Get The App

આ મહિલાઓ માટેનો કાયદો નથી, ભારતનો ચૂંટણી નકશો બદલવાનું કાવતરું: લોકસભામાં રાહુલ ગાંધીનું સંબોધન

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
આ મહિલાઓ માટેનો કાયદો નથી, ભારતનો ચૂંટણી નકશો બદલવાનું કાવતરું: લોકસભામાં રાહુલ ગાંધીનું સંબોધન 1 - image

Rahul Gandhi Speaks on Women’s Reservation Bill: સંસદના વિશેષ સત્રમાં સરકારે મહિલા અનામત (131મો બંધારણીય સુધારો) અને સીમાંકન (Delimitation) બિલ રજૂ કર્યું છે. જેના પર આજે સાંજે મતદાન થવાનું છે. મતદાન પહેલા લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં સંબોધન કર્યું હતું. 


સંબોધનની શરૂઆતમાં સ્પીકરે રાહુલ ગાંધીના ખબર-અંતર પૂછ્યા

ભાષણની શરૂઆતમાં જ જ્યારે સ્પીકરે તેમના હાથમાં લાગેલી ઈજા વિશે પૂછ્યું, ત્યારે તેમણે સ્મિત સાથે જવાબ આપ્યો કે, સર, અંગૂઠામાં ઈજા થઈ છે.

પ્રિયંકા ગાંધીના ભાષણ દરમિયાન ગૃહમંત્રીના ચહેરા પર સ્મિત જોવા મળ્યું: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રીય પરિદૃશ્યમાં મહિલાઓ એક 'સેન્ટ્રલ ફોર્સ' છે. આપણા સૌના જીવનમાં માતા અને બહેન તરીકે મહિલાઓનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે. પોતાની બહેન પ્રિયંકા ગાંધીના સંબોધનનો ઉલ્લેખ કરતાં રાહુલે સ્વીકાર્યું કે, ગઈકાલે જ્યારે પ્રિયંકા બોલી રહી હતી, ત્યારે તેણે માત્ર 5 જ મિનિટમાં એ કરી બતાવ્યું જે હું 20 વર્ષમાં કરી શક્યો નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રિયંકા ગાંધીના ભાષણ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના ચહેરા પર સ્મિત જોવા મળ્યું, જે આજ સુધી હું પણ કરી શક્યો નથી. 

સંબોધનની શરૂઆતમાં 'વાઇફ ઇશ્યૂ' મુદ્દે રમૂજ

સંબોધનની શરૂઆતમાં રાહુલ ગાંધીએ હસતાં હસતાં કહ્યું, જુઓ, મને અને વડાપ્રધાનને કોઈ 'વાઇફ ઇશ્યુ' નથી!. રાહુલ ગાંધીના આ વિનોદ પર પરિસરમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

'રાષ્ટ્રવિરોધી' બિલના કારણે દલિતોના હક છીનવી લેવામાં આવશે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, પહેલું સત્ય તો એ છે કે આ મહિલા અનામત બિલ નથી, કારણ કે તે તો 2023માં જ પસાર થઈ ચૂક્યું છે. આ બિલ દેશનો ચૂંટણી નકશો બદલવાનો પ્રયાસ છે. આ બિલનો મહિલા સશક્તિકરણ સાથે કોઈ લેવાદેવા નથી. સરકાર માત્ર સત્તા જાળવી રાખવા માટે આ દાવ રમી રહી છે. આ બિલ દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોના અધિકારો છીનવી લેવાનો એજન્ડા છે. આનાથી તેમની ભાગીદારી ઓછી થઈ જશે. સરકારે જે પ્રયોગ કાશ્મીર અને આસામમાં કર્યો તે જ હવે આ 'રાષ્ટ્રવિરોધી' દ્વારા સમગ્ર દેશમાં કરવા માંગે છે. 

મનુવાદી વિચારધારાને પ્રોત્સાહન આપે છે આ બિલ: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે દેશ જ્યારે જાતિ આધારિત વસતી ગણતરીની માંગ કરી રહ્યું છે, ત્યારે સરકાર આ બિલ લાવીને લોકોનું ધ્યાન ભટકાવી રહી છે. આ પગલું બંધારણીય મૂલ્યોને બાજુ પર મૂકીને મનુવાદી વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે છે. અમે દેશમાં બંધારણના શાસનને નબળું પડવા દઈશું નહીં. તમે આદિવાસીઓને હિન્દુ કહો છો પણ તેમને યોગ્ય સ્થાન આપતા નથી. 

રાહુલ ગાંધીએ ‘જાદુગર’ની વાર્તા સંભળાવી સરકારને ઘેરી, રિજિજુ સાથે તીખી તકરાર

રાહુલ ગાંધીએ એક જાદુગરની વાર્તા સંભળાવતા કહ્યું કે, એક જાદુગરે એક ભૂલ કરી અને પછી તે ક્યારેય જાદુ કરી શક્યો નહીં. આજે દેશમાં દરેક જાણે છે કે અસલી 'જાદુગર' અને 'બિઝનેસમેન' કોણ છે.  તેમના આ નિવેદન પર સત્તાપક્ષે ભારે હોબાળો કર્યો હતો. 

કિરેન રિજિજૂએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટીએ હંમેશા ઓબીસી અનામતનો વિરોધ કર્યો છે, જેના કારણે ગૃહમાં લાંબા સમય સુધી સૂત્રોચ્ચાર અને હંગામો ચાલ્યો હતો.

વડાપ્રધાનનું અપમાન કરવા બદલ રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ: રાજનાથ સિંહ

રાહુલ ગાંધીએ જાદુગરની વાર્તા અને બિઝનેસમેન શબ્દનો પ્રયોગ કરતાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ઊભા થઈને વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની જનતાએ મત આપીને વડાપ્રધાન બનાવ્યા છે. રાહુલ ગાંધીના શબ્દોને કાર્યવાથીમાંથી બહાર કરવા જોઈએ અને તેમણે માફી માંગવી જોઈએ.