Get The App

ગુજરાત સહિત 10 રાજ્યોમાં રાજ્યસભા ચૂંટણીની જાહેરાત: ખડગે-દેવેગૌડા સહિત દિગ્ગજોની ખુરશી દાવ પર!

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત સહિત 10 રાજ્યોમાં રાજ્યસભા ચૂંટણીની જાહેરાત: ખડગે-દેવેગૌડા સહિત દિગ્ગજોની ખુરશી દાવ પર! 1 - image

Rajya Sabha Election 2026 Dates : દેશમાં ખાલી થઈ રહેલી રાજ્યસભાની બેઠકોને લઈને ચૂંટણી પંચે (Election Commission) એક મોટું જાહેરનામું બહાર પાડીને ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત દેશના 10 રાજ્યોની કુલ 24 રાજ્યસભા બેઠકો પર આગામી જૂન મહિનામાં ચૂંટણી યોજાશે. 



18 જૂને મતદાન અને મતગણતરી

ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર કાર્યક્રમ અનુસાર, દેશના 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો પર પેટાચૂંટણી (અથવા દ્વિવાર્ષિક ચૂંટણી) યોજાવા જઈ રહી છે. આ બેઠકો પર આગામી 18 જૂન 2026 ના રોજ સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મતદાન પૂર્ણ થયા બાદ તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવાશે અને રાત સુધીમાં તમામ પરિણામો સ્પષ્ટ થઈ જશે. પંચના જણાવ્યા મુજબ, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 20 જૂન 2026 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે.

ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ 

ચૂંટણી જાહેરનામું (Notification): 1 જૂન 2026

નામાંકન (Nomination) ભરવાની છેલ્લી તારીખ: 8 જૂન 2026

નામપત્રોની ચકાસણી (Scrutiny): 9 જૂન 2026

નામ ખેંચવાની છેલ્લી તારીખ: 11 જૂન 2026

મતદાન અને પરિણામ: 18 જૂન 2026

કયા રાજ્યોની કેટલી બેઠકો ખાલી થઈ રહી છે?

આ ચૂંટણીમાં જે 10 રાજ્યો સામેલ છે તેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ, મણિપુર, મેઘાલય, રાજસ્થાન, અરૂણાચલ પ્રદેશ, કર્ણાટક અને મિઝોરમનો સમાવેશ થાય છે. આ યાદીમાં સૌથી વધુ 4-4 બેઠકો ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી ખાલી થઈ રહી છે. જ્યારે રાજસ્થાનમાંથી રાજેન્દ્ર ગેહલોત, નીરજ ડાંગી અને રવનીત સિંહની બેઠકો ખાલી થશે.

આ દિગ્ગજ નેતાઓનો કાર્યકાળ પૂર્ણ થશે

જે 24 રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ જૂન અને જુલાઈ 2026માં સમાપ્ત થઈ રહ્યો છે, તેમાં દેશના અનેક મોટા રાજકીય ચહેરાઓ સામેલ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ અને દેશના પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા જેવા વરિષ્ઠ નેતાઓની બેઠકો પર ફરીથી પ્રતિનિધિઓ ચૂંટવામાં આવશે. રાજ્યસભામાં સંખ્યાબળ જાળવી રાખવા માટે ભાજપ અને વિપક્ષી ગઠબંધન બંને પોતપોતાની રણનીતિ ઘડવામાં વ્યસ્ત થઈ ગયા છે.

ચૂંટણી પંચની કડક ગાઈડલાઈન અને 'સ્પેશિયલ પેન'

મતદાન પ્રક્રિયાને સંપૂર્ણપણે પારદર્શી અને નિષ્પક્ષ રાખવા માટે ચૂંટણી પંચે ખાસ ઓબ્ઝર્વર્સ (પર્યવેક્ષકો) ની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે પંચે એક કડક આદેશ જારી કર્યો છે કે મતદાન દરમિયાન મતદારોએ (ધારાસભ્યોએ) માત્ર રિટર્નિંગ ઓફિસર દ્વારા આપવામાં આવતી ખાસ જાંબલી (Purple) રંગની સ્કેચ પેન નો જ ઉપયોગ કરવાનો રહેશે. જો કોઈ સભ્ય અન્ય કોઈ પણ પેન અથવા રંગથી બેલેટ પેપર પર નિશાન કરશે, તો તેનો વોટ અમાન્ય (રદ) ગણવામાં આવશે.