India

ગુજરાતનાં રાજકીય ઈતિહાસમાં પહેલીવાર થશે આવું! રાજ્યસભામાંથી 'સાફ' થઈ જશે કોંગ્રેસ; જાણો શું છે ગણિત

By GS Team
23 May 20262 mins read
TukuTouch Logo
દેશના 10 રાજ્યોમાં રાજ્યસભાની 24 બેઠકો માટે આગામી 18 જૂનના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સાથે જ અન્ય બે બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. આ ચૂંટણીના કારણે દેશના રાજકારણમાં ભારે ઉત્તેજના છે, પરંતુ સૌથી મોટો ઝટકો ગુજરાત કોંગ્રેસને લાગવા જઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતનાં રાજકીય ઈતિહાસમાં પહેલીવાર થશે આવું! રાજ્યસભામાંથી 'સાફ' થઈ જશે કોંગ્રેસ; જાણો શું છે ગણિત
 Image newsonair

Ahmedabad News: દેશના 10 રાજ્યોમાં રાજ્યસભાની 24 બેઠકો માટે આગામી 18 જૂનના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સાથે જ અન્ય બે બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. આ ચૂંટણીના કારણે દેશના રાજકારણમાં ભારે ઉત્તેજના છે, પરંતુ સૌથી મોટો ઝટકો ગુજરાત કોંગ્રેસને લાગવા જઈ રહ્યો છે. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ઇતિહાસમાં કદાચ આ પહેલીવાર બનશે જ્યારે સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસનો એક પણ સાંસદ જોવા મળશે નહીં.

કયા રાજ્યોમાં ચૂંટણી?

આંધ્રપ્રદેશ (4), ગુજરાત (4), કર્ણાટક (4), મધ્યપ્રદેશ (3), રાજસ્થાન (3), ઝારખંડ (2), અરુણાચલ પ્રદેશ (1), મણિપુર (1), મેઘાલય (1) અને મિઝોરમ (1) બેઠક સામેલ છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં સુનેત્રા પવાર અને તમિલનાડુમાં સી.વી. શણમુગમના રાજીનામાથી ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી થશે. જ્યારે પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ અને ભાજપના લઘુમતી ચહેરા રવનીત સિંહ બિટ્ટુ તેમજ જ્યોર્જ કુરિયન નિવૃત્ત થઈ રહ્યા છે.

ગુજરાતમાં કોંગ્રેસ માટે ઐતિહાસિક સંકટ

ગુજરાતમાંથી રાજ્યસભાના કોંગ્રેસના એકમાત્ર સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ 21 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે. ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક જીતવા માટે કોઈપણ પક્ષને 37 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. જ્યારે હાલમાં કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો જ છે. જો કોંગ્રેસ પાસે 10 ધારાસભ્યો હોય તો તેઓ માત્ર પોતાની દાવેદારી નોંધાવી શકે છે, પરંતુ જો ભાજપ થોડો પણ પ્રયાસ કરશે તો કોંગ્રેસ માટે ઉમેદવારી ફોર્મ ભરવું પણ મુશ્કેલ બની જશે. પરિણામે, જૂન મહિના પછી રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે.

શા માટે યોજાઈ રહી છે પેટાચૂંટણી?

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) ચીફ અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ સુનેત્રા પવારે રાજીનામું આપ્યું હતું. અજિત પવારના પ્લેન ક્રેશમાં અવસાન બાદ સુનેત્રા પવારે બારામતી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જીતી લેતા આ બેઠક ખાલી પડી હતી.

તમિલનાડુમાં AIADMK ના નેતા સી.વી. શણમુગમે તાજેતરની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં મેલમ બેઠક પરથી જીત મેળવ્યા બાદ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું છે.

ભાજપ અને કોંગ્રેસ માટે શું છે રાષ્ટ્રીય સમીકરણો?

કુલ 26 બેઠકો (24 ચૂંટણી + 2 પેટાચૂંટણી) માંથી હાલમાં ભાજપની આગેવાની હેઠળના NDA પાસે 18 બેઠકો છે, જ્યારે કોંગ્રેસ અને તેના સહયોગીઓ પાસે 5 બેઠકો છે. બાકીની 3 બેઠકો YSR કોંગ્રેસ પાસે છે. હાલની પરિસ્થિતિ જોતા આ ચૂંટણીમાં NDA ને એક બેઠકનું નુકસાન થવાની સંભાવના છે. સામાન્ય સંજોગોમાં સમીકરણો આ મુજબ રહી શકે છે:

NDA: 17 બેઠકો જીતી શકે છે.

કોંગ્રેસ: 5 બેઠકો પર જીત મેળવી શકે છે.

ઝારખંડ મુક્તિ મોરચો (JMM): 2 બેઠકો મળી શકે છે.

તમિલગા વેટ્રી કઝગમ (TVK): 1 બેઠક પર વિજય મેળવી શકે છે.