Get The App

હવે આશ્રમમાંથી કરશે 'રાજકારણ', પ્રસિદ્ધ ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરની ચોંકાવનારી જાહેરાત

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
Prashant Kishor

Prashant Kishor: જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે બુધવારે પટણા બહારના એક આશ્રમમાં રહેવા જવાની જાહેરાત કરી છે. તેઓ ત્યાં સુધી આશ્રમમાં રહેશે, જ્યાં સુધી આગામી વિધાનસભા ચૂંટણીમાં જન સુરાજ પાર્ટી પોતાની જગ્યા બનાવી ન લે. દરભંગામાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, હું મંગળવારે પટણાના મારા જૂના આવાસમાંથી બહાર નીકળી ગયો છું અને હવે આઈઆઈટી-પટણા નજીક આવેલ 'બિહાર નવનિર્માણ આશ્રમ' મારું નવું સરનામું હશે. મને આશા છે કે ચૂંટણી સુધીમાં મારી પાર્ટી પ્રભાવ પાડી શકશે.

શેખપુરા હાઉસથી 'જન સુરાજ'ની શરૂઆત અને નેતાગીરી

I-PACના સહ-સ્થાપક પ્રશાંત કિશોરે 2024માં 'જન સુરાજ પાર્ટી'ની સ્થાપના કરી હતી, અને પોલિટિકલ કન્સલ્ટન્સી છોડી દીધી હતી. તેઓ અત્યાર સુધી 'શેખપુરા હાઉસ'થી કાર્યરત હતા, જે પટણા એરપોર્ટ નજીક આવેલો એક મોટો બંગલો છે અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ ઉદયસિંહના પરિવારનો છે. ઉદયસિંહ એક જાણીતા રાજકીય પરિવારમાંથી આવે છે, તેમના ભાઈ એન.કે. સિંઘ 15માં નાણાં પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ રહી ચુક્યા છે અને તેમની માતા માધુરી સિંઘ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા.

નીતિશ કુમાર પર આકરા પ્રહાર અને મતદારોને અપીલ

JD(U)ના પૂર્વ ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર તીખો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, 'ચૂંટણી પછી જે વ્યક્તિ મુખ્યમંત્રી બન્યા, તે આર્થિક તંગીના કારણે થતા પલાયનને રોકી શક્યા નહીં, એટલું જ નહીં પણ તેણે પોતે જ પલાયન કરવું વધુ યોગ્ય માન્યું.' તેમણે ઉમેર્યું કે નીતિશ કુમારે તેમના પુત્ર નિશાંત કુમારને રાજકારણમાં ગોઠવવાની ખાતરી કરી લીધી છે, જે હવે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળની બીજેપી સરકારમાં જોડાયા છે. 

આ પણ વાંચો: બંગાળના મદરેસાઓમાં હવે વંદે માતરમ્ ફરજિયાત, શુભેન્દુ સરકારનો ઐતિહાસિક નિર્ણય

આ ઉપરાંત, તેમણે બિહારના મતદારોને જાતિ, ધર્મ કે પૈસાના લાલચના આધારે વોટ આપવાના બદલે પોતાના હિતોને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, 'લોકોએ વોટ આપતા સમયે પોતાના બાળકોના ભવિષ્ય વિશે વિચારવું જોઈએ.'

આર્થિક પડકારો અને સરકારી ખર્ચ અંગેની ચિંતા

પ્રશાંત કિશોરે પશ્ચિમ એશિયાના હાલાતથી ઉદભવતા આર્થિક પડકારો અંગે પણ ચેતવણી આપી છે. તેમનો દાવો છે કે ઈંધણની કિંમતોમાં વધારો થઈ શકે છે અને ખાતરની અછતની સમસ્યા પણ ગંભીર બની શકે છે. આ ઉપરાંત, તેમણે સરકારી ખર્ચ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને, મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની ટીકા કરતા તેમણે કહ્યું કે બિહાર દેશના સૌથી ગરીબ રાજ્યોમાંનું એક હોવા છતાં અહીં ફિજુલ ખર્ચા કરવામાં આવી રહ્યા છે.