2029ની ચૂંટણીમાં બદલાશે દેશની તસવીર! મહિલા અનામત અંગે PM મોદીનો રાષ્ટ્રજોગ સંદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi on Women Reservation 2026: પીએમ મોદીએ મહિલા અનામત વિધેયક(નારી શક્તિ વંદન વિધેયક) અંગે રાષ્ટ્રને સંબોધતાં એક મહત્ત્વનો વીડિયો સંદેશ અને લેખ શેર કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો આપણે 2047 સુધીમાં ભારતને 'વિકસિત ભારત' બનાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, તો દેશની માતૃશક્તિને તેમના પૂર્ણ સામર્થ્ય સાથે રાષ્ટ્રના વિકાસમાં જોડવી અત્યંત અનિવાર્ય છે. પીએમ મોદીએ તેમના બે દાયકાથી વધુના સરકારના વડા તરીકેના અનુભવને ટાંકીને કહ્યું હતું કે, મહિલાઓની ભાગીદારી વિના આ લક્ષ્ય સિદ્ધ કરી શકાય તેમ નથી.
2029માં મળશે 33 ટકા પ્રતિનિધિત્વ
પીએમ મોદીએ મહિલા અનામત અંગે મહત્ત્વનો સંદેશ આપતા જણાવ્યું છે કે, વર્ષ 2029ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓને સંસદ અને વિધાનસભામાં 33 ટકા પ્રતિનિધિત્વ મળે તે અત્યંત જરૂરી છે. આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે છેલ્લા કેટલાક સમયથી તમામ રાજકીય પક્ષો સાથે સકારાત્મક ચર્ચા ચાલી રહી છે, જેમાં મોટાભાગના પક્ષોએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. પીએમ મોદીએ આ વિષય પર એક વિશેષ લેખ પણ લખ્યો છે અને દેશવાસીઓને તે વાંચવા તેમજ અન્ય લોકોને પ્રેરિત કરવા વિનંતી કરી છે.
આ પણ વાંચો: અમદાવાદ: ભાગીદારીમાં વિશ્વાસઘાત! શેરબજારમાં ઊંચું રિટર્ન અપાવવાના બહાને કરોડોનો ચૂનો
લોકશાહીની મજબૂતી માટે મહિલા ભાગીદારી
આ સાથે જ પીએમ મોદીએ તમામ પક્ષોને અપીલ કરી છે કે આગામી 16, 17 અને 18 એપ્રિલના રોજ સંસદમાં આ વિધેયકને કોઈ પણ અવરોધ વિના પસાર કરવામાં આવે, જેથી દેશની નારી શક્તિને તેમનો હક મળી શકે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સ્પષ્ટ કર્યું હતું કે કાયદાકીય સંસ્થાઓમાં મહિલાઓ માટે અનામત એ વર્તમાન સમયની મોટી માગ છે. જો આ પ્રક્રિયામાં હવે કોઈ પણ પ્રકારનો વિલંબ થશે, તો તે લોકશાહી અને રાષ્ટ્રના વિકાસ માટે કમનસીબ ગણાશે. તેમના મતે, મહિલાઓની સક્રિય ભાગીદારીથી જ ભારતની લોકશાહી વધુ મજબૂત અને જીવંત બનશે.









