નવી દિલ્હી : બિહારમાં વાવાઝોડાનો મૃત્યુઆંક વધીને ૧૬ થયો છે. તો બીજી તરફ નાગપુરમાં ગરમીને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૧૭ થઇ ગઇ છે. રાજસ્થાનમાં શ્રીગંગાનગર ૪૮.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે વિશ્વનું સૌથી ગરમ શહેર રહ્યું છે. સમગ્ર ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ જારી છે. ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ અરબ સાગર, લક્ષદ્વીપ અને બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું છે.
બુધવારે પણ ઉત્તર ભારતમાં ભીષણ ગરમીનો પ્રકોપ જારી રહ્યો હતો. ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર રાજસ્થાનનાં શ્રીનગરમાં દેશનું સૌથી વધુ તાપમાન ૪૮.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
નાગપુરમાં ૪૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. નાગપુરમાં છેલ્લા ત્રણ દિવસમાં ગરમીને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને ૧૭ થઇ ગઇ છે. જેમાં બુધવારે રેલવે સ્ટેશન પર મૃત્યુ પામેલા પાંચ લોકો પણ સામેલ છે.
આઇએમડીનાં જણાવ્યા અનુસાર ૪૫ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન હોય ત્યારે હિટવેવ ગણવામાં આવે છે. ૪૭ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન હોય ત્યારે સિવિયર હીટવેવ ગણવામાં આવે છે.
રાજસ્થાનમાં પિલાની ૪૭ ડિગ્રી સે. તાપમાન સાથે બીજું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ઉત્તર પ્રદેશનાં બાંદા જિલ્લામાં ૪૭.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જે રાજ્યનું સૌથી વધારે તાપમાન હતું.
દિલ્હી, હરિયાણા અને ચંડીગઢમાં પણ તાપમાન ૪૫ થી ૪૬ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે તાપમાન નોંધવામાં આવ્યું હતું.
ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર કેરળમાં ચોમાસું પોતાના નિર્ધારિત સમય ૨૬ મેનાં રોજ પહોંચ્યું નથી. જો કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ અરબ સાગર, લક્ષદ્વીપ અને બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું છે.
આઇએમડીએ અંદાજ મૂક્યો હતો કે ૨૬ મેનાં રોજ કેરળમાં ચોમાસાનું આગમન થશે. જો કે તેમાં ચાર દિવસ આગળ કે પાછળ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. સામાન્ય રીતે ૧ જૂને કેરળમાં ચોમાસાનું આગમન થાય છે.


