Get The App

‘અધિકારીઓને હટાવાયા, શિક્ષણ મંત્રીને બચાવાયા’ CBSE ચેરમેન-સચિવની બદલી બાદ રાહુલના પ્રહાર

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
‘અધિકારીઓને હટાવાયા, શિક્ષણ મંત્રીને બચાવાયા’ CBSE ચેરમેન-સચિવની બદલી બાદ રાહુલના પ્રહાર 1 - image

Rahul Gandhi On CBSE : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)માં ચાલી રહેલા વિવાદો વચ્ચે સીબીએસઈના ચેરમેન અને સચિવની બદલી કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યા બાદ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ બદલીને ‘મામલો દબાવવાનો પ્રયાસ’ ગણાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે માત્ર અધિકારીઓને હટાવીને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને બચાવી લેવામાં આવ્યા છે.

...તો PMએ શિક્ષણ મંત્રીને હટાવી દીધા હોત : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, જો વડાપ્રધાનને ધોરણ-12ની બોર્ડ પરીક્ષામાં બેસેલા આશરે 18.5 લાખ વિદ્યાર્થીઓની ખરેખર ચિંતા હોત, તો શિક્ષણ મંત્રીને બહુ પહેલા જ પદ પરથી હટાવી દીધા હોત.

‘અસલી જવાબદાર ધર્મેન્દ્ર પ્રધાન સુરક્ષિત’

તેમણે પોસ્ટમાં લખ્યું કે, ‘સીબીએસઈ અધ્યક્ષની બદલી, સીબીએસઈ સચિવની બદલી, એક સભ્યની તપાસ સમિતિની રચના અને અસલી જવાબદાર ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan) સુરક્ષિત. અધિકારીઓને હટાવવામાં આવ્યા, પરંતુ મંત્રીને બચાવી લેવાયા. આ જવાબદારી નક્કી થઈ નથી, આ તો માત્ર દેખાડો છે.’

‘અધિકારીઓને હટાવાયા, શિક્ષણ મંત્રીને બચાવાયા’ CBSE ચેરમેન-સચિવની બદલી બાદ રાહુલના પ્રહાર 2 - image

આ પણ વાંચો : ખેડૂતોનું રૂ.2 લાખ સુધીનું દેવું થશે માફ, લાખોને થશે ફાયદો, દેવા માફી યોજનાને મહારાષ્ટ્ર કેબિનેટની મંજૂરી

શિક્ષણ મંત્રીને બરતરફ કરવાની માંગ

કોંગ્રેસ નેતાએ શિક્ષણ મંત્રીને તાત્કાલિક બરતરફ કરવાની ફરી માંગ કરી છે અને કહ્યું કે, આ સમગ્ર મામલાની સ્વતંત્ર ન્યાયિક તપાસ કરાવવામાં આવે. આ કોઈ એવો આંતરિક મુદ્દો નથી જેને એક મહિનાની અંદર દબાવી દેવામાં આવે.

શું છે સમગ્ર વિવાદ?

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સીબીએસઈની ધોરણ-12ની ડિજિટલ મૂલ્યાંકન પદ્ધતિમાં કથિત ગેરરીતિઓ સામે આવ્યા બાદ બોર્ડના અધ્યક્ષ રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની બદલી કરી દીધી છે. આ સાથે જ ઓનલાઇન મૂલ્યાંકન પ્રણાલીની ખરીદી પ્રક્રિયાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.

સમિતિ એક મહિનામાં રિપોર્ટ સોંપશે

મંત્રીમંડળ સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, આ એક સભ્યની તપાસ સમિતિના અધ્યક્ષપદે એસ. રાધા ચૌહાણ રહેશે. આ સમિતિને જરૂર પડ્યે અન્ય વિભાગોના અધિકારીઓની મદદ લેવાની સત્તા આપવામાં આવી છે. સમિતિએ એક મહિનાની અંદર પોતાનો અહેવાલ કાર્મિક અને તાલીમ વિભાગને સોંપવાનો રહેશે. સીબીએસઈની ઓન-સ્ક્રીન મૂલ્યાંકન પદ્ધતિને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગંભીર ફરિયાદો ઉઠાવી હતી, જેના કારણે આ વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચો : લોકરમાં પડેલું સોનું કેવી રીતે બદલી શકે છે દેશનું નસીબ? જાણો PM મોદીની 'ગોલ્ડ રિસાયક્લિંગ' અપીલ પાછળનું કારણ