India

પ્રિયંકા ગાંધીએ નવા શિક્ષણ મંત્રી પર કર્યો ગંભીર આક્ષેપ, સંસદમાં ભારે હંગામો, ભાજપ આક્રમક

By GS Team
28 Jul 20262 mins read
TukuTouch Logo
લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પર પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર અને શિક્ષણ નીતિ પર આકરા પ્રહારો કર્યા. તેમણે નવા શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી પર ગંભીર ટિપ્પણી કરતાં કહ્યું કે, "વડાપ્રધાને એવા વ્યક્તિને શિક્ષણ મંત્રી બનાવ્યા છે, જેમણે ગર્ભવતી રેપ પીડિતાના દોષિતોની મુક્તિ પર સંમતિ આપી હતી." આ ટિપ્પણીથી સંસદમાં ભારે હોબાળો મચ્યો હતો, જેના પગલે ભાજપે પ્રિયંકા ગાંધીના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રિયંકા ગાંધીએ નવા શિક્ષણ મંત્રી પર કર્યો ગંભીર આક્ષેપ, સંસદમાં ભારે હંગામો, ભાજપ આક્રમક

Priyanka Gandhi On Education Minister : લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન ભારે હોબાળો જોવા મળ્યો હતો. ચર્ચાની શરૂઆતમાં વિપક્ષની માગણી બાદ સ્પીકર ઓમ બિરલાએ આ બિલ પર ચર્ચાનો સમય 6 કલાકથી વધારીને 10 કલાક કરવાનો નિર્ણય લીધો હતો. આ ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર, શિક્ષણ નીતિ પર આકરા પ્રહારો કરવાની સાથે નવા શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી પર ગંભીર ટિપ્પણી કરી હતી, જેને લઈને સત્તાપક્ષે સખત વિરોધ નોંધાવ્યો હતો.

પેપર લીકથી કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય પ્રભાવિત થયું : પ્રિયંકા ગાંધી

સંસદમાં બોલતા પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે, સરકારે રોજગાર આપતા તમામ ક્ષેત્રોને નબળા પાડ્યા છે. પેપર લીકથી કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય પ્રભાવિત થયું છે, પરંતુ હજુ સુધી કોઈને સજા થઈ નથી. શિક્ષણ સંસ્થાઓમાં આરએસએસના પ્રચારકોને ભરીને સિસ્ટમ ખોખલી કરી દેવાઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે દેશનું શિક્ષણ બજેટ પૂંજીપતિઓના માફ કરાયેલા લોન કરતાં પણ ઓછું છે, જેનાથી દેશના યુવાનોનો ભરોસો તૂટી ગયો છે.

નવા શિક્ષણ મંત્રી પર ટિપ્પણીથી લોકસભામાં વિવાદ

પ્રિયંકા ગાંધીએ નવા શિક્ષણ મંત્રી અંગે ટિપ્પણી કરતાં કહ્યું કે, 'વડાપ્રધાને એક એવા વ્યક્તિને નવા શિક્ષણ મંત્રી તરીકે પસંદ કર્યા છે, જેમણે ગર્ભવતી રેપ પીડિતાના દોષિતોની મુક્તિ પર સંમતિ આપી હતી.' આ ટિપ્પણી બાદ સંસદમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ બાબતે ક્ષોભજનક સ્થિતિ સર્જાતાં સ્પીકરે તેમને ટોક્યા હતા અને ભાજપના સભ્યોએ ભારે વિરોધ કર્યો હતો.

ભાજપે પ્રિયંકા ગાંધીના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો

સંસદીય કાર્ય મંત્રી કિરન રિજિજુએ પ્રિયંકા ગાંધીના નિવેદન સામે આકરો વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે નવા શિક્ષણ મંત્રી પર કરાયેલી આ ટિપ્પણી એક પ્રકારે ચારિત્ર્યહનન છે. રિજિજુએ માંગ કરી કે આ નિવેદનને સંસદના રૅકોર્ડમાંથી હટાવવામાં આવે. તેમણે ઉમેર્યું કે, જો પ્રિયંકા ગાંધી આ વાતને પ્રમાણિત ન કરી શકે, તો તેમણે ગૃહમાં માફી માગવી જોઈએ.

'વિદ્યાર્થીઓ પર પેલેટ ગન અને લાઠીઓ ચલાવવાનો આદેશ કોણે આપ્યો?’

આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને ટીયર ગેસનો મુદ્દો ઉઠાવતા પ્રિયંકા ગાંધીએ ગૃહમંત્રી પાસે જવાબ માગ્યો હતો. તેમણે હૉસ્પિટલમાં ઘાયલ વિદ્યાર્થીઓને મળવાના અનુભવનો ઉલ્લેખ કરીને સવાલ કર્યો કે, 'વિદ્યાર્થીઓ પર પેલેટ ગન અને લાઠીઓ ચલાવવાનો આદેશ કોણે આપ્યો? શું તે બાળકો આતંકવાદી હતા?' તેમણે ભારપૂર્વક કહ્યું કે સંસદ દેશની અનામત છે, કોઈની જાગીર નથી.