PM Modi Rajya Sabha speech : રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંબોધન કર્યું હતું. તેમનું સંબોધન શરુ થતાં જ વિપક્ષના સાંસદોએ 'વિપક્ષ નેતાને બોલવા દો...'ના નારા લગાવ્યા હતા. નોંધનીય છે કે PM મોદી આજે જ લોકસભામાં પણ ભાષણ આપવાના હતા પરંતુ વિપક્ષ દ્વારા 'અપ્રિય ઘટના'ની આશંકાના કારણે તેઓ બોલી શક્યા નહોતા.
ખડગે પર PM મોદીનો કટાક્ષ
PM મોદીએ ભાષણ શરુ થતાં જ કોંગ્રેસ નેતા ખડગે પર કટાક્ષ કરતાં કહ્યું કે, આદરણીય સભાપતિ ખડગેજીની ઉંમરને જોતાં તેમને બેઠા બેઠા નારા લગાવવાની છૂટ આપો....'
વડાપ્રધાન મોદીનું ભાષણ લાઇવ:
ભારતનો ગ્રોથ રેટ ઊંચો અને મોંઘવારી ઓછી છે; PM મોદી
PM મોદીએ કહ્યું કે, ભારત પ્રત્યે વિશ્વનું આકર્ષણ વધી રહ્યું છે અને ભારતના ટેલેન્ટનું મહત્ત્વ વિશ્વ સમજી રહ્યું છે. વિશ્વમાં અનેક પડકારો વચ્ચે ભારત આશાનું કિરણ બન્યું છે. મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારતનો ગ્રોથ રેટ ઊંચો અને મોંઘવારી ઓછી છે. આ આપણી અર્થવ્યવસ્થાની મજબૂતાઈને દર્શાવે છે. દેશ સ્વતંત્ર થયો ત્યારે આપણે દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતા, પણ આ લોકોએ (વિપક્ષ) દેશને 11મા ક્રમે પહોંચાડી દીધો. આજે અમે ત્રીજા સ્થાને જવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
હવે નવા વર્લ્ડઑર્ડર તરફ આગળ વધી રહ્યું છે વિશ્વ, પલડું ભારત તરફ: PM મોદી
PM મોદીએ કહ્યું કે, વિજ્ઞાન, સ્પેસ, સ્પોર્ટ્સ સહિતના દરેક સેક્ટરમાં ભારતમાં એક અનોખો આત્મવિશ્વાસ છે. કોવિડ મહામારી બાદ જે સ્થિતિ પેદા થઈ તેના કારણે આજે દુનિયા ડામાડોળ છે. એવામાં વિશ્વ હવે નવા વર્લ્ડઑર્ડર તરફ આગળ વધી રહ્યું છે. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ એક નવું વર્લ્ડઑર્ડર બન્યું હતું, તે પછી હવે ફરી નવું વર્લ્ડઑર્ડર રચાઈ રહ્યું છે. સૌથી મોટી ખુશીની વાત છે કે તમામ ઘટનાઓમાં પલડું ભારત તરફ નમેલું છે. ભારત 'વિશ્વબંધુ' રૂપે અનેક દેશોનો પાર્ટનર બન્યો છે. વિશ્વ કલ્યાણ માટે આપણે ઉચિત ભૂમિકા ભજવી રહ્યા છે અને સહાય પણ કરી રહ્યા છીએ.
મેં વાયબ્રન્ટ ગુજરાત સમિટ કરી ત્યારે જાપાન પાર્ટનર હતું: PM મોદી
આજે આખું વિશ્વ ગ્લોબલ સાઉથની ચર્ચા કરે છે પણ ભારત જ તેનું સૂત્રધાર રહ્યું છે. પાછલા થોડા દિવસોમાં દુનિયાના 9 દેશો સાથે ફ્રી ટ્રેડ ડીલ થઈ જેમાં મધર ઑફ ડીલ્સ થઈ. જેમાં 27 દેશો સાથે એકસાથે ડીલ થઈ. વિપક્ષે દેશના હાલ એવા કરી નાંખ્યા હતા કે કોઈ પણ દેશ ભારત સાથે ડીલ કરવા આગળ નહોતો આવતો. હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે 'વાયબ્રન્ટ ગુજરાત' સમિટ કરતો હતો. ત્યારે એક ગુજરાત રાજ્યમાં પાર્ટનર દેશ જાપાન હતો. મેં તે સમયે જે સામર્થ્ય બતાવ્યું તે આજે ભારતમાં જોવા મળી રહ્યું છે. કોંગ્રેસે આ દેશ એવો બરબાદ કરી નાંખ્યો હતો અમારી શક્તિ તેમની ભૂલો સુધારવામાં જઈ રહી છે. દુનિયાના દેશો સામે ભારતની છબી સુધારવી પડે છે. મારા પર વિશ્વાસ ન હોય તો લાલ કિલ્લાથી કોંગ્રેસના તમામ વડાપ્રધાનના ભાષણ વાંચી લો. તેમની પાસે કોઈ વિઝન હતું જ નહીં.
ટ્રેડ ડીલ પર PM મોદીનું મોટું નિવેદન
આજે મોટા મોટા દેશ ભારત સાથે સંબંધ બનાવવા માટે આતુર છે. સમગ્ર વિશ્વ ખૂલીને ભારતની ટ્રેડ ડીલના વખાણ કરી રહ્યું છે. યુરોપ અને અમેરિકા સાથેની ટ્રેડ ડીલ બાદ ભારતના યુવાનોને સૌથી મોટો લાભ થશે. તેમના માટે આખા વિશ્વનું બજાર ખૂલી ગયું છે. દુનિયામાં ભારતના યુવા પ્રોફેશનલ્સની માંગ વધી રહી છે.
TMC પર PM મોદીનો પ્રહાર
PM મોદીએ TMC પર પ્રહાર કરતાં કહ્યું કે, દુનિયાના સમૃદ્ધ દેશો ગેરકાયદે લોકોને કાઢી રહ્યા છે. પણ આપણે ત્યાં ઘૂસણખોરોને બચાવવા માટે અદાલતો પર દબાણ કરાય છે. આ ઘૂસણખોરો મારા દેશના જવાનોની રોજી રોટી છીનવી રહ્યા છે અને આદિવાસીઓની જમીન છીનવી રહ્યા છે. અને આ લોકો અહીં આવીને અમને ઉપદેશ આપે છે!
PM મોદીના ભાષણના અન્ય મુખ્ય મુદ્દા
- અમે મુદ્રા યોજનાના માધ્યમથી 30 લાખ કરોડ રૂપિયા આપ્યા. બેન્કોમાં NPA ઘટાડીને 1 ટકાથી નીચે લાવ્યા. કોંગ્રેસના સમયમાં નેતાઓના ફોનથી કરોડોની લોન આપી દેવામાં આવતી હતી.
- આજે LIC ઉત્તમ પરફોર્મન્સ કરી રહી છે, ભારતના અન્ય PSU રેકોર્ડબ્રેક નફો કરી રહ્યા છે
- અમે નાના ખેડૂતોના ખાતામાં 4 લાખ કરોડ રૂપિયા આપ્યા
- અમારા શાસનમાં બસ્તરનો વિકાસ થયો, તેમાં એક ગામમાં પહેલીવાર લોકોએ બસ જોઈ અને ઉત્સવ મનાવ્યો, આ સ્થિતિમાં દેશ છોડીને ગયા હતા આ લોકો
- મારો જન્મ પણ નહોતો થયો તે પહેલા સરદાર પટેલે નર્મદા નદી પર ડેમ બનાવવાની કલ્પના કરી હતી, વડાપ્રધાન બન્યા બાદ મેં તેનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી હતો ત્યારે 3 દિવસ ઉપવાસ કરવા પડ્યા હતા. જે બાદ સરકાર ઝૂકી અને ડેમના નિર્માણને ગતિ મળી
લોકસભામાં ભાષણ ન આપી શક્યા વડાપ્રધાન, 22 વર્ષ બાદ પરંપરા તૂટી
બજેટ સત્રમાં સંસદના બંને ગૃહમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. આજે લોકસભામાં ભારે હોબાળા વચ્ચે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ ધ્વનિ મતથી પસાર થઈ ગયો છે. આવું 22 વર્ષ બાદ પહેલીવાર થયું છે જે જ્યાં વડાપ્રધાનના ભાષણ વિના જ લોકસભામાં આભાર પ્રસ્તાવ પસાર થયો હોય. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ નિવેદન આપ્યું છે કે તેમણે જ PM મોદીને સંસદમાં ભાષણ ન આપવા સલાહ આપી હતી કારણ કે કોંગ્રેસના સાંસદો પહેલેથી જ તેમની ખુરશી ઘેરીને ઊભા હતા. ઓમ બિરલાએ કહ્યું કે, હું ખૂબ દુખી થઈને કહી રહ્યો છું કે ગઈકાલે મારી ચેમ્બરમાં કેટલાક સદસ્યો જે વ્યવહાર કર્યો તેવું ભૂતકાળમાં ક્યારેય નથી થયું. વિપક્ષના સદસ્યોએ ગઈકાલે જે કર્યું તે કલંક સમાન છે. PM મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવાના હતા. તે પહેલા મારી પાસે જાણકારી આવી કે કોંગ્રેસના સાંસદો વડાપ્રધાન સાથે અપ્રિય ઘટના કરી શકે છે. જે બાદ મેં PM મોદીને આગ્રહ કર્યો કે તમે સદનમાં ન આવશો. હું PM મોદીનો આભારી છું કે તેમણે મારી વાત સ્વીકારી. જો PM મોદી લોકસભામાં આવ્યા હોત તો પરિસરમાં અપ્રિય ઘટના થઈ હોત.
મહિલા સાંસદોને આગળ કરી PM મોદી પર હુમલો કરવાનો પ્લાન હતો: રિપોર્ટ
ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ અનુસાર કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર શારીરિક હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું. લોકસભાના સ્પીકરને માહિતી મળી હતી કે કોંગ્રેસે મહિલા સાંસદોને ઢાલ બનાવી વડાપ્રધાન મોદી પર હુમલો કરવાનું કાવતરું રચી હતી. જે બાદ લોકસભા સ્પીકરે વડાપ્રધાન મોદીના ભાષણ વિના જ આભાર પ્રસ્તાવ પસાર કરવાનો નિર્ણય લીધો. ભાજપ સાંસદ મનોજ તિવારી અને કંગના રણૌતે પણ આવા જ આરોપ લગાવ્યા હતા કે કોંગ્રેસ સાંસદો વડાપ્રધાન મોદી પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા.


