અમે ચર્ચા માટે તૈયાર, તારીખ અને સમય ઈમેલ કરો: રાહુલ ગાંધીને ચૂંટણી પંચનો જવાબ
Election Commission And Rahul Gandhi : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી-2024 પર ચર્ચા કરવાની માંગ કરનારા લોકસભા વિક્ષના નેતા રાહુલ ગાંધીને ચૂંટણી પંચે જવાબ આપ્યો છે. પંચે રાહુલને કહ્યું છે કે, અમે ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે તૈયારી છીએ. તમે તારીખ અને સમય ઈમેલ કરો. ચૂંટણી પંચ તમારી સાથે વ્યક્તિગત મુલાકાત કરવા અને તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે.
કોંગ્રેસે અગાઉ પણ આવો જ મુદ્દો ઉઠાવ્યો હતો : ચૂંટણી પંચ
ભારતીય ચૂંટણી પંચ સચિવાલયે રાહુલ ગાંધીને કહ્યું છે કે, ‘ગત વર્ષે મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Election 2024) અંગેનો તમારો લેખ સમાચાર પત્રોમાં છપાયો હતો, તેને ધ્યાને લઈને મને એવું કહેવાનો નિર્દેશ અપાયો છે કે, કોંગ્રેસે નવેમ્બર-2024 વિધાનસભા ચૂંટણીમાં પણ આવો જ મુદ્દો ઉઠાવ્યો હતો, જેનો ચૂંટણી પંચે 24 ડિસેમ્બર-2024માં વિગતવાર જવાબ આપ્યો હતો. આ જવાબ ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.’
મહારાષ્ટ્રમાં કોંગ્રેસના BLO પણ સામેલ હતા : ચૂંટણી પંચનો રાહુલને જવાબ
ચૂંટણી પંચે વધુમાં કહ્યું છે કે, ‘ભારતીય ચૂંટણી પંચ દ્વારા પસાર કરાયેલ ચૂંટણી કાયદાઓ, તેમાં બનાવાયેલા નિયમો અને પંચ દ્વારા સમયસર જાહેર કરાયેલા નિર્દેશો મુજબ તમામ ચૂંટણીઓનું કડકાઈથી પાલન કરવામાં આવે છે. જેમ કે તમે (રાહુલ ગાંધી) જાણો છો કે, વિધાનસભા મતવિસ્તારમાં યોજાતી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વિકેન્દ્રિત રીતે હાથ ધરવામાં આવે છે, જેમાં ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્રમાં 1,00,186થી વધુ બૂથ લેવલ અધિકારી (BLO), 288 ચૂંટણી નોંધણી અધિકારીઓ (ERO), 288 રિટર્નિંગ અધિકારીઓ, 139 સામાન્ય નિરીક્ષકો, 71 ખર્ચ નિરીક્ષકો, 41 પોલીસ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી અને રાષ્ટ્રીય તેમજ રાજ્ય રાજકીય પક્ષ દ્વારા નિમણૂક કરાયેલા 1,08,026 બૂથ લેવલ એજન્ટોમાંથી કોંગ્રેસના 28,421 એજન્ટ સામેલ હતા, તેઓએ ચૂંટણીમાં ભાગ લીધો હતો.
‘રાહુલને કોઈ મુદ્દે ચર્ચા કરવી હોય તો તારીખ અને સમય અમને ઈ-મેલ કરી શકે છે’
પંચે કહ્યું કે, ‘અમે માનીએ છીએ કે, કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ચૂંટણી સંચાલન સંબંધિત મુદ્દો કોર્ટમાં અરજીઓ કરી પહેલેથી જ ઉઠાવાયો હશે. તેમ છતાં જો તમારી પાસે કોઈ મુદ્દો છે, તો તમે અમને લખી શકો છો. ચૂંટણી પંચ તમારી સાથે વ્યક્તિગત મુલાકાત કરવા અને તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. આ માટે તમે તમારી સુવિધા મુજબની તારીખ અને સમય ચૂંટણી પંચને ઈ-મેલ કરી સૂચના આપી શકો છો.’
રાહુલે મહારાષ્ટ્રની ચૂંટણીમાં ધાંધલીના આક્ષેપ કર્યા હતા
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ધાંધલી થઈ હોવાના આરોપો લગાવ્યા છે. તેમણે ચૂંટણી પંચ પાસેથી જવાબ માગ્યો હતો. જોકે ચૂંટણી પંચના સૂત્રોએ 8 જૂને કહ્યું છે કે રાહુલ પંચને પત્ર લખશે તો જ જવાબ આપવામાં આવશે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ જે આરોપો લગાવ્યા તેના 24 કલાક બાદ પણ ચૂંટણી પંચને કોઈ પત્ર નથી લખ્યો કે મુલાકાત માટે સમય નથી માગ્યો. કોઈ પણ બંધારણીય સંસ્થા, ચૂંટણી પંચ પણ જ્યારે કોઈ લેખિત રજૂઆત કરે ત્યારે જ જવાબ આપવામાં આવે છે. માટે રાહુલ ગાંધી હવે પોતાના આરોપોને લઈને લેખિતમાં રજૂઆત કરશે ત્યારે જ તેમને જવાબ આપવામાં આવશે.
રાહુલ ગાંધી જવાબ ઇચ્છતા હોય તો પત્ર લખે : ચૂંટણી પંચ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે (7 જૂન) સમાચારપત્રોમાં લેખ લખીને આરોપ લગાવ્યો હતો કે, ગયા વર્ષે મહારાષ્ટ્રમાં વિધાનસભાની જે ચૂંટણી યોજાઈ હતી તે લોકશાહીમાં ફ્રોડની બ્લૂપ્રિન્ટ હતી, હવે આ મેચ ફિક્સિંગનું બિહારમાં પણ પુનરાવર્તન થશે. રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કેન્દ્રના સાંજના સીસીટીવી ફૂટેજ માગ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધીના આ આરોપો વચ્ચે ચૂંટણી પંચના સૂત્રોએ કહ્યું છે કે રાહુલ ગાંધી દ્વારા લેખિતમાં કોઈ જ રજૂઆત નથી થઈ, જ્યારે તેઓ લેખિતમાં રજૂઆત કરશે ત્યારે જવાબ અપાશે.
આ પણ વાંચો : ટ્રાફિકમાં ફસાયા પરિવહન મંત્રી નીતિન ગડકરી, અધવચ્ચે જ યુટર્ન લેવો પડ્યો