનું આચરણ ન કરી શકે.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘જો સમાજવાદી પાર્ટીના લોકો કોઈને પૂજવા ઇચ્છે છે તો પૂજે, પરંતુ સરકાર મર્યાદિત લોકોની છે અને તે કાયદાના શાસનમાં વિશ્વાસ રાખે છે. સરકારની પ્રાથમિકતા વ્યવસ્થા જાળવવાની અને શ્રદ્ધાળુઓની સુરક્ષા કરવાની છે.’

રાજકારણમાં ગરમાવો: અખિલેશ યાદવની એન્ટ્રી

આ વિવાદમાં હવે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ કૂદી પડ્યા છે. યોગી આદિત્યનાથના નિવેદનનો જવાબ આપતાં તેમણે કહ્યું કે, 'માત્ર ભગવા વસ્ત્રો પહેરવાથી કે કાન વીંધાવવાથી કોઈ યોગી બની જતું નથી, સંતોનું હંમેશા સન્માન થવું જોઈએ.' સીએમ યોગીના કાયદાના પાલન અને પરંપરાઓના તર્ક સામે વિપક્ષ હવે સંતોના સન્માનના મુદ્દે મેદાને પડ્યો છે, જેના કારણે ઉત્તર પ્રદેશમાં આ ધાર્મિક વિવાદ હવે એક મોટા રાજકીય યુદ્ધમાં ફેરવાઈ રહ્યો છે.

આ પણ વાંચો: બહેનનાં લગ્નમાંથી પરત ફરતા 5 મિત્રોને કાળ ભરખી ગયો, આખું ગામ હિબકે ચડ્યું

શું હતો વિવાદ ?

પ્રયાગરાજના સંગમ ઘાટ પર મૌની અમાવસ્યાના દિવસે રવિવારે(18 જાન્યુઆરી, 2026) સવારે લગભગ 9:47 વાગ્યે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તેમના અનુયાયીઓ સાથે પાલખીમાં સવાર થઈને સંગમ કિનારે પહોંચ્યા હતા. સંગમ તટ પર જ્યાંથી ઘાટ માત્ર 50 મીટર દૂર હતો, ત્યાં પ્રશાસને તેમને પાલખીમાં બેસીને આગળ વધતા અટકાવ્યા હતા અને પગપાળા સ્નાન કરવા વિનંતી કરી હતી. જોકે તેમના અનુયાયીઓએ વિરોધ કર્યો હતો અને ધક્કા-મુક્કી કરતાં સંગમ વોચ ટાવર સુધી પહોંચી ગયા હતા. આ મામલો વધુ વણસ્યો જ્યારે પોલીસ બળે શંકરાચાર્યને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમના કેટલાક અનુયાયીઓને ઘસડીને પોલીસ ચોકીમાં લઈ જવાયા હતા. સંગન સ્નાન પાસે લગભગ ત્રણ કલાક સુધી હાઇવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. ઘટના બાદ શંકરાચાર્યએ આક્ષેપ કર્યો કે, તંત્ર જાણીજોઈને તેમના સમર્થકો પર કાર્યવાહી કરી, હુમલો કર્યો અને ધરપકડ કરી છે.

યોગી થઈને મુખ્યમંત્રી કેવી રીતે રહી શકો? શંકરાચાર્ય વિવાદ પર અવિમુક્તેશ્વરાનંદનો પલટવાર 2 - image