Get The App

BIG NEWS: 'મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા...', યુદ્ધ મુદ્દે લોકસભામાં બોલ્યા PM મોદી

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
BIG NEWS: 'મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા...', યુદ્ધ મુદ્દે લોકસભામાં બોલ્યા PM મોદી 1 - image


PM Modi in Loksabha: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ દિવસેને દિવસે વધી રહ્યો છે. અમેરિકા અને ઈઝરાયલના ભીષણ હુમલાઓનો સામનો કરી રહેલું ઈરાન પણ ઈઝરાયલ અને ખાડી દેશોમાં સ્થિત અમેરિકન બેઝ પર મોટાપાયે વળતો પ્રહાર કરી રહ્યું છે. યુદ્ધના 24 દિવસ વીતી ચૂક્યા છે અને સમગ્ર વિસ્તારમાં તણાવ ચરમસીમા પર છે, જેની સારી અસર દુનિયાભરની ઉર્જા જરૂરિયાતો પર જોવા મળી રહી છે. આવા ગંભીર સમયમાં ભારત પણ સતર્કતાથી પોતાના પગલાં ભરી રહ્યું છે. આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે(23 માર્ચ) લોકસભામાં આ સંકટ પર ભારત સરકારનું વલણ સ્પષ્ટ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં પોતાના સંબોધનમાં જુઓ શું કહ્યું....


લોકસભામાં વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં શું કહ્યું?

આ યુદ્ધે ભારત સામે અણધાર્યા પડકારો ઊભા કરી દીધા 

લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, 'હું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને લઈને વાત મૂકવા ઊભો થયો છું. પશ્ચિમ એશિયામાં સંકટ અત્યંત ચિંતાજનક છે, જેની સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર થઈ રહી છે. આ સંકટને હવે ત્રણ અઠવાડિયાથી વધુ સમય વીતી ચૂક્યો છે. સમગ્ર દુનિયા આ સંકટમાંથી ટૂંક સમયમાં જ સમાધાન શોધવા માટે તમામ પક્ષોને આગ્રહ કરી રહી છે. આ યુદ્ધે ભારત સામે અણધાર્યા પડકારો ઊભા કરી દીધા છે. ભારત સામે આર્થિક તથા રાષ્ટ્રીય સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે. એસ જયશંકર અને હરદીપ પુરીએ માહિતી આપી છે. ભારતની સંસદથી આ સંદેશ દુનિયામાં જવો જોઈએ કે સંકટનું ટૂંક સમયમાં જ સમાધાન થાય.

ભારતીયોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા 

ભારતીયોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ઈરાન યુદ્ધથી પ્રભાવિત દેશોમાં, જ્યાં પણ ભારતીય મિશન છે, સતત ભારતીયોની મદદ કરાઈ રહી છે. ત્યાં કામ કરનારા કે પ્રવાસીઓને શક્ય તમામ મદદ કરાઈ રહી છે. આ યુદ્ધ શરૂ થયું ત્યારથી અસર થઈ છે, એ દેશોમાં ભારતીયોને જરૂરી મદદ પહોંચાડાઈ રહી છે. નિયમિત રૂપે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. 24 કલાક કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન સ્થાપિત કરવામાં આવી છે. સંકટની સ્થિતિમાં દેશ-વિદેશમાં ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા રહી છે. યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધી 3,75,000 ભારતીયો સુરક્ષિત રીતે પાછા આવી ચૂક્યા છે. લગભગ 1 કરોડ ભારતીયો ખાડી દેશોમાં રહે છે અને ત્યાં કામ કરે છે. કોમર્શિયલ જહાજોમાં ભારતીય ક્રૂ મેમ્બર્સની સંખ્યા મોટી છે. ઈરાનથી જ 1 લાખથી વધુ ભારતીયો ભારત પરત ફર્યા છે, જેમાં 700થી વધુ મેડિકલનો અભ્યાસ કરતા યુવાનો છે. ખાડી દેશોમાં હજારો વિદ્યાર્થીઓ ભણે છે. ખાડી દેશોની ભારતીય શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. સરકાર સંવેદનશીલ અને સતર્ક છે.


અત્યાર સુધીમાં પોણા ચાર લાખ ભારતીયો પરત ફર્યા 

મેં પોતે પશ્ચિમ એશિયાના રાષ્ટ્રપ્રમુખો સાથે બે રાઉન્ડ ટેલિફોનિક વાત કરી છે. તેમણે ભારતીયોની સુરક્ષાની ખાતરી પણ આપી છે. કમનસીબે અમુક લોકોના મૃત્યુ થયા છે, જેમના પરિવારોને પણ જરૂરી મદદ કરાઈ રહી છે. પ્રભાવિત દેશોમાં ભારતના તમામ દૂતાવાસ ભારતીયોની મદદ કરી રહ્યા છે.  દેશ-વિદેશમાં ભારતીયોની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા રહી છે. યુદ્ધ શરૂ થયા બાદથી અત્યાર સુધી પોણા ચાર લાખ ભારતીયો સુરક્ષિત ભારત પરત ફર્યા છે. 

દેશમાં ક્રૂડ ઓઇલ, ખાતર સહિત અનેક ચીજવસ્તુ હોર્મુઝ ખાડીના જળમાર્ગેથી આવે છે. હવે ત્યાંથી અવરજવર પડકારજનક થઈ રહી છે. આમ છતાં, સરકારનો પ્રયાસ છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસના પુરવઠા પર ખાસ અસર ના થાય. 

ભારત પાસે આજે 53 લાખ મેટ્રિક ટનનું પેટ્રોલિયમ ભંડાર રિઝર્વ

ભારતમાં મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ અને ગેસ હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે આયાત કરવામાં આવે છે. યુદ્ધ બાદથી જ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પડકારજનક થઈ ગઈ છે. તેમ છતાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની સપ્લાય પ્રભાવિત ન થાય તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આપણે જાણીએ છીએ કે, દેશ પોતાની જરૂરિયાતનો 7 ટકા એલપીજી આયાત કરે છે, તેના પુરવઠામાં અનિશ્ચિતતાના કારણે એલપીજીના સ્થાનિક ઉપયોગને પ્રાથમિકતા આપી છે. ભારત 60 ટકા LPGની આયાત કરે છે, જેની સપ્લાયમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. જેના કારણે LPGનું પ્રોડક્શન ભારતમાં જ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પણ જળવાઈ રહે તેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારત પાસે આજે 53 લાખ મેટ્રિક ટનનું પેટ્રોલિયમ ભંડાર રિઝર્વ છે. 65 લાખથી વધુ જથ્થા પર કામ થઈ રહ્યું છે. આ સિવાય ઓઇલ કંપનીઓ પાસે જે રિઝર્વ રહે છે તે અલગ છે. સરકાર જુદા જુદા દેશો સાથે પણ સંપર્કમાં છે. ટૂંકમાં શક્ય હોય તે દેશમાંથી આપણને આ પુરવઠો મળતો રહે તે જ અમારો પ્રયાસ છે.


ઈથેનોલ અને મેટ્રો નેટવર્ક વિશે.. 

આ સ્થિતિમાં હોર્મુઝની ખાડીના જળમાર્ગમાં ફસાયેલા જહાજો ભારત આવ્યા છે. છેલ્લા 10-11 વર્ષમાં ઈથેનોલના ઉત્પાદન પર અભૂતપૂર્વ કામ કરવામાં આવ્યું. એક દસકા પહેલા સુધી દેશની ઈથેનોલ બ્લેન્ડિંગ કેપિસિટી 1 ટકો હતી, જે અત્યારે 20 ટકા સુધી પહોંચી ગઈ છે. તેના કારણે ઓછું ક્રૂડ ઓઇલ આયાત કરવું પડે છે. રેલવેનું વીજળીકરણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને 15 હજાર ઈલેક્ટ્રિક બસો આપી છે. વર્તમાન સંકટના કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે, પણ ભારત સરકાર આ સંકટની અસર દેશ પર ઓછામાં ઓછી થાય તે માટે પ્રયાસ કરી રહી છે. અમે તમામ સેક્ટરના સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરી રહ્યા છીએ.

એવી જ રીતે, દેશમાં એક સમયે મેટ્રોનું નેટવર્ક 250 કિ.મી. હતું, જે અત્યારે વધીને 1100 કિ.મી થઈ ગયું છે. ઈલેક્ટ્રિક મોબિલિટી પર પણ ફોકસ કર્યું છે. કેન્દ્રએ રાજ્યોને 15000 ઈલેક્ટ્રિક બસો આપી છે. આજે જે સ્કેલ પર વૈકલ્પિક ઇંધણ પર કામ થઈ રહ્યું છે, તેનાથી ભારતનું ભવિષ્ય વધુ સુરક્ષિત થશે.


ખેડૂતોએ અન્નના ભંડાર ભરી રાખ્યા છે, ભારત પાસે ખાદ્યનો પૂરતો જથ્થો 

દેશના ખેડૂતોએ અન્નના ભંડાર ભરી રાખ્યા છે જેના કારણે ભારત પાસે ખાદ્યનો પૂરતો જથ્થો છે. સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા ખાતરનો રિઝર્વ જથ્થો રાખ્યો છે. કોરોના વખતે પણ ગ્લોબલ સપ્લાય ચેઇન ખોરવાઈ હતી, યુરિયાની એક બોરીનો ભાવ રૂ. 3,000 સુધી પહોંચ્યો હતો, પરંતુ ભારતના ખેડૂતોને તે બોરી રૂ. 300થી પણ ઓછા ભાવે મળતી હતી. બીજી તરફ ભારતમાં યુરિયાનું ઉત્પાદન સતત વધારવામાં આવ્યું છે.

દેશમાં છ યુરિયા પ્લાન્ટ પણ શરૂ કરાયા 

દેશમાં છ યુરિયા પ્લાન્ટ પણ શરૂ કરાયા છે, જેની ઉત્પાદન ક્ષમતા છ લાખ મેટ્રિક ટનથી પણ વધુ છે. ક્રૂડ ઓઇલની જેમ ખાતરની આયાતને પણ ડાઇવર્સિફાય કરાઈ છે. એટલે કે એક જ જગ્યાએ જ નહીં, પરંતુ વિવિધ દેશમાંથી તેની આયાત કરાય છે. સરકાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પણ પ્રોત્સાહિત કરે છે. તેમને સોલર પંપ અપાયા છે, જેથી ડીઝલ પર તેમની નિર્ભરતા ઓછી થાય. અમે હજુ પણ આ રીતે ખેડૂતોને મદદ કરતા રહીશું.


ભારત શાંતિપૂર્ણ સમાધાનના પક્ષમાં: PM મોદી

હાલની સ્થિતિમાં ભારત સામે અનેક પડકારો છે. વેસ્ટ એશિયાની સ્થિતિ પર ભારત સરકાર સતર્ક, સંવેદનશીલ અને તૈયાર છે. સંઘર્ષ અમે શરૂઆતથી જ ચિંતા વ્યક્ત કરી હતી અને મેં પોતે પણ પશ્ચિમ એશિયાના નેતાઓ સાથે વાતચીતમાં તણાવ ઓછો કરી સંઘર્ષ સમાપ્ત કરવાનો આગ્રહ કર્યો છે. ભારતે નાગરિકો, એનર્જી તથા ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો વિરોધ કર્યો છે. 

યુદ્ધની અસર લાંબા સમય સુધી રહેશે: PM મોદી

યુદ્ધની અસર લાંબા સમય સુધી રહેશે. કોરોના સમયે પણ પડકારોનો સામનો કરી ચૂક્યા છીએ. ઈરાન યુદ્ધ વચ્ચે હોર્મુઝથી જહાજોને પસાર થવું પડકારજનક છે. વાતચીત દ્વારા હોર્મુઝથી ભારતના અનેક જહાજોને પસાર કર્યા છે. કોમર્શિયલ જહાજો પર હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટમાં અવરજવરમાં અડચણ અસ્વીકાર્ય છે. ભારત હંમેશા જ માનવતાના હિતમાં અને શાંતિના પક્ષમાં રહ્યું છે. વાતચીત અને કૂટનીતિ જ આ સમસ્યાનું સમાધાન છે. આ યુદ્ધમાં કોઈના પણ જીવન પર સંકટ માનવતાના હિતમાં નથી.

દેશમાં છેલ્લા એક દસકામાં એનર્જી સેક્ટરમાં લીધેલા પગલાં હવે મહત્ત્વના સાબિત થઈ રહ્યા છે. પહેલા ક્રૂડ, એલએનજી, એલપીજી જેવી જરૂરિયાતો માટે 27 દેશોમાંથી આયાત થતી હતી, પરંતુ હવે 47 દેશમાંથી આ આયાત થાય છે. 

અમે દેશના દરેક ક્ષેત્રના સ્ટેક હોલ્ડર સાથે ચર્ચા કરી રહ્યા છીએ. સરકારે ઇન્ટર-મિનિસ્ટ્રિયલ ગ્રૂપ પણ બનાવ્યું છે, જે રોજ મળે છે અને ઊર્જા ક્ષેત્રમાં આવતી સંભવિત મુશ્કેલી વિશે ચર્ચા કરીને તેનો ઉકેલ લાવે છે. મને વિશ્વાસ છે કે, આપણે આ રીતે સારું કામ કરી શકીશું.