Get The App

તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં રાહુલ ગાંધીનો 'દબંગ' રુપ, 3 નિર્ણય જેણે કોંગ્રેસની રાજનીતિ બદલી

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં રાહુલ ગાંધીનો 'દબંગ' રુપ, 3 નિર્ણય જેણે કોંગ્રેસની રાજનીતિ બદલી 1 - image

Rahul Gandhi South India strategy: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો અંદાજ હવે ઝડપથી બદલાઈ રહ્યો છે. લાંબા સમયથી ટીકાકારો તેમની નિર્ણય લેવાની ક્ષમતા પર સવાલો ઉઠાવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયામાં તમિલનાડુ, કેરળ અને હવે કર્ણાટકમાં જે રીતે નિર્ણયો લેવાયા છે, તેનાથી એક વાત સ્પષ્ટ છે કે, રાહુલ ગાંધી હવે પહેલા કરતાં વધુ આક્રમક, વ્યવહારુ અને નિર્ણાયક ભૂમિકામાં આવી ગયા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, રાહુલ ગાંધી હવે અન્ય નેતાઓ પર નિર્ભર રહેવાને બદલે પોતાની રાજકીય સૂઝબૂઝ પર વધુ ભરોસો કરવા લાગ્યા છે.

દક્ષિણ ભારત કોંગ્રેસનો સૌથી મજબૂત કિલ્લો

હાલમાં કોંગ્રેસ દક્ષિણ ભારતના પાંચમાંથી ચાર રાજ્યોમાં કાં તો સત્તામાં છે અથવા ગઠબંધન સરકારનો હિસ્સો છે. ભાજપ સામે લડવા માટે દક્ષિણને બચાવી રાખવું એ રાહુલ ગાંધીની સૌથી મોટી રાજકીય પ્રાથમિકતા છે. વર્ષ 2028ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી અને આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી અત્યારથી જ લાંબા ગાળાની વ્યુહરચના ગોઠવી રહ્યા છે.

તમિલનાડુમાં રાહુલ ગાંધીનો અંદાજ સાચો પડ્યો

તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જ રાહુલ ગાંધી ઈચ્છતા હતા કે, કોંગ્રેસ માત્ર ડીએમકે (DMK) પર નિર્ભર રહેવાને બદલે અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજય સાથે ગઠબંધનની શક્યતાઓ ચકાસે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આ વિચારની વિરુદ્ધ હતા, તેઓને લાગતું હતું કે DMKથી અંતર રાખવું જોખમી સાબિત થશે. પરંતુ રાહુલ ગાંધી જાણતા હતા કે વિજયની એન્ટ્રીથી તમિલનાડુના સમીકરણો બદલાયા છે. અંતે જ્યારે વિજયને મોટું જનસમર્થન મળ્યું, ત્યારે આખી પાર્ટીમાં રાહુલ ગાંધીની દૂરંદેશીના વખાણ થવા લાગ્યા.

કેરળમાં સિનિયોરિટી પર યુવા નેતૃત્વ ભારે

કેરળમાં કોંગ્રેસે અનુભવી નેતા કેસી વેણુગોપાલના સ્થાને વીડી સતીશનને ભવિષ્યના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે વધુ મહત્વ આપ્યું. સતીશનની તરફેણમાં ધારાસભ્યો ઓછા હતા, તેમ છતાં રાહુલ ગાંધીએ દિલ્હીની રાજનીતિ કરતા રાજ્ય સ્તરના આક્રમક નેતૃત્વને પ્રાથમિકતા આપી. તેને પાર્ટીમાં પેઢીગત પરિવર્તન (Generation Shift) અને સંગઠનાત્મક વ્યુહરચના તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદમાં હનીટ્રેપ! વોટ્સએપ પર ફ્રેન્ડશિપ બાદ યુવતીએ મળવા બોલાવ્યો, પતિએ મિત્ર સાથે મળી યુવકને ચપ્પુના ઘા ઝીંક્યા

કર્ણાટકમાં એન્ટી-ઇન્કમ્બન્સી રોકવા મોટો પ્લાન!

સૌથી વધુ ચર્ચા હાલ કર્ણાટકની છે, જ્યાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની જગ્યાએ ભવિષ્યમાં ડીકે શિવકુમારને કમાન સોંપવાની તૈયારીઓ ચાલી રહી છે. સિદ્ધારમૈયા મોટા જનાધાર વાળા નેતા છે, પરંતુ હાઈકમાન્ડ સરકારના અડધા કાર્યકાળ પછી ઊભી થતી સત્તા વિરોધી લહેર (Anti-incumbency) ને લઈને સતર્ક છે. શિવકુમારની સંગઠન પર મજબૂત પકડ છે અને તેઓ કોંગ્રેસ માટે સંસાધનો એકત્રિત કરવામાં પણ સક્ષમ છે. કર્ણાટક એ દક્ષિણમાં ભાજપનો ગઢ હોવાથી ત્યાં સંગઠનને મજબૂત રાખવું જરૂરી છે.

વચન પાળવાનો મોટો રાજકીય સંદેશ

આ નિર્ણયો પાછળ એક મોટો નૈતિક સંદેશ પણ છુપાયેલો છે. વર્ષ 2023માં રાહુલ ગાંધીએ કથિત રીતે ડીકે શિવકુમારને વચન આપ્યું હતું કે, અઢી વર્ષ પછી તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. હવે પાર્ટીમાં ચર્ચા છે કે ભલે થોડું મોડું થાય, પણ રાહુલ ગાંધી પોતાનું એ વચન નિભાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

શું બદલાયું રાહુલ ગાંધીની સ્ટાઇલમાં?

પહેલાં તેઓ અલગ-અલગ જૂથો વચ્ચે સંતુલન બનાવવાનો પ્રયાસ કરતા અને વિવાદોથી બચતા હતા. પરંતુ હવે તેઓ પક્ષ હિત અને જીતની સંભાવના જોઈને સીધો હસ્તક્ષેપ કરતા અચકાતા નથી. રાષ્ટ્રીય સ્તરે ભલે કોંગ્રેસ અનેક પડકારોનો સામનો કરી રહી હોય, પરંતુ દક્ષિણ ભારતને અજેય કિલ્લો બનાવવાની રાહુલ ગાંધીની આ નવી આક્રમક નીતિ આવનારા સમયમાં દેશની રાજનીતિની દિશા નક્કી કરશે તે ચોક્કસ છે.