Get The App

'જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં', લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં નવો ખુલાસો

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
'જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં', લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં નવો ખુલાસો 1 - image


TarnTaran Shooting Incident: પંજાબના તરનતારનમાં સોમવારે હચમચાવી દેનારી ઘટના બની છે. લૉ કોલેજમાં ભણતી વિદ્યાર્થિની સંદીપ કૌરને તેના જ ક્લાસમેટ પ્રિન્સ રાજે ગોળી મારી દીધી, જેને લઈને તેનું ઘટનાસ્થળે જ મોત થયું. બાદમાં આરોપીએ ખુદને પણ ગોળી મારી દીધી. આ સમગ્ર મામલો એકતરફી પ્રેમ અને જુનૂનની કહાની સામે આવી રહી છે. ક્લાસરૂમમાં બનેલી આ ઘટના બાદ સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.

મૃતક સંદીપ કૌરની બહેન મનપ્રીત કૌરે જણાવ્યું કે, આરોપી વિદ્યાર્થી પ્રિન્સ રાજ છેલ્લા કેટલાક દિવસોથી સંદીપનો પીછો કરી રહ્યો હતો અને તેને સતત હેરાન કરી રહ્યો હતો. તેનો વ્યવહાર ધીરે-ધીરે અસામાન્ય અને આક્રામક થતો જઈ રહ્યો હતો.

સગાઈ થઈ ગઈ હોવાની વાત જણાવ્યા બાદ પણ ન માન્યો

મનપ્રીતના અનુસાર, ગત શુક્રવારે પ્રિન્સે સંદીપને પ્રપોઝ કર્યું હતું. સંદીપે સ્પષ્ટ ના પાડતા કહ્યું હતું કે, તેની સગાઈ થઈ ચૂકી છે અને હવે તેના વચ્ચે કંઈપણ સંભવ નથી. તેમ છતા આરોપી માનવા તૈયાર ન હતો અને સતત મારી બહેનને હેરાન કરતો રહ્યો.

ધમકીભર્યા શબ્દોમાં ઇરાદો વ્યક્ત કર્યો

મૃતક વિદ્યાર્થિની સંદીપની બહેનના અનુસાર, પ્રિન્સ વારંવાર તેના ઘરની આસપાસ ફરતો રહેતો હતો. શુક્રવારે તેણે સંદીપને કહ્યું હતું કે, 'જો તુ મારી નહીં થાય તો તને કોઈ બીજાની પણ નહીં થવા દઉં. ત્યારબાદ શનિવાર અને રવિવારે કોલેજની રજા હતી અને સોમવારે તે હથિયાર લઈને કોલેજ પહોંચ્યો, જ્યાં મારી બહેનની હત્યા કરી નાખી.'

ગોળી વાગ્યા બાદ પણ બહેન સાથે કરતી રહી વાત

મનપ્રીતે જણાવ્યું કે, સંદીપ વકીલ બનવા ઇચ્છતી હતી અને પોતાના ભવિષ્યને લઈને ખુબ જ ગંભીર હતી. ગોળી વાગ્યા બાદ પણ તે ફોન પર પોતાની બહેન સાથે વાત કરી રહી હતી, જેનાથી પરિવારને આશા હતી, પરંતુ બાદમાં તેનું મોત થઈ ગયું.

કોલેજમાં જ થઈ હતી પહેલી મુલાકાત

સંદીપ અને પ્રિન્સની પહેલી મુલાકાત કોલેજમાં જ થઈ હતી. આ એકતરફી પ્રેમ હતો, પરંતુ આરોપીની હરકતો અનસ્ટેબલ મેન્ટલ હેલ્થ તરફ ઇશારો કરતી હતી. તે રોજ સંદીપને I Like You કહેતો હતો અને સતત લગ્ન માટે પ્રેશર કરતો હતો. મનપ્રીતના અનુસાર, મારી બહેન સંદીપે પ્રિન્સને પહેલા જ કહી દીધું હતું કે તે છેલ્લા 3 મહિનાથી એન્ગેજ્ડ છે. તેણે એમ પણ જણાવ્યું હતું કે, તેના પિતા નથી અને પરિવારની સ્થિતિ બરાબર નથી. તેમ છતા આરોપી ન માન્યો.

હથિયારને લઈને સુરક્ષા પર સવાલ

મૃતક સંદીપની બહેન મનપ્રીતનું કહેવું છે કે, આરોપીના પિતા ભારતીય સેનામાં છે અને જે પિસ્તોલથી ઘટના બની, તે તેની હોવાનું જણાવાય રહ્યું છે. કોલેજમાં આરોપી પહેલી વખત હથિયાર લઈને આવ્યો હતો. આ ઘટના બાદ કોલેજની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. પોલીસે સમગ્ર કેસની તપાસ શરૂ કરી દીધી છે. એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, હથિયાર ક્યાંથી આવ્યું અને કોલેજમાં સુરક્ષામાં ચૂક કેવી રીતે થઈ. CCTV ફુટેજ અને સાક્ષીઓના નિવેદનના આધારે તપાસ ચાલી રહી છે.