PM Modi Live in Rajysabha : પીએમ મોદીએ જણાવ્યું હતું કે, જો આ યુદ્ધ ચાલુ રહેશે, તો તેના ગંભીર પરિણામો આવશે. તેમણે કહ્યું કે, ભારત દરેક ક્ષેત્રમાં એવો પ્રયાસ કરી રહ્યું છે કે કોઈપણ ક્ષેત્રમાં અન્ય દેશો પર વધુ પડતી નિર્ભરતા ન રહે. વડાપ્રધાને શિપ બિલ્ડિંગથી લઈને રેર અર્થ મિનરલ્સ (દુર્લભ ખનિજો) સુધી, આત્મનિર્ભરતાના પ્રયાસો ગણાવ્યા અને કહ્યું કે આ સંકટે દુનિયાને હચમચાવી દીધી છે. આમાંથી બહાર આવવામાં પણ વિશ્વને ઘણો સમય લાગશે. સરકાર પળેપળ બદલાતી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
અમે સતત તમામ દેશો સાથે સંપર્કમાં છીએ: પીએમ મોદી
PM મોદીએ કહ્યું છે કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને ત્રણ સપ્તાહનો સમય થઈ ગયો છે. જેના કારણે વિશ્વમાં ગંભીર ઉર્જા સંકટ ઊભું થયું છે. જેની અસર ભારત પર પણ પડી રહી છે. આ યુદ્ધના કારણે ભારતના વેપારના રસ્તા પ્રભાવિત થઈ રહ્યા છે. ગલ્ફ દેશોમાં એક કરોડથી વધુ ભારતીયો વસે છે, તેથી તેમની સુરક્ષા પણ ભારત માટે ચિંતાનો વિષય છે. મેં પશ્ચિમ એશિયાના મોટા ભાગના દેશોના વડાઓ સાથે બે વખત વાતચીત કરી છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રભાવિત પરિવારોને મદદ આપવામાં આવી રહી છે. ત્યાંનાં તમામ દેશોએ ભારતીયોની સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે. જોકે કેટલાક ભારતીયોનું દુ:ખદ નિધન થયું છે, તેમની મદદ માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ભારતમાં મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને ગેસ હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે આયાત કરવામાં આવે છે. યુદ્ધ બાદથી જ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પડકારજનક થઈ ગઈ છે. LPGનું પ્રોડક્શન ભારતમાં જ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પણ જળવાઈ રહે તેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારત પાસે આજે 53 લાખ મેટ્રિક ટનનું પેટ્રોલિયમ ભંડાર રિઝર્વ છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં અડચણ અસ્વીકાર્ય છે: પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, યુદ્ધની શરૂઆત બાદ મેં પશ્ચિમ એશિયાના દેશોના વડા સાથે બે વખત વાતચીત કરી છે. અમે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા સાથે પણ સતત સંપર્કમાં છીએ. અમે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે પણ વાતચીત કરી છે. કોમર્શિયા જહાજો પર હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટમાં અડચણ અસ્વીકાર્ય છે. ભારતે નાગરિકો તથા સિવિલ ઈન્સફરાસ્ટ્રક્ચર પર હુમલાનો વિરોધ કર્યો છે. ભારત ડિપ્લોમેસીના માધ્યમથી યુદ્ધના આ માહોલમાં જહાજોની અવરજવર માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારોએ 'ટીમ ઈન્ડિયા' બનીને કામ કરવું પડશે: પીએમ મોદી
આ સંકટ આપણી મોટી પરીક્ષા લેશે અને આ પરીક્ષામાં રાજ્યોનો સહકાર મળે તે આવશ્યક છે. સંકટના સમયમાં ગરીબ અને શ્રમિકો પર અસર પડે છે. તેથી તેમને અનાજ મળતું રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. રાજ્ય સરકારોએ આવા સમયમાં સંગ્રહખોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. જરૂરી ચીજ વસ્તુઓની સપ્લાય ચાલતી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. હું તમામ રાજ્ય સરકારોને અનુરોધ કરવા માંગુ છું કે સંકટ ભલે ગમે તેટલું મોટું હોય, ભારતની અર્થવ્યવસ્થા તેજીથી આગળ વધે તે માટે સતત પ્રયાસ કરવા પડશે. કોરોના સંકટ સમયે કેન્દ્ર અને રાજ્યોએ ટીમ ઈન્ડિયા બનીને સારું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આપણે તે જ ભાવના સાથે આગળ પણ કામ કરવાનું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસોથી દેશ આ ગંભીર વૈશ્વિક સંકટનો સામનો કરશે.
જો યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ નક્કી: પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, દુનિયાના અનેક દેશોથી ક્રૂડ ઓઈલ અને LPGના જહાજ ભારત પહોંચી રહ્યા છે. જો યુદ્ધની પરિસ્થિતિ લાંબા સમય સુધી રહે તો ગંભીર દુષ્પરિણામ નક્કી છે. જે માટે ભારતે તૈયારી શરૂ કરી છે. ભારતનો 90 ટકા વેપાર વિદેશી જહાજો પર થાય છે, જેથી ભારતે હવે મેડ ઈન ઈન્ડિયા જહાજો બનાવવા માટે 70 હજાર કરોડ રૂપિયાનું અભિયાન શરૂ કર્યું છે. આ સિવાય ભારતના મોટા ભાગના હથિયાર પણ દેશમાં જ બનાવવામાં આવી રહ્યા છે. વર્તમાન સંકટના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું છે.
દેશવાસીઓએ દરેક સંકટ માટે તૈયાર રહેવું પડશે: પીએમ મોદી
આ સંકટ અલગ પ્રકારનું છે તેથી આપણે ધૈર્ય સાથે શાંત મને દરેક સંકટનો સામનો કરવાનો છે. યુદ્ધમાં પળેપળ પરિસ્થિતિ બદલાઈ રહી છે. હું દેશવાસીઓને અપીલ કરું છું કે આપણે દરેક સંકટથી લડવા તૈયાર રહેવું પડશે.


