‘એર ઈન્ડિયાના બોઈંગ વિમાનો પ્રતિબંધ ફરમાવો, ઓડિટ રિપોર્ટ સાર્વજનિક કરાવો’ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો
Air India Flight Case in Supreme Court : એર ઈન્ડિયાના બોઈંગ વિમાનોના સંચાલન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતી સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. જાહેર હિતની અરજીમાં કહેવાયું છે કે, લોકોની સુરક્ષાને ધ્યાને રાખી, જ્યાં સુધી સેફ્ટી ઓડિટની કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી બોઈંગ વિમાનોનો ઉપયોગ બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે. 12 જૂને અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 171 વિમાન ક્રેસ થયા બાદ એક એડવોકેટ અજય બંસલે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. ક્રેશની ઘટનામાં ઓછામાં 241 પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બરોના મોત થયા હતા. વિમાન ડૉક્ટરોની હોસ્ટેલ પર ક્રેશ થયું હોવાથી અન્ય 29 લોકોએ પણ જીવ ગુમાવ્યા હતા.
ફ્લાઈટમાં સીટ, ઈન્ટરનેટ, એસી ખરાબ હતું : અરજદાર
અરજદારે કહ્યું કે, તે પત્ની સાથે એર ઈન્ડિયા-127 ફ્લાઈટમાં દિલ્હીથી શિકાગો જઈ રહ્યો હતો. તેણે બિઝનેસ ક્લાસની ટિકિટ બુક કરાવી હતી. જોકે સીટમાં ખરાબી હતી. ફ્લાઈટની ઈન્ટરનેટ સિસ્ટમ પણ ખરાબ હતી. આ ઉપરાંત ઘણા સમય સુધી એસી પણ બંધ હતું. તેણે એર ઈન્ડિયાને પણ ફરીયાદ કરી છે.
આ પણ વાંચો : અમે ચર્ચા માટે તૈયાર, તારીખ અને સમય ઈમેલ કરો: રાહુલ ગાંધીને ચૂંટણી પંચનો જવાબ
વળતર આપ્યું છતાં કોર્ટમાં અરજી કરી
મુસાફરની ફરિયાદ પર એર ઈન્ડિયાએ કહ્યું કે, ‘ફ્લાઈટની એક સીટમાં સમસ્યા સર્જાઈ હતી. ત્યારબાદ તેમને 10 હજાર રૂપિયાની વળતર અપાયું છે. અરજદારે કહ્યું કે, આ એકમાત્ર ઘટના નથી. અનેક વખત સોશિયલ મીડિયા પર યુઝર્સ વીડિયો શેર કરતા હોય છે અને એર ઈન્ડિયાની ફ્લાઈટોની હેરાનગતી શેર કરે છે. તેમણે કહ્યું કે, 12 જૂને પ્લેન ક્રેશની ઘટના બાદ ફ્લાઈટોના મેઈન્ટેનન્સ અને તપાસ મામલે સવાલો ઉભા થઈ રહ્યા છે.
‘...તો એરલાઈન્સ સામે કાર્યવાહી કરો’
અરજદારે અરજીમાં એવી પણ માંગ કરી છે કે, ‘એર ઈન્ડિયાની જે ફ્લાઈટોમાં આંતરિક સુરક્ષાની ખોટી માહિતી અપાઈ હતી, તેનો રિપોર્ટ ડીજીસીએને પણ મળવો જોઈએ. મોટા એરપોર્ટ પર તપાસ કરવામાં આવતા, ત્યાં પણ ખામી જોવા મળી હતી. અનફિટ ફ્લાઈટો તુરંત બંધ કરી દેવા જોઈએ. કેબિન સિસ્ટમ, એરફ્રેમ અને એન્જીનની સમયાંતરે તપાસ કરવા માટે નવો નિયમ બનાવવાની જરૂર છે.’ અરજદારે કોર્ટને અપીલ કરી છે કે, એરલાઈન્સને સેફ્ટી ઓડિટ રિપોર્ટ સાર્વજનિક કરવાનો નિર્દેશ આપવો જોઈએ અને આવું ન કરે તો કાર્યવાહી કરવી જોઈએ.’