Get The App

PM મોદીએ UAEના શાસકને આપી કેસર કેરી અને કચ્છની દુર્લભ પેઇન્ટિંગ! શાહી પરિવાર માટે ખાસ અણમોલ ભેટ

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
PM મોદીએ UAEના શાસકને આપી કેસર કેરી અને કચ્છની દુર્લભ પેઇન્ટિંગ! શાહી પરિવાર માટે ખાસ અણમોલ ભેટ 1 - image

PM Modi UAE Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ દેશોના પ્રવાસના ભાગરૂપે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરી સાત સમજૂતી કરાર કર્યા છે. આ ઉપરાંત તેમણે માત્ર વેપાર જ નહીં, નાહયાન પરિવારને ભારતની સંસ્કૃતિ અને પારંપરિક ઉત્પાદનોની અનોખી ભેટ પણ આપી છે. તેમણે નાહયાન પરિવારને ગુજરાત સહિત 7 રાજ્યોમાં પ્રસિદ્ધ ચીજ-વસ્તુઓની અનોખી ભેટ આપી છે.

ગુજરાતની કેસર કેરી, કચ્છનું પેઈન્ટિંગ પણ ભેટમાં આપ્યું

પીએમ મોદીએ નાહયાન પરિવારને ગુજરાતની જૂનાગઢની કેસર કેરી અને કચ્છનું રોગન પેઇન્ટિંગ, મેઘાલયના અનાનસ, મણિપુરના બ્લેક રાઇસ, મધ્ય પ્રદેશનું મહેશ્વરી સિલ્ક કાપડ, તેલંગાણાનું કરીમનગર ફિલિગ્રી બોક્સ, બિહારનું મિથિલા મખાના, રાજસ્થાનની કોફ્તગરી કલાવાળી કટાર સહિત અનેક અનોખી ભેટ આપી છે.

આ પણ વાંચો : ઈબોલા વાઈરસ અંગે ભારત સરકાર એલર્ટ, એડવાઈઝરી જાહેર, એરપોર્ટ પર સ્ક્રીનિંગ વધારાયું

વડાપ્રધાન મોદીએ નાહયાન પરિવારનું શું શું ભેટ આપ્યું?

ગુજરાત : વડાપ્રધાન મોદીએ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને ગુજરાતના જૂનાગઢના પ્રખ્યાત કેસર કેરી ભેટમાં આપ્યા હતા. આ કેરી 'રાની' તરીકે પ્રખ્યાત છે અને તે તેના ઘેરા કેસરી રંગ, મીઠા સ્વાદ તેમજ રેસા વગરના માવા માટે જાણીતી છે, જે ગુજરાતની મહેમાનગતિ અને કૃષિ વારસાનું પ્રતીક છે. આ સાથે જ તેમણે રાષ્ટ્રપતિને કચ્છની દુર્લભ રોગન પેઇન્ટિંગ પણ ભેટ કરી હતી. આ પરંપરાગત કાપડ કલામાં કપડા પર હાથથી ઉભરેલી રંગીન ડિઝાઇન બનાવવામાં આવે છે, જેમાં દર્શાવવામાં આવેલી 'ટ્રી ઓફ લાઇફ' ડિઝાઇન એકતા અને નિરંતરતાનું પ્રતીક છે.

PM મોદીએ UAEના શાસકને આપી કેસર કેરી અને કચ્છની દુર્લભ પેઇન્ટિંગ! શાહી પરિવાર માટે ખાસ અણમોલ ભેટ 2 - image

PM મોદીએ UAEના શાસકને આપી કેસર કેરી અને કચ્છની દુર્લભ પેઇન્ટિંગ! શાહી પરિવાર માટે ખાસ અણમોલ ભેટ 3 - image

મેઘાલય : વડાપ્રધાન મોદીએ UAE ના રાષ્ટ્રપતિને મેઘાલયના પ્રખ્યાત જીઆઇ (GI) ટેગ ધરાવતા અનાનસ ભેટમાં આપ્યા હતા. દુનિયાના શ્રેષ્ઠ અનાનસમાં ગણાતા આ અનાનસ તેના અત્યંત મીઠા અને ઓછા ખાટા સ્વાદ માટે મશહૂર છે. તે વિટામિન-સી અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે તેમજ તેમાં પાચનમાં મદદ કરનાર બ્રોમેલેન એન્ઝાઇમ પણ હાજર હોય છે.

મણિપુર : વડાપ્રધાન મોદીએ યુએઈના રાજમાતાને મણિપુરની ખીણોમાં ઉગાડવામાં આવતા ખાસ સુગંધિત ચાક-હાઓ ચોખા (બ્લેક રાઇસ) ભેટ તરીકે આપ્યા હતા. એક સમયે માત્ર શાહી પરિવારો અને વિશેષ અવસરો માટે જ ઉપયોગમાં લેવાતી ચોખાની આ કિસ્મ તેના ઘેરા જાંબલી રંગ અને અનોખા સ્વાદ માટે પ્રખ્યાત છે, જે ફાઇબર, આયર્ન તેમજ એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોવાની સાથે હૃદયની તંદુરસ્તી અને શરીરની સોજા (બળતરા) ઓછી કરવામાં મદદરૂપ છે.

મધ્ય પ્રદેશ : વડાપ્રધાન મોદીએ ક્વીન મધરને મધ્ય પ્રદેશના મહેશ્વરની પ્રખ્યાત મહેશ્વરી સિલ્ક સાડી અને કાપડ પણ ઉપહારમાં આપ્યું હતું. રેશમ અને સુતરના દોરાના મિશ્રણથી તૈયાર થતું આ કાપડ અત્યંત હળવું, ચમકદાર અને આરામદાયક હોય છે. રાણી અહલ્યાબાઈ હોલ્કરની ઐતિહાસિક વિરાસત સાથે જોડાયેલું આ કાપડ તેની બંને તરફથી પહેરી શકાય તેવી ખાસ બોર્ડર ડિઝાઇન માટે જાણીતું છે અને તે ભારતની પરંપરાગત હસ્તકલાનું પ્રતીક છે.

તેલંગાણા : વડાપ્રધાન મોદીએ ક્વીન મધરને કરીમનગર ફિલિગ્રી બોક્સ ભેટમાં આપ્યું હતું. ચાંદીની આ વિશેષ કલાકૃતિ તેલંગાણાના કરીમનગરની પ્રખ્યાત નકશી ધાતુકલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જેમાં ચાંદીના પતરા પર હાથથી બારીક ડિઝાઇન કંડારવામાં આવે છે. આ બોક્સ પર હાથી અને શાહી સરઘસની આકૃતિ બનાવવામાં આવી છે જે ભારતીય શાહી પરંપરા, સન્માન અને દુર્લભ હસ્તકલાને દર્શાવે છે.

બિહાર : વડાપ્રધાન મોદીએ યુએઈના ક્રાઉન પ્રિન્સ ખાલિદ બિન મોહમ્મદ અલ નાહયાનને બિહારનું પ્રખ્યાત મિથિલા મખાના ભેટમાં આપ્યું હતું. તળાવો અને જળાશયોમાં ઉગાડવામાં આવતા આ જીઆઇ (GI) ટેગ પ્રાપ્ત કૃષિ ઉત્પાદન પ્રોટીન, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે અને તેનો ઉપયોગ સ્નેક્સ, પૂજા તથા પરંપરાગત વાનગીઓમાં થાય છે.

રાજસ્થાન : વડાપ્રધાન મોદીએ યુએઈના ક્રાઉન પ્રિન્સને રાજસ્થાનની કોફ્તગરી કલાથી સજ્જ પરંપરાગત કટાર પણ ભેટમાં આપી હતી. ઉદયપુરના પરંપરાગત કારીગરોની આ વિશેષ કલામાં સ્ટીલ પર સોના-ચાંદીનું બારીક નકશીકામ કરવામાં આવે છે. રાજપૂત શાહી પરંપરા સાથે જોડાયેલી આ વિરાસત સાહસ, સન્માન અને શૌર્યનું પ્રતીક માનવામાં આવે છે.

આ પણ વાંચો : પેટ્રોલ પંપ પર ફ્યૂલ આપવાની ના પાડી તો ખેર નથી! સરકારે આપ્યો કડક આદેશ

PMના UAE પ્રવાસમાં 7 સમજૂતી કરાર

ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે શુક્રવારે પેટ્રોલિયમ ભંડાર, લાંબા ગાળાના એલપીજી પુરવઠા, સંરક્ષણ અને શિપિંગ સંબંધિત અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત અબુ ધાબીએ ભારતમાં કુલ પાંચ અબજ યુએસ ડોલરના રોકાણનું વચન આપ્યું છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. એક સત્તાવાર નિવેદન અનુસાર, આ સાત કરારોમાં વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી સંબંધિત માળખાકીય કરાર પણ સામેલ છે, જે સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ, ટેકનોલોજીની આપ-લે, ઇનોવેશન અને પ્રાદેશિક સુરક્ષા સહયોગ પર કેન્દ્રિત છે. આ કરાર હેઠળ, બંને દેશો અન્ય ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ વધારવા ઉપરાંત લશ્કરી સાધનોના સંયુક્ત વિકાસની સંભાવનાઓ શોધવા માટે પણ સંમત થયા છે. નિવેદન મુજબ, ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમિટેડ (દેશના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારની જાળવણી માટે જવાબદાર જાહેર ક્ષેત્રની કંપની) એ અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની સાથે 'વ્યૂહાત્મક સહયોગ' ના ઉદ્દેશ્યથી એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.