After Tej Pratap, Now Rohini Acharya Also Revolts; Major Crisis in RJD After Bihar Polls : બિહાર વિધાનસભા ચૂંટણીમાં લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ તથા કોંગ્રેસ ગઠબંધનનો કારમો પરાજય થયો છે. લોકોએ ભારતીય જનતા પાર્ટી તથા જેડીયુના નેતૃત્વવાળી NDAને પ્રચંડ બહુમતી આપી છે. ત્યારે પરિણામ બાદ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં તિરાડ પડી છે. લાલુ યાદવના પુત્રી રોહિણી આચાર્યએ પરિવાર તથા પક્ષ સાથે નાતો તોડવાની જાહેરાત કરી છે.
શું કહ્યું રોહિણીએ?
રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જાહેરાત કરી કે હું રાજકારણ છોડી રહી છું અને પરિવાર સાથેના સંબંધ તોડી રહી છું. મને સંજય યાદવ અને રમીઝે આવું કરવાનું કહ્યું છે. હું તમામ દોષ પોતાના શિરે લેવા તૈયાર છું.

તેજ પ્રતાપ યાદવનો પણ પરિવાર વિરુદ્ધ બળવો
નોંધનીય છે કે આ વિધાનસભા ચૂંટણી પહેલા જ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવને પક્ષમાં હાંકી કાઢવામાં આવ્યા હતા. આટલું જ નહીં પરિવાર સાથે સંબંધ સમાપ્ત થવાના કારણે તેજ પ્રતાપ યાદવે પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવી ચૂંટણી લડી. તેમણે પણ તેજસ્વી યાદવના નજીકના ગણાતા સંજય યાદવ પર જ આરોપો લગાવ્યા હતા. એવામાં હવે તેજ પ્રતાપ યાદવ બાદ રોહિણીએ પણ સંજય યાદવનું નામ લઈ પરિવાર સાથે સંબંધ તોડ્યો છે.


