India

ઉત્તરાખંડમાં તોફાની વરસાદ બાદ નદીઓ ગાંડીતૂર, ભૂસ્ખલન થવાને લીધે 32થી વધુ રોડ ઠપ

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
ઉત્તરાખંડમાં ચોમાસાના ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. ભૂસ્ખલનને કારણે 32 મુખ્ય રસ્તાઓ બંધ થતાં અવરજવર ખોરવાઈ છે. અલકનંદા સહિતની નદીઓ બે કાંઠે વહે છે. પંતનગરમાં 107 મીમી વરસાદ નોંધાયો. રસ્તાઓ ખોલવા તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરતા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તરાખંડમાં તોફાની વરસાદ બાદ નદીઓ ગાંડીતૂર, ભૂસ્ખલન થવાને લીધે 32થી વધુ રોડ ઠપ
IMAGE - IANS

Uttarakhand landslide: ઉત્તરાખંડમાં ચોમાસાનો વરસાદ આફત લઈને આવ્યો છે. રાજ્યમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભયાનક ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. ભૂસ્ખલનને લીધે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેના કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તાઓ પરથી કાટમાળ હટાવવા માટે તંત્રની વિવિધ ટીમો સતત દોડધામ કરી રહી છે. આ ઉપરાંત, સતત વરસી રહેલા વરસાદને કારણે અલકનંદા સહિતની પ્રમુખ નદીઓ બે કાંઠે વહી રહી છે અને જળ સ્તરમાં ચિંતાજનક વધારો થયો છે.

32 રસ્તાઓ પર ટ્રાફિક જામ, કાટમાળ હટાવવા યુદ્ધના ધોરણે કામગીરી

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર તરફથી મળેલી માહિતી અનુસાર, ઉત્તરાખંડમાં હાલમાં 32 જેટલા મુખ્ય રસ્તાઓ ભૂસ્ખલનના કારણે સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે રસ્તાઓ પરથી પથ્થરો અને કાટમાળ હટાવીને વાહનવ્યવહાર ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આ માર્ગોને વહેલી તકે સાફ કરવા માટે ઘટનાસ્થળે તહેનાત છે, જેથી મુસાફરો અને સ્થાનિક લોકોને જલ્દી રાહત મળી શકે.

પંતનગરમાં સૌથી વધુ 107 મીમી વરસાદ, અનેક જિલ્લાઓમાં જળબંબોળની સ્થિતિ

દેહરાદૂન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં મંગળવારે સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં પંતનગરમાં સૌથી વધુ 107 મીમી વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ચોરગલિયામાં 79.5 મીમી, રુદ્રપુરમાં 43.5 મીમી, યમકેશ્વરમાં 38 મીમી અને કિચ્છામાં 32.5 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે ખાનપુરમાં 27 મીમી, તેમજ દેહરાદૂન અને લક્સરમાં 19-19 મીમી વરસાદ રેકોર્ડ થયો છે. આ ઉપરાંત હાથીબડકલામાં 15 મીમી, પિથોરાગઢમાં 8.9 મીમી અને લોહાઘાટમાં 8 મીમી વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે.

હવામાન વિભાગની આગાહી: હજુ પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું ઍલર્ટ

હવામાન વિભાગે આગામી સમય માટે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને દેહરાદૂન, હરિદ્વાર, પૌડી, ઉધમ સિંહ નગર, નૈનીતાલ, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, પિથોરાગઢ અને બાગેશ્વર જેવા પહાડી તેમજ મેદાની જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જેને પગલે તંત્ર દ્વારા સ્થાનિક લોકોને અને પ્રવાસીઓને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.