37 વર્ષમાં સૌથી ભીષણ પૂરથી પંજાબ પાણી-પાણી, 3 નદીઓ ગાંડીતૂર થતાં અનેક ગામ ડૂબ્યા
Punjab Flood: પંજાબમાં પૂરના કારણે સ્થિતિ બગડી રહી છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરને અડીને આવેલા જિલ્લામાં હાલ સ્થિતિ ખૂબ ખરાબ છે અને અનેક ગામો સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયા છે. અહીં રહેતા લોકો હાલ અસ્થાયી કેમ્પમાં રહેવા માટે મજબૂર છે. કોઈ આલીશાન ઘર છોડીને ભાગવા મજબૂર બન્યું છે તો કોઈકને પોતાના પશુઓને કાઢવા સુધીનો પણ સમય નથી મળ્યો.
37 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો
પંજાબના લોકોનું કહેવું છે કે, 1988 બાદ પહેલીવાર આટલું ભયાનક પૂર આવ્યું છે. એટલે કે, 37 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદના કારણે સતલુજ, બ્યાસ અને રાવી નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે.
સેંકડો ગામો ડૂબી ગયા
આસપાસ દૂર-દૂર સુધી રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિ એવી છે કે જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી ફક્ત પાણી જ દેખાય છે. ખાસ કરીને પઠાણકોટ, ગુરદાસપુર, ફાઝિલ્કા, તરન તારન, કપૂરથલા, ફિરોઝપુર, હોશિયારપુર અને અમૃતસરમાં પરિસ્થિતિ ખરાબ છે. નીચાણવાળા વિસ્તારોમાં સેંકડો ગામો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. મોટાભાગના ઘરો પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે, હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે અને જાનમાલનું મોટું નુકસાન થયું છે.
બચાવ કામગીરી તેજ કરાઈ
હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, પરંતુ પહાડોથી મેદાનો સુધી સતત વરસાદના કારણે મુશ્કેલીઓ વધી ગઈ છે. મુખ્યમંત્રી ભગવંત માને તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં વહીવટીતંત્રને બચાવ કામગીરી ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે. આજે તેઓ આ અંગે ચંદીગઢમાં ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજવાના છે. રાજપુરામાં ફ્લડ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, એક ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
પટિયાલામાં પૂર
પટિયાલામાં પૂરનો લાંબો ઇતિહાસ છે. 1993માં પણ આ જિલ્લામાં ભયંકર પૂર આવ્યું હતું. આ ઉપરાંત, બે વર્ષ પહેલાં 2023માં પણ પૂર આવ્યું હતું. ચોમાસામાં આવેલા પૂરને કારણે જિલ્લાના ઘણા ગામડાઓને મોટું નુકસાન થયું હતું. મોટી સંખ્યામાં NRI એ પણ પંજાબને મદદનો હાથ લંબાવ્યો છે. હાલ સોશિયલ મીડિયા પર #PrayforPunjab ટ્રેન્ડ કરી રહ્યું છે.