Get The App

ચૂંટણીમાં ગૌસેવાના નારા વચ્ચે જેસલમેરમાં હૃદય હચમચાવતી ઘટના! ડમ્પિંગ યાર્ડમાં 500થી વધુ ગાયોના મૃતદેહ

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
ચૂંટણીમાં ગૌસેવાના નારા વચ્ચે જેસલમેરમાં હૃદય હચમચાવતી ઘટના! ડમ્પિંગ યાર્ડમાં 500થી વધુ ગાયોના મૃતદેહ 1 - image

National News: રાજસ્થાનના જેસલમેર જિલ્લામાંથી સામે આવેલી એક દર્દનાક અને હચમચાવી દેનારી ઘટનાએ ગૌ સંરક્ષણ અને સરકારી વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઊભા કરી દીધા છે. શહેરના નગર પરિષદ વિસ્તારમાં આવેલા કચરાના ડમ્પિંગ યાર્ડમાં પાંચસોથી વધુ મૃત ગાયોના સડેલા મૃતદેહ મળ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોએ સમગ્ર મામલાને ચર્ચાનો વિષય બનાવી દીધો છે અને વહીવટીતંત્ર પર જવાબદારી નક્કી કરવાનું દબાણ વધી ગયું છે.

ગૌ પ્રેમીઓનો ગંભીર આરોપ

માહિતી અનુસાર, જેસલમેર જિલ્લા મુખ્યાલયથી આશરે 7 કિલોમીટર દૂર રામગઢ માર્ગ પર નગર પરિષદનું ડમ્પિંગ યાર્ડ આવેલું છે. રવિવારે સામે આવેલા વીડિયોમાં મોટી સંખ્યામાં (અંદાજિત 500થી વધુ) ગાયોના મૃતદેહ ખુલ્લામાં પડેલા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકો અને ગૌ પ્રેમીઓનો આરોપ છે કે લાંબા સમયથી મૃત પશુઓનો યોગ્ય નિકાલ કરવામાં આવતો ન હતો, જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે.

કોન્ટ્રાક્ટરની લાપરવાહીનું પરિણામ?

એવું કહેવામાં આવી રહ્યું છે કે નગર પરિષદ દ્વારા મૃત પશુઓના નિકાલની કામગીરી અધિકૃત કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી હતી, પરંતુ સમયસર કામગીરી ન થવાને કારણે મોટી સંખ્યામાં મૃતદેહો એકઠા થતા ગયા. વીડિયો વાઈરલ થયા બાદ લોકોમાં રોષ ફેલાઈ ગયો અને વહીવટીતંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠવા લાગી.

કલેક્ટરે રિપોર્ટ માંગ્યો

આ મામલાને ગંભીરતાથી લેતા જેસલમેર જિલ્લા કલેક્ટરે અધિકારીઓ પાસે તથ્યાત્મક રિપોર્ટ માંગ્યો છે. બીજી તરફ નગર પરિષદના કમિશનરે પણ તાત્કાલિક સંજ્ઞાન લેતા સંબંધિત કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. વહીવટીતંત્રનું કહેવું છે કે હવે ડમ્પિંગ યાર્ડમાંથી મૃત પશુઓને હટાવીને તેમનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.

ગૌ રક્ષા અને ગૌ સેવાની માત્ર વાતો

કેટલાક સ્થાનિક ગૌ સેવકોએ દાવો કર્યો કે તેઓ ગત શનિવારે આ વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે મોટી સંખ્યામાં મૃત ગાયોના મૃતદેહ વિખરાયેલા જોયા હતા. તેમનું કહેવું છે કે દ્રશ્ય એટલું ભયાનક હતું કે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ ગયું હતું.ઘટના બાદ સ્થાનિક લોકોએ સવાલો ઉઠાવ્યા છે કે જ્યારે મંચ પરથી સતત ગૌ રક્ષા અને ગૌ સેવાની વાતો કરવામાં આવે છે તો જમીન પર આવી તસવીરો કેમ સામે આવે છે. લોકોનું કહેવું છે કે માત્ર જાહેરાતો અને સૂત્રોચ્ચારોથી ગૌ સંરક્ષણ શક્ય નથી, આ માટે ગૌશાળાઓની સારી વ્યવસ્થા, પૂરતો ઘાસચારો, પાણી અને સમયસર સારવાર જેવી સુવિધાઓને મજબૂત કરવી પડશે.

આ પણ વાંચો: ફ્યૂઅલ ડ્યૂટી ઘટાડતા સરકાર પર ₹1 લાખ કરોડનો બોજ, પરંતુ ભારતનું અર્થતંત્ર મજબૂતઃ નિર્મલા સીતારામનનો દાવો

ચિંતા અને આત્મમંથનનો વિષય: ગૌ પ્રેમી

ગૌ પ્રેમી હુકમદાને આ સમગ્ર મામલાને અત્યંત દુઃખદ ગણાવતા કહ્યું કે, 'જે સમાજમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે, ત્યાં આ પ્રકારની તસવીરો સામે આવવી એ ચિંતા અને આત્મમંથનનો વિષય છે.' તેમણે વહીવટીતંત્ર અને જનપ્રતિનિધિઓ પાસે આ મામલે જવાબદારી નક્કી કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવાની માંગ કરી છે. હાલમાં વહીવટી સ્તરે તપાસ શરૂ થઈ ચૂકી છે, પરંતુ આ ઘટના ફરી એકવાર એ સવાલ છોડી ગઈ છે કે શું ગૌ સંરક્ષણ માત્ર સૂત્રોચ્ચારો પૂરતું સીમિત છે કે પછી જમીની સ્તરે પણ આ માટે કોઈ નક્કર વ્યવસ્થા અસ્તિત્વમાં છે.