Priyanka Gandhi Reacts to PM Modi: મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે આજે સોમવારે(23 માર્ચ) સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીએ હોર્મુઝ સ્ટ્રેટ અને ભારતીયોની સુરક્ષાને લઈને નિવેદન આપ્યું હતું. પીએમ મોદીના મિડલ ઈસ્ટના નિવેદનને લઈને પ્રિયંકા ગાંધીએ સવાલ ઉઠાવ્યા હતા. પ્રિયંકાએ કહ્યું કે, 'વડાપ્રધાને કાંઈ નવું નથી કહ્યું...' આમ, પ્રિયંકાએ સંસદમાં મિડલ ઈસ્ટ પર વિસ્તૃતમાં ચર્ચા કરવાની માંગ કરી છે.
વડાપ્રધાને કંઈ નવું નથી કહ્યું: પ્રિયંકા ગાંધી
પ્રિયંકાએ સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, 'વડાપ્રધાને જે નિવેદન આપ્યું છે, તેમાં કોઈ નવી વાત નથી. દેશને માત્ર જાણકારી આપી, પરંતુ આ ગંભીર મુદ્દા પર તમામ પક્ષોના મંતવ્યો સામે આવવા જોઈએ.'
વડાપ્રધાનના મિડલ ઈસ્ટના નિવેદન બાદ પ્રિયંકાનું માનવું છે કે, આ મામલે વધુ ચર્ચા થવાથી સરકાર અને વિપક્ષ બંને પક્ષો પોતપોતાના વિચારો રાખી શકશે. જેથી દેશને સમગ્ર મામલો સમજવામાં મદદ મળશે.
હોર્મુઝ સંકટ પર પીએમ મોદીનું મોટું નિવેદન
વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ(Strait of Hormuz) વિશે પીએમ મોદીએ કડક શબ્દોમાં કહ્યું કે, 'આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં કોઈપણ પ્રકારની અડચણ સ્વીકાર્ય નથી. ભારતની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ, ગેસ અને ખાતર આ માર્ગેથી આવે છે.' હોર્મુઝમાં જહાજોની અવરજવર મુશ્કેલ બની હોવા છતાં, ભારત સરકારે રાજદ્વારી વાતચીત દ્વારા ત્યાં ફસાયેલા અનેક ભારતીય જહાજોને સુરક્ષિત બહાર કઢાવ્યા છે. પીએમ મોદીએ ખાતરી આપી કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની સપ્લાય પર અસર ન પડે તે માટે સરકાર સતત કાર્યરત છે. ખાસ કરીને ભારત પોતાની જરૂરિયાતનો 60% LPG આયાત કરે છે, તેથી હાલમાં ઘરેલુ ગ્રાહકોને પ્રાથમિકતા આપીને સ્થાનિક ઉત્પાદન વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.


