ડીએમકેએ તમિલનાડુમાં સત્તા ગુમાવી છતાં વિવાદિત નિવેદન
ઉદયનિધિએ સનાતન અંગે ફરી ઝેર ફેલાવ્યું, આ પહેલા ડેંગ્યુ, મેલેરિયા જેવી બીમારી સાથે સરખાણી કરી હતી : ભાજપ
તમિલનાડુમાં વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિને મુખ્યમંત્રી વિજય, રાજ્યના તમામ ચૂંટાયેલા નેતાઓની હાજરીમાં પોતાનું પ્રથમ ભાષણ આપ્યું હતું જોકે તે સાથે જ તેઓ વિવાદોમાં આવી ગયા છે.
ઉદયનિધિએ કહ્યું હતું કે સનાતન ધર્મ લોકોને વિભાજીત કરે છે, તેથી તેને જરૂર નાબૂદ કરવો જોઇએ, આ પહેલા ૨૦૨૩માં ઉદયનિધિ સ્ટાલિને આ જ પ્રકારનું નિવેદન આપ્યું હતું.
ઉદયનિધિએ તે સમયે કહ્યું હતું કે સનાતન ધર્મનો ન માત્ર વિરોધ થવો જોઇએ સાથે સાથે તેને ડેંગ્યુ, મલેરિયા, કોરોનાની જેમ મૂળમાંથી જ ખતમ કરી નાખવો જોઇએ. ઉદયનિધિનો દાવો છે કે સનાતન ધર્મ લોકોને જાતિના આધારે વિભાજીત કરે છે. સનાતન ધર્મ અસમાનતા સાથે જોડાયેલ છે.
ઉદયનિધિના નિવેદનનો જવાબ આપતા ભાજપના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે તમિલનાડુમાં સનાતન ધર્મ પ્રત્યે નફરતને કારણે જ ડીએમકેએ સત્તા ગુમાવી હતી, જ્યારે ભાજપે ઉદયનિધિનો સનાતન ધર્મ અંગે ટિપ્પણીનો વીડિયો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે સનાતન ધર્મ અંગે ઉદયનિધિ સ્ટાલિને ફરી ઝેર ફેલાવ્યું છે, અગાઉ આ જ વ્યક્તિએ સનાતન ધર્મને મલેરિયા અને ડેંગ્યુ જેવી બીમારી સાથે સરખાવ્યો હતો.


